મહેસાણા: ઊંઝામાં હર દિન, હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત આયુષ મેળો યોજાયો
Mehsaha: ઊંઝામાં હર દિન હર ઘર આયુર્વેદ અભિયાનનનો પ્રારંભ થઈ ચુક્યો છે. આ અભિયાન અંતર્ગત આયુષ મેળો યોજાયો હતો. જેમા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
![મહેસાણા: ઊંઝામાં હર દિન, હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત આયુષ મેળો યોજાયો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2022/10/ayush-melo.jpg?w=1280)
મહેસાણાના ઊંઝામાં આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આર્યુવેદ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ હેઠળ નિયામક આયુષ કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત રાજ્ય કક્ષાના આયુષ મેળાના વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. જીમખાના મેદાન ખાતે યોજાયેલા આ આયુષ મેળામાં ધારાસભ્ય અજમલજી ઠાકોરે જણાવ્યું હતું કે આર્યુવેદમાં આજે જનજાગૃતિ આવી છે. રાજ્યના નાગરિકો પણ આર્યુવેદને મહત્વ આપતા થયા છે. તેમણે જીવનશૈલીમાં આર્યુવેદ પદ્ધતિને અપનાવવા અપીલ કરતાં જણાવ્યું હતુ કે આર્યુવેદ એ જીવન જીવવા માટેની સૌથી મોટી શૈલી છે. જેનો નિરંતર ઉપયોગ કરી દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવા પણ અપીલ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રસોડું એ આપણું આર્યુવેદ છે, જેનો ઉપયોગ કરવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે.
APMCના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું કે પહેલું સુખ તે જાતે નર્યાને આપણે મહત્વ આપવુ જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે પણ આર્યુવેદનું મહત્વ વધારી નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે કટિબદ્ઘ બની છે. આ પ્રસંગે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હરીભાઈ પટેલે જણાવ્યું હતું કે આર્યુવેદ આપણી જીવનશૈલી છે. ઋષિ-મુનિઓની આ જુની પરંપરા આજના યુગમાં આપણી ધરોહર બની છે. તેમણે ઉમેર્યું હતું કે પર્યાવણને અનુકૂળ જીવનશૈલી અપનાવાથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય સરાહનીય રીતે આપણી કરી શકીએ. તેમણે આર્યુવેદ યોગ અને વેદ વિશેની મહત્વતા બાબતે પણ જાણકારી આપી હતી.
આ આયુષ મેળામાં પ્રદર્શન,નિદાન સારવાર કેમ્પ,આર્યુવેદ પધ્ધતિથી તાત્કાલિક સારવાર તેમજ સ્વસ્થવૃત મુખ્ય આર્કષણો હતા. જેમાં પ્રદર્શનમાં દિનચર્યા, ઋતુચર્યા, રસોડા ઘર આંગણાની ઔષધિઓ, ગર્ભ સંસ્કાર, વિરૂધ્ધ આહાર, સદવૃત,મૃગ્ધાવસ્થા માર્ગદર્શન,પંચકર્મ સારવાર,હોમિયોપથી ચાર્ટનો કાર્યક્રમ યોજાયો હતો. નિદાન સારવાર કેમ્પમાં જનરલ ઓપીડી, બાળરોગ, સ્ત્રીરોગ, વૃધ્ધાવસ્થા જન્ય વિકારો, ડાયાબીટીસ અને ચામડીના રોગો, હોમિયોપેથી ઓપીડીના સારવાર કેમ્પ યોજાયા હતા જેનો નાગરિકોએ લાભ લીધો હતો.
આ ઉપરાંત આર્યુવેદ પધ્ધતિથી તાત્કાલીક સારવારમાં જાલંધર બંધથી દુખાવા અને રક્તસ્ત્રાવ સહિત સડેલા-બગડેલા દાંત પાડવા સહિતની ઓપીડી કરવામાં આવી હતી. કમર સાંધા વગેરના દુખાવા અગ્નિકર્મ સારવારથી મટાડવા સહિત પંચકર્મ સારવારનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વસ્થવૃતમાં સ્વસ્થ જીવનશૈલીના ભાગરૂપે ઘરે નિયમિત બનાવી શકાય તેવી 20 થી વધુ આર્યુવેદ વાનગીઓની રેસીપીનું જીવંત નિર્દર્શન, સુવર્ણપ્રાશન અને પ્રકૃતિ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય કરશન સોલંકી, અજમલજી ઠાકોર, એ.પી.એમ.સી ઊઝાના ચેરમેન દિનેશ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરીભાઇ પટેલ ઊંઝા તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ, આયુષના નિયામક ડો ચેતના જોષી સહિત સંબધિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.