ગુજરાતમાં સરકારી અધિકારી કે કર્મચારી રાજકીય નેતાઓ સાથે ચોક્કસ પરિસ્થિતિઓમાં જોવા મળે તો શું કાર્યવાહી થાય ? નવસારીની ઘટનામાં લાગુ પડશે આ કાયદા !
નવસારીના પોલીસ ઈન્સ્પેક્ટર દીપક કોરાટ તાજેતરમાં વિવાદમાં સપડાયા છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે તેમના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સાથેના એક ફોટો સોશિયલ મિડિયામાં ચર્ચાનો વિષય બની ગયો. ત્યારે હવે તમારે જાણવું જરૂરી છે કે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી ચોક્કસ સ્થિતિમાં નેતાઓ સાથે દેખાય તો શું કાર્યવાહી થઈ શકે..

બે દિવસ પહેલાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા નવસારીમાં એક સામાજિક કાર્યક્રમ માટે આવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક ભાજપ કાર્યકરો અને સમર્થકો તેમને શુભેચ્છા પાઠવવા માટે હાજર રહ્યા. એ જ સમયે, PI દીપક કોરાટ પણ શુભેચ્છા મુલાકાત માટે પહોંચ્યા હતા. મુલાકાત પૂર્ણ થયા બાદ સૌએ એક સમૂહ ફોટો પડાવ્યો, જેમાં દીપક કોરાટ પણ સામેલ થયા હતા.
આ ફોટો વાયરલ થયા બાદ ચર્ચા શરુ થઈ અને વાંસદાના ધારાસભ્યએ સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈ કટાક્ષ કર્યા, જેના કારણે વિવાદ ઊભો થયો. જોકે, જાણવામાં આવ્યું છે કે દીપક કોરાટ અને પુરુષોત્તમ રૂપાલા વચ્ચે પારિવારિક સંબંધો છે અને તેઓ માત્ર સૌજન્ય મુલાકાત માટે ત્યાં ગયા હતા. તેમ છતાં, આ મુલાકાત પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે, અને PI દીપક કોરાટને ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે.
મહત્વનું છે કે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા “PI દિપક કોરાટને ભાજપમાં જોડાવા બદલ અભિનંદ” આવું લખાણ પોસ્ટ શેર કરીને લખવામાં આવ્યું હતું. પરંતુ PI દિપક કોરાટ દ્વારા કોઈ પણ પક્ષમાં જોડાવા અંગેની વાત નકારી હતી.
જોકે હવે આપણે એ વાત પર નજર કરીએ કે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી આ પ્રકારનું કૃત્ય કરે તો તેના વિરુદ્ધ ક્યા પ્રકારના પગલાં લેવામાં આવી શકે ?
ભારતમાં પોલીસ ઇન્સ્પેક્ટર અથવા અન્ય સરકારી કર્મચારી જ્યારે કોઈ રાજકીય પક્ષ સાથે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં તસવીરો પડાવતા જોવામાં આવે, ત્યારે તે તેમની નૈતિક જવાબદારી અને કાયદાકીય બાધ્યતાના ઉલ્લંઘન તરીકે ગણાય છે. આ બાબત આકરા નિયમો અને સંવિધાનિક ધોરણો હેઠળ આવે છે.
કાયદાકીય આધાર જાણો
- સિવિલ સર્વિસ રૂલ્સ (Conduct Rules): All India Services (Conduct) Rules, 1968 મુજબ, સરકારી કર્મચારી કે પદાધિકારી રાજકીય પાર્ટીની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકતા નથી અથવા રાજકીય પક્ષના પ્રચારમાં સીધા સામેલ થઈ શકતા નથી.
- સરકારી કર્મચારીઓ માટે તટસ્થતા જાળવવી આવશ્યક છે. જો તેઓ રાજકીય પક્ષોની સાથે સંપર્ક ધરાવે છે, તો તે તેમની તટસ્થતા પર શંકા ઊભી કરે છે.
- IPC અને અન્ય કાયદા: IPC – 166, BNS કલમ – 198 અંતર્ગતજે કોઈ વ્યક્તિ, પોતે રાજ્ય સેવક હોય અને એવી હેસિયતથી પોતે કેવી રીતે વર્તવું એ વિશે કાયદાના કોઈ આદેશની અવજ્ઞા કરીને કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી અથવા પોતે નુકસાન પહોંચાડશે એવો સંભવ હોવાનું જાણવા છતાં જાણી જોઇને એવી અવજ્ઞા કરે, તો તેને એક વર્ષ સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ઉદાહરણ:કોઈ ન્યાયાલયે ‘ઝ’ ના લાભમાં કરી આપેલા હુકમનામાનો અમલ કરાવી આપવા માટે તેની બજવણીમાં કોઈ મિલકત લેવા જે કાયદાથી આદેશ મળ્યો હોય તેવા અધિકારી ‘ક’ પોતે ‘ઝ’ ને એમ કરવાથી નુકસાન પહોચાડે એવો સંભવ છે, એવી જાણ સાથે કાયદાના તે આદેશની તે જાણી જોઇને અવજ્ઞા કરે છે, ‘ક’ એ આ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો છે.
- કાયદા હેઠળ શક્ય કાર્યવાહી: શિસ્તભંગ કાર્યવાહી (Disciplinary Action): પ્રાથમિક તપાસ શરુ થાય છે અને કામગીરીના આધારે સસ્પેન્શન અથવા સર્વિસમાંથી તાત્કાલિક બરતરફી થઈ શકે છે.
- કાયદાકીય કાર્યવાહી: જો જાહેર પદનો દુરુપયોગ થતો હોય, તો ધરપકડ અથવા દંડ પણ થઈ શકે છે.
શિસ્તભંગ અંગે પ્રક્રિયા: શિસ્તભંગના કિસ્સામાં પ્રથમ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થાય છે.
- જો કર્મચારી દોષી સાબિત થાય, તો તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે.
- સસ્પેન્શન દરમિયાન તેમને દર મહિને અડધો પગાર ચૂકવવામાં આવે છે.
- જો તેઓ પછીથી નોકરી પર પુન: ફરતા હોય, તો રાબેતા મુજબ કામ પર રાખવામાં આવે છે.
- દોષી સાબિત થયેલા કર્મચારીની સર્વિસ બુકમાં શિસ્તભંગની નોંધ કરવામાં આવે છે, જે તેમના પ્રમોશનમાં અડચણરૂપ બની શકે છે.
- કેટલાક ગંભીર કિસ્સાઓમાં રાજ્ય સરકારને એવા કર્મચારીઓને ટર્મિનેટ કરવાની સત્તા છે.
જીપીએસસી (GPSC) દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓના પ્રમોશન, ડિમોશન અને તમામ પ્રકારની કામગીરી માટે નિર્ણયો લેવામાં આવે છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે અને પબ્લિક ડોમેઇનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર છે. કોઈ પણ ખાતાકીય તપાસ અને કાર્યવાહી જે તે સ્થિતિને આધારે જરૂરિયાત મુજબ ન્યાય તંત્ર કરી શકે છે.