23 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : જામનગરમાં વિદ્યાર્થીના વાળ શિક્ષકોએ કાપી નાખ્યાં, જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ
આજે 23 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 23 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જામનગરમાં વિદ્યાર્થીના વાળ શિક્ષકોએ કાપી નાખ્યાં, જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ
જામનગરમાં બે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓના વાળ કાપી લીધાનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ, શિક્ષકોને પાણીચું અપાયું છે. વિદ્યાર્થીઓના વાળ કાપવાના બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને, સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાએ શિક્ષકને હાંકી કાઢ્યા છે. મેં વિદ્યાર્થીના વાળ કાપ્યા એ મારી ભૂલ, દિલગીર છું તેમ શિક્ષક ધનંજય જાડેજાએ જણાવ્યું હતું. આ ઘટના અંગે નવાનગર સરકારી શાળાના શિક્ષિક સામે તપાસના આદેશ જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યાં છે. આ ઘટનાને લઈને વિદ્યાર્થી જ નહીં વાલી આલમમાં પણ ભારે રોષની લાગણી ફેલાઈ છે.
-
રાજકોટ ભક્તિનગર સર્કલ નજીક જલારામ ચોક પાસે નવરાત્રીમાં યુવતીની સરાજાહેર છેડતી
રાજકોટમાં નવરાત્રીના દિવસોમાં જ યુવતીની સરાજાહેર છેડતીની ઘટના બની છે. ભક્તિનગર સર્કલ નજીક જલારામ ચોક પાસે યુવતીની સરાજાહેર છેડતી કરવામાં આવી છે. મોટર સાયકલમાં આવેલા શખ્સે પીછો કરીને બળજબરી કરી હાથ પકડવાની કોશિશ કરી હતી. છેડતી કરી શખ્સ થયો ફરાર. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી. છેડતી કરનાર શખ્સ સગીર વિધાર્થી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી.
-
-
અમદાવાદના કુબેરનગર આઝાદ મેદાન પાસે પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી
અમદાવાદના કુબેરનગર આઝાદ મેદાન પાસે પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી હતી. પતિ – પત્ની વચ્ચેના ઝઘડામાં પતિએ પત્ની અને તેની માતાને જ્વલનશીલ પદાર્થથી સળગાવી. ગંભીર રીતે દાઝેલી હાલતમાં મહિલા અને માતાને હોસ્પિટલ ખસેડ્યા હતા. એક દુકાનમાં મહિલા અને તેની માતાને સળગાવીને શખ્સ થયો ફરાર. સરદાર નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.
-
બલુચિસ્તાનના માસ્તુંગમાં જાફર એક્સપ્રેસમાં વિસ્ફોટ, ટ્રેન પલટી
બલુચિસ્તાનના માસ્તુંગના દશ્ત વિસ્તારમાં જાફર એક્સપ્રેસમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને પલટી ગઈ હતી. આ ઘટના પૂર્વે આજે વહેલી સવારે, આ જ વિસ્તારમાં રેલવે ટ્રેક સાફ કરવામાં રોકાયેલા સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
-
સેવન્થ ડે સ્કુલને અમદાવાદ મ્યુ. કોર્પોરેશને ફટકારી બીજી નોટિસ
અમદાવાદની વિવાદિત સેવન્થડે સ્કુલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફટકારી બીજી નોટિસ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સેવન્થ ડે સ્કુલને પહેલી નોટિસ ફટકારી છે. પરંત તેનો કોઈ જવાબ આપ્યો નથી. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, લીઝ કરારના ભંગ અંગે, નોંધાયેલ કંપની સાથે MOU અંગે, બાંધકામ પ્લાન પાસ કર્યા વગર જ ઊભું કરી દેવામા આવ્યું હોવા સહિતના વિવિધ મુદ્દે નોટિસ આપવામાં આવી છે.
-
-
વાહનમાં જૂની નંબર પ્લેટ, તૂટેલી નંબર પ્લેટ કે નંબર પ્લેટમાં આંકડો સંતાડેલ હોય તેવા વાહનોને ડિટેઈન કરાશે
અમદાવાદમાં ટ્રાફિકના કાયદાથી બચવા વાહનચાલકોએ અપનાવેલ કિમીયા સામે આરટીઓએ લાલ આંખ કરી છે. તૂટેલી નંબર પ્લેટ કે બ્લેક ફિલ્મવાળા વાહન ચલાવતા લોકોએ હવે સાવધાન થવાની જરૂર છે. RTO કચેરી દ્વારા દંડ વસૂલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમા અમદાવાદ RTO કચેરી ખાતે વાહન છોડાવવા લાંબી કતારો લાગી ગઈ છે. જૂની નંબરપ્લેટ, તૂટેલી નંબરપ્લેટ કે નંબર પ્લેટના આંકડો છુપાવવા કરેલ પ્રયાસ વાળા વાહનોને ડિટેન કરવામાં આવી રહ્યાં છે. બ્લેક ફિલ્મ લગાવેલ કાચવાળી કાર પણ ડિટેન થઈ રહી છે. છેલ્લા 4 દિવસમાં 210 વાહન માલિકોએ દંડની રકમ ચૂકવી છે. RTO કચેરી માંથી રિલીઝ લેટર મેળવ્યા બાદ જ, જે તે પોલીસ સ્ટેશનમાંથી વાહન રિલીઝ કરી શકાય છે. અત્યાર સુધીમાં કુલ સાડા છ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
-
અમદાવાદના વિરમગામમાં ખાણ ખનિજ વિભાગના દરોડા, 5 ડમ્પર, 1 હિટાચી મશીન જપ્ત
વિરમગામમા ખાણ ખનીજ વિભાગે દરોડા પાડીને ડમ્પર, હિટાચી મશીન જપ્ત કર્યા છે. વિરમગામ તાલુકાના મોટા ગોરૈયા અને વડગાસ ગામની સીમમા ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. ગેરકાયદેસર માટી ખનનને લઈને ખનીજ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. માટી ભરેલા 5 ડમ્પર અને 1 હીટાચી મશીન જપ્ત કરાયા છે. અમદાવાદ અને ગાંધીનગર ખાણ ખનીજ વિભાગ મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ. છેલ્લા કેટલાક સમયથી સરકારી જગ્યાએથી મોટાપાયે માટી ખનન થઈ રહ્યુ છે.
-
રાજકોટમાં બે-ત્રણ કલાક હોટલના રૂમ ભાડે ના આપવા પોલીસની હોટલ સંચાલકોને તાકીદ
હોટેલમાં યુવક-યુવતીઓને બે કે ત્રણ કલાક રૂમ ભાડે ના આપવા. ગઈકાલે પોલીસે હોટેલ સંચાલકો સાથે બેઠક યોજીને સુચના આપી છે. બહારગામનો કોઈ વ્યક્તિ હોય અને હોટેલમાં રૂમ રાખે તો આપી શકાય. DCP રાકેશ દેસાઈએ કહ્યું કે, લોકલ વ્યક્તિ કોઈ યુવતીને લઈને આવે તો રૂમની શું જરૂર પડે ? હોટેલના રૂમમાં સગીરાઓને લઈ જાય અને પછી અઘટીત ઘટનાઓ બને છે. કોઈ યુવતી મોઢે રૂમાલ કે ચૂંદડી બાંધીને આવે તો મોંઢું ખોલી ચેક કરવા પણ હોટલ સંચાલકોને સૂચન કરવામાં આવ્યું છે. હોટેલમાં જે વ્યક્તિ યુવતી સાથે આવે છે તેના આધારકાર્ડમાં ફોટો મોઢા સાથે ચેક કરવા સૂચન કરાયું.
-
બનાસડેરીની 10 બેઠક માટે 36 ઉમેદવારો મેદાનમાં, હરિભાઈ ચૌધરી સામેના વાંધા ફગાવાયા
બનાસ ડેરીની નિયામકની મંડળની ચૂંટણી માટે ભરાયેલ ઉમેદવારીપત્રોની આજે ચકાસણી હાથ ધરવામા આવી હતી. પાલનપુર, વડગામ, દાતા, દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ, દિયોદર, સાંતલપુર, વાવ અને લાખણીની 10 બેઠકો માટે 36 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. આજે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ચકાસણી દરમિયાન પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું ફોર્મ માન્ય રહ્યું છે. પાલનપુર બેઠકના વર્તમાન ડિરેક્ટર ભરત પટેલે, હરિભાઈ ચૌધરીના ફોર્મ સામે વાંધા અરજી કરી હતી. હરિભાઈ ચૌધરી અને ભરત પટેલને સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારીએ ફોર્મ માન્ય રાખ્યું. હરિભાઈ ચૌધરી સામે વાંધા અરજી કરનાર ભરત પટેલ જવાબ આપવા ઉભા ના રહ્યા.
-
સુરતના માર્ગોનું સમારકામ કરાતા, સોશિયલ મીડિયામાં Thank You અમિત કાકાના નામે વીડિયો થયો વાયરલ
ચોમાસામાં સુરતમા ઠેર ઠેર તુટી ગયેલા માર્ગોને લઈને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં Thank You અમિત કાકા સુરત આવવા માટે તેમ લખાયું છે. લોકોએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો. દેશમાં ગૃહમંત્રી અમિત શાહ આવ્યા તો સરદાર માર્કેટ, પર્વત પાટિયામાં, પરંતુ અમારા રોડ રસ્તા રાતોરાત બની ગયા. ખાડાપુર વાળા રોડથી હેરાન જનતામાં આખરે હાશકારો આવ્યો છે. સરદાર માર્કેટથી પર્વત પાટિયા રોડના ખાડાથી ટ્રાફિક સમસ્યાથી હેરાન થતા હતા લોકો. સુરતમાં હજુ અનેક રોડ પર મોટા ખાડા.
-
ડાંગમાં ભારે વરસાદને પગલે, નવસારીની અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ
ડાંગ જિલ્લામાં વરસાદ ધોધમાર વરસાદને પગલે નવસારીની અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને નવસારી નજીકથી વહેતી અંબિકા નદીકાંઠાના ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા સાવધાનીના પગલા લેવામાં આવી રહ્યા છે. બીલીમોરા શહેરના બંદર રોડ રોડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થઈ છે.
-
અડાલજમાં અંબાપુરમાં નર્મદા કેનાલ પાસે થયેલ લૂંટ વિથ હત્યા કેસમાં સાયકો કિલર ઝડપાયો
અડાલજમાં અંબાપુરમાં નર્મદા કેનાલ પાસે થયેલ લૂંટ વિથ હત્યા કેસમાં સાયકો કિલર ઝડપાયો છે. તાજેતરમાં જ અંબાપુર અડાલજ ખાતે નર્મદા કેનાલ ઉપર એક યુવક અને યુવતી તેમની કારમાં જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં હતા. આ સમયે યુવકની હત્યા કરવામાં આવી હતી. જ્યારે યુવતીને પણ છરીના ધા મારીને ઈજા પહોચાડી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. સાયકો કિલર વિપુલ ઉર્ફે વિમલ ઉર્ફે નીલ પરમારની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
-
રાજકોટના હિસ્ટ્રીશીટર અજય પરસોન્ડાની વડોદરા પોલીસે મધ્યપ્રદેશના ઝાબુઆથી કરાઈ ધરપકડ
રાજકોટમાં લૂંટ – ખંડણી ના 25 ગુનામાં સંડોવાયેલો હિસ્ટ્રીશીટર અજય પરસોન્ડાની મધ્યપ્રદેશના ઝાબુઆથી ધરપકડ કરાઈ છે. રાજકોટથી વડોદરા આવીને ચેઇન સ્નેચિંગ કરતો હતો. ગત 8 સપ્ટેમ્બરના રોજ બે વૃદ્ધાના અછોડા તોડ્યા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અજય પરસોન્ડાને ઝાબુઆથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પિસ્તોલ પણ મળી આવી છે. અજય પરસોન્ડા સામે રાજકોટમાં લૂંટ – ખંડણી ના 25 ગુના નોંધાયેલા છે
-
ચોટીલા થાનગઢ માર્ગ પર રેતી ભરેલ ટ્રેકટરની ટક્કરથી આધેડનુ મોત
ચોટીલાથી થાનગઢ તરફ જવાના રસ્તા પર રેતી ભરેલ ટ્રેક્ટર ચાલકે એક આધેડને અડફેટે લેતા આધેડનુ મોતનીપજ્યું. થાનગઢ જવાના રસ્તા પર આવેલ ખુશી નગર સામે બન્યો હતો બનાવ. ટ્રેકટર ચાલક સરકારી અધિકારીની કાર જોઈ જતા ડરનો માર્યો ખુશી નગર સામે રેતી ભરેલ ટ્રેક્ટર ઉતરી દેતા સ્થળ પર ઉભેલા આધેડને કચડી નાખ્યો હતો. આધેડને તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ જવાતા તબીબે આધેડને મૃત જાહેર કર્યો હતા. મૃતક આધેડનું પી.એમ.માટે લઈ જવાયો હતો.ટ્રેકટર ચાલક અકસ્માત સર્જી ટ્રેકટર મુકી નાસી છૂટ્યો.
-
પોતાની જાતને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરે ખાધો ગળાફાંસો
રમેશ ફેફરે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી. રમેશ ફેફર પોતાની જાતને કલ્કી અવતાર ગણાવતો હતો. રાત્રીના સમયે ગળેફાંસો લગાવીને પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી. પોલીસે પોસ્ટમોર્ટમ કરીને કાર્યવાહી શરૂ કરી છે.
-
કેન્દ્રીય ગૃહપ્રધાન આવશે માણસા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે આજે બીજા નોરતે પરંપરા મુજબ અમિત શાહ પરિવાર સાથે માણસાની મુલાકાતે આવશે અને સહપરિવાર કુળદેવી બહુચર માતાજીના દર્શન કરી મા બહુચરની આરતી પણ કરશે. મહત્વનું છે કે દર વર્ષે ગૃહપ્રધાન અમિત શાહ નવરાત્રિ દરમિયાન માદરે વતન આવતા હોય છે અને કુળદેવી બહુચર માતાજીના મંદિરે દર્શન કરી પૂજા પણ કરે છે.
-
તાપી: નિઝર અને કુકરમુંડા તાલુકો સજ્જડ બંધ
તાપી: નિઝર અને કુકરમુંડા તાલુકો સજ્જડ બંધ છે. મહારાષ્ટ્રના નંદુરબારમાં યુવકની હત્યાના તાપીમાં પડઘા પડ્યા છે. આદિવાસી સમાજે આરોપીઓ સામે કાર્યવાહીની માગ કરી. આરોપીને ફાંસીની માગ સાથે કુકરમુંડા-નિઝરમાં બંધ રાખવામાં આવ્યુ. તમામ દુકાનદારોએ આદિવાસીઓને સમર્થન આપ્યું.
-
રાજસ્થાનના કોટામાં ગુજરાતી વેપારીઓના અપહરણનો પર્દાફાશ
મહારાષ્ટ્રમાં વ્યવસાય કરતા પોરબંદરના બે ગુજરાતી વેપારીઓનું અપહરણ કરીને 20 લાખની ખંડણીની માંગણી કરનાર આરોપીઓને રાજસ્થાનના કોટામાંથી ઝડપવામાં આવ્યા છે. 5 શખ્સોએ વેપારીઓના ઘરે ઘુસી તેમને કબ્જે લીધા હતા અને બાદમાં મહિલાને સામેલ કરીને બ્લેકમેલ કરવાનો શડયંત્ર રચ્યું હતું. કોટા પોલીસે ઘટનાની ગંભીરતાને દ્યાને લઈ ઝડપી કાર્યવાહી કરીને વેપારીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને એક કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઘટનાની તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ એક વ્યૂહબદ્ધ રીતે ખંડણી મેળવવાનો પ્લાન બનાવી રહેલા હતા, પણ પોલીસની સજાગતા અને ઝડપી એક્શનના કારણે તેમની યોજના નિષ્ફળ ગઈ.
-
નવસારી: અંબિકા નદીમાં સર્જાઇ ઘોડાપૂરની સ્થિતિ
નવસારી: અંબિકા નદીમાં સર્જાઇ ઘોડાપૂરની સ્થિતિ છે. ડાંગ-મહારાષ્ટ્રના વરસાદી પાણી નવસારી સુધી પહોંચ્યા. અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. 8 ઇંચ વરસાદ પડતા પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે. બીલિમોરાના બંદર રોડ, ધોબી તળાવ પાસેથી લોકોનું સ્થળાંતર થઇ રહ્યુ છે. પૂરની સ્થિતિને લઇ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક છે.
-
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવનું ઉદ્ઘાટન
ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવનું ઉદ્ઘાટન થયુ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોન્કલેવનું ઉદ્ઘાટન કર્યું. હાયર અને ટેક્નિકલ એજ્યુકેશન સાથે સંકલિત સ્ટાર્ટઅપ છે. નવા વિચારો સાથે વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે કટિબદ્ધ છે.
-
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન અસરગ્રસ્ત
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલે જનજીવનને અસર પહોંચાડી છે. છેલ્લા 24 કલાકમાં આહવામાં 4.61 ઈંચ અને સાપુતારામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ખાતર, બાજ, અને આંબાપાડા જેવા વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. અંબિકા, ગીરા અને પૂર્ણા નદીઓમાં ઘોડાપૂર આવતાં નદીકાંઠાના વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પિંપરી નજીક હનુમાનજી મંદિર પાસે જમીન ધોવાઈ જતાં ભયજનક સ્થિતિ સર્જાઈ છે. નવરાત્રીની શરૂઆતમાં વરસાદે ખલેલ પોહચાવતા ખેલૈયાઓના ઉત્સાહમાં ઠંડક આવી છે. ઉપરાંત, અનેક સ્થળોએ કોઝવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ થયો છે, જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની અવરજવર મુશ્કેલ બની છે. તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે.
-
પોલીસ કંટ્રોલરૂમના એડમિન PIનું હડકવાના અવસાન
અમદાવાદઃ શ્વાનપ્રેમીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પોલીસ કંટ્રોલરૂમના એડમિન PIનું હડકવાથી અવસાન થયુ છે. એક મહિના અગાઉ પાલતું શ્વાનનો નખ વાગ્યો હતો. પાલતું શ્વાનનો નખ વાગતા હડકવા થયો હતો. તબીયત લથડતા PIને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, સારવાર દરમિયાન PI વી.એસ.માંજરીયાનું અવસાન થયુ.
-
અમરેલીમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતની કાર પર હુમલો
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દૂધાળા ગામ નજીક મોડી રાત્રે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાતની કાર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર, સોમનાથથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે રસ્તામાં તેમના વાહનને રોકીને ધોકા વડે હુમલો કરાયો. જોકે, ડ્રાઈવરની ચતુરાઈ અને સમયસૂચકતાથી કાર ઝડપથી દોડી જતા મોટી ઘટના ટળી હતી. હાલ સુધીમાં આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ સમગ્ર ઘટનાને લઈ ચર્ચાનો માહોલ છે અને લોકલ પોલીસ વધુ તપાસમાં લાગી છે.
-
કોલકાતામાં ભારે વરસાદ, વીજળી પડવાથી 5 લોકોના મોત
કોલકાતામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. આ દરમિયાન પાણીમાં વીજ કરંટ પસાર થવાથી પાંચ લોકોના મોત થયા છે. કોલકાતાના અમુક વિસ્તારોમાં વીજ લાઇનો કાપવાનો CESCને નિર્દેશ આપવામાં આવ્યો છે.
-
જમીન કૌભાંડ: રાંચી અને દિલ્હીમાં 9 સ્થળોએ ED ના દરોડા
મંગળવારે સવારે જમીન કૌભાંડ પર ED એ મોટી કાર્યવાહી શરૂ કરી. કેન્દ્રીય એજન્સીની ટીમોએ દિલ્હીમાં 3 અને રાંચીમાં 6 સહિત કુલ 9 સ્થળોએ દરોડા પાડ્યા. આ કેસ રાંચીના કેંકે બ્લોકમાં જમીન સાથે સંબંધિત છે. તપાસમાં બહાર આવ્યું છે કે કમલેશ કુમાર અને તેના સાથીઓએ સર્કલ અધિકારીઓ સાથે મળીને નકલી દસ્તાવેજો તૈયાર કરવા અને જમીન વેચવાનું કાવતરું ઘડ્યું હતું.
-
દેવભૂમિદ્વારકા: બરડા ડુંગરમાં નશાના દૂષણ પર પોલીસ ત્રાટકી
દેવભૂમિદ્વારકા: બરડા ડુંગરમાં નશાના દૂષણ પર પોલીસ ત્રાટકી. ભાણવડના બરડા પર્વત વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા. ધમધમતી દેશીદારૂની ભઠ્ઠી પર ભાણવડ પોલીસે સપાટો બોલાવ્યો. 1600 લીટર દેશી દારૂનો આથો અને દારૂ ભરેલા બેરલો તોડાયા. ભાણવડ પોલીસના દરોડા પડતા આરોપીઓ ફરાર થયા. ફરાર આરોપીને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
-
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓમાં પાણીની આવક
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી નદીઓમાં પાણીની આવક થઇ રહી છે. ઓરંગા, પાર, વાંકી અને દમણ ગંગા નદીમાં પાણીની આવક વધી છે. તંત્ર દ્વારા કુલ 16 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં. નીચાળવાળા કોઝવે પર પાણી ફરી વળતા બેરિકેટ મુકાયા. 16 રસ્તા બંધ થતા લોકોને 10થી 15 કિમીનો ફેરો ફરવાનો વારો આવ્યો.
-
વડોદરા: વાઘોડિયામાં સ્કૂલ વાન પલટતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
વડોદરા: વાઘોડિયામાં સ્કૂલ વાન પલટતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. દત્તપુરા પેટ્રોલપંપ નજીક વાનનું ટાયર ફાટતા અકસ્માત થયો, સોમાતળાવ સ્થિત SSV સ્કૂલની વાનને અકસ્માત નડ્યો. સ્કૂલ વાન પલટતા 7 વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. વાલીઓ અને શાળા સંચાલકો પણ હોસ્પિટલમાં હાજર છે.
-
વલસાડ: પહેલા નોરતે જ જામ્યો વરસાદ
વલસાડ: પહેલા નોરતે જ જામ્યો વરસાદ ખાબક્યો છે. ગરબા વચ્ચે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. વરસાદમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા. ખેલૈયાઓએ ધોધમાર વરસાદમાં માણી ગરબાની મોજ.
-
અમિત શાહ આજે ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે.
અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે.
-
વડોદરાઃ નોરતાના પહેલા દિવસે યુનાઇડેટ વેના ગરબામાં વિવાદ
વડોદરાઃ નોરતાના પહેલા દિવસે યુનાઇડેટ વેના ગરબામાં વિવાદ સર્જાયો. ગ્રાઉન્ડમાં કાદવ કિચ્ચડને લઇને ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો. યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેલૈયાઓએ રિફંડ માટે રજૂઆત કરી. ગાયક અતુલ પુરોહિતની મધ્યસ્થી બાદ પણ ખેલૈયાઓ ન માન્યા. ખેલૈયાઓનો વિરોધ જોતા આયોજકોએ ઢીલા પડ્યા. ગરબા ન રમવા હોય તો રિફંડની જાહેરાત બાદ થાળે મામલો પડ્યો.
Published On - Sep 23,2025 7:48 AM