22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે, જનતાને આપશે 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
તાજેતરમાં જ વડાપ્રધાનશ્રીએ 10 ફેબ્રુઆરીના રોજ વર્ચ્યુઅલી લગભગ 1 લાખથી વધુ આવાસોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગના 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે, અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતીઓ માટે હજારો કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપવાના છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં બીજી વાર વડાપ્રધાન ગુજરાતની જનતાને વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે.
તાજેતરમાં જ વડાપ્રધાનશ્રીએ 10 ફેબ્રુઆરીના રોજ વર્ચ્યુઅલી લગભગ 1 લાખથી વધુ આવાસોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગના 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
22,500 કરોડથી વધુના ખર્ચે નિર્મિત બે નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ થશે દેશને સમર્પિત
વડાપ્રધાનશ્રી દ્વારા જનતાને સમર્પિત થનારા વિકાસકાર્યોમાં તાપીના કાકરાપારમાં સ્થિત બે નવા ન્યુક્લિયર પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન એક મુખ્ય પ્રોજેક્ટ છે. 700 મેગાવોટની ક્ષમતા ધરાવતા આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ સ્વચ્છ અને સસ્ટેનેબલ ઊર્જાનો ઉપયોગ કરીને રાજ્યને શુદ્ધ ઝીરો કાર્બન ઉત્સર્જન પ્રાપ્તિની દિશામાં આગળ વધારશે.
ગુજરાતમાં ભારતના પ્રથમ સ્વદેશી પરમાણુ ઊર્જા સંયંત્ર (ન્યુક્લિયર એનર્જી પ્લાન્ટ), કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ (KAPP-3) માં યુનિટ-3નું ઉદ્ઘાટન ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ આ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ સ્વદેશી નવીનીકરણ અને અત્યાધુનિક સુરક્ષા ઉપાયોનું ઉદાહરણ છે.
NHAIના 10,070 કરોડથી વધુ ખર્ચે નિર્મિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના એક હિસ્સાનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
સમગ્ર રાજ્યમાં એક મજબૂત રોડ નેટવર્કનું નિર્માણ કરવું એ ગુજરાત સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંનું એક છે. આ દિશામાં, રાજ્યના વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના ત્રણ ભાગોનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયું છે. એમાં પહેલો ભાગ, 31 કિમી લાંબો મનુબરથી સાંપાનો છે, જેને ₹2400 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
આ જ રીતે, બીજો ભાગ લગભગ 32 કિમી લાંબો સાંપાથી પાદરાનો છે, જેને ₹3200 કરોડથી વધુના ખર્ચે અને ત્રીજો ભાગ 23 કિમી લાંબો પાદરાથી વડોદરાનો છે, જેને ₹4300 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે ₹10 હજાર કરોડથી વધુના NHAIના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વડાપ્રધાનશ્રી જનતાને સમર્પિત કરશે.
સુરત મહાનગરપાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને DREAM સિટીના વિકાસકાર્યો મળીને ₹5040 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત મહાનગરપાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીના વિકાસકાર્યો મળીને ₹5000 કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેમાં ₹3000 કરોડથી વધુના ખર્ચે 41 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થશે અને ₹2000 કરોડથી વધુના ખર્ચે 18 વિકાસકાર્યોનું લોકાર્પણ થશે.
લોકાર્પણના કાર્યોમાં ₹840 કરોડના ખર્ચે 50 ઇલેક્ટ્રિક બસોને શરૂ કરવી, ₹597 કરોડના ખર્ચે નિર્મિત તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના વિવિધ કાર્યો અને ₹49 કરોડના ખર્ચે ડ્રીમ સિટી લિમિટેડના વિવિધ કાર્યોનો સમાવેશ થાય છે, જ્યારે ખાતમુહુર્તના કાર્યોમાં ₹924 કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના, ₹825 કરોડના ખર્ચે કન્વેન્શનલ બેરેજ, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારના વિવિધ ગામોમાં નલ સે જલ યોજના હેઠળ ₹480 કરોડના ખર્ચે નિર્માણ થનારી પાણી પુરવઠા યોજના વગેરે જેવા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
10 વિવિધ વિભાગોના ₹5400 કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ થશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આ પ્રવાસ દરમિયાન દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓ વડોદરા, નવસારી, ભરૂચ, તાપી, વલસાડ, પંચમહાલ, સુરત, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અને નર્મદામાં 10 વિવિધ વિભાગોના 5400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આ જિલ્લાઓમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન, જળ સંસાધન અને જળ વિતરણ, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગ, ગૃહ, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના 55 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસની આ લાંબી શ્રેણીમાં રેલવેના 1100 કરોડથી વધુના વિકાસ કાર્યો પણ સામેલ છે. આ રેલવે પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ફાયદો થશે.