Breaking News : સોના-ચાંદીના પૂરા રૂપિયા લેતા વેપારીઓ ઓછા વજનના દાગીના આપતા હતા, 273 એકમ સામે કરાયા કેસ
ગુજરાતમાં સોના-ચાંદી, જ્વેલરી શો રૂમના 370 એકમો પર પાડેલા દરોડામાં, સૌથી વધુ તપાસ અમદાવાદમાં 61 એકમો સામે કરવામાં આવી હતી. જે પૈકી 22 એકમ સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ભરૂચ અને નર્મદા જિલ્લામાં 27 એકમોની કરાયેલ તપાસના અંતે 25 કેસ નોંધવામાં આવ્યા હતા. જૂનાગઢ- ગીરસોમનાથમાં 21 એકમોની કરાયેલ તપાસ સામે 20 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ભાવનગર અને બોટાદમાં 20 એકમોની તપાસ સામે 17 કેસ કરવામાં આવ્યા હતા. સુરતમાં 20 એકમોની તપાસ સામે 14 કેસ દાખલ કરાયા છે.

ગુજરાતમાં રૂપિયા ગણી ગણીને લેતા જ્વેલર્સ, સોના-ચાંદીના દાગીના ઓછા વજનના આપતા હોવાની વ્યાપક ફરિયાદ ગુજરાતના તોલમાપ વિભાગને મળી હતી. મળેલ ફરિયાદના આધારે તોલમાપ વિભાગે, સમગ્ર ગુજરાતમા 370 જેટલા સોના ચાંદીના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. જેમાં અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે. જેને લઈને 273 સામે કેસ કરવામાં આવ્યા છે.
ગુજરાતના 25 જિલ્લામાં તોલમાપ વિભાગે, સોના અને ચાંદીના દાગીના વેચતા હોય તેવા જ્વેલર્સને ત્યાં તપાસ હાથ ધરી હતી. સોના-ચાંદી અને જ્વેલરી શો રૂમના 370 એકમો પર તોલમાપ વિઊાગે તપાસ હાથ ધરી હતી. જેમાં તમામ એકમોના વજન કાંટાની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં કેટલાક એકમના વેપારીઓ દ્વારા મુદ્રાંકન કર્યા સિવાયનાવજન કાંટાનો ઉપયોગ સોના ચાંદીના દાગીના તોલવા માટે ઉપયોગમાં લેતા હોવાનું સામે આવ્યું હતું.
તોલમાપ વિભાગે હાથ ધરેલ તપાસ દરમિયાન જણાઈ આવેલ વિવિઘ ગેરરીતિ અંગે તોલમાપ વિભાગે, કુલ 273 એકમો સામે પ્રોસિક્યુશન કેસ દાખલ કર્યા હતા. કેટલાંક એકમોએ, તોલમાપ અંગે ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ના કરતાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. નિયમ ભંગ કરવા બદલ કુલ રૂપિયા 6.79 લાખની સ્થળ માંડવાળ કરાઈ હતી.
ગુજરાતમાં સોના-ચાંદી, જ્વેલરી શો રૂમના 370 એકમો પર પાડેલા દરોડામાં, સૌથી વધુ તપાસ અમદાવાદમાં 61 એકમો સામે કરવામાં આવી હતી. જે પૈકી 22 એકમ સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ભરૂચ અને નર્મદા જિલ્લામાં 27 એકમોની કરાયેલ તપાસના અંતે 25 કેસ નોંધવામાં આવ્યા હતા. જૂનાગઢ- ગીરસોમનાથમાં 21 એકમોની કરાયેલ તપાસ સામે 20 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ભાવનગર અને બોટાદમાં 20 એકમોની તપાસ સામે 17 કેસ કરવામાં આવ્યા હતા. સુરતમાં 20 એકમોની તપાસ સામે 14 કેસ દાખલ કરાયા છે.
આ ઉપરાંત ગુજરાત રાજ્યના તોલમાપ વિભાગે, વડોદરા, પાટણ, છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા-પાલનપુર, સાબરકાંઠા- હિંમતનગર, અરવલ્લી-મોડાસા, રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ તપાસ હાથ ધરી હતી.