ગીરના સિંહોને લઈને સરકાર એલર્ટ, CMએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીરમાં સિંહ બાળ મૃત્યુ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. ચાર સિંહ બાળના મૃત્યુ બાદ 17 સિંહોને આઇસોલેટ કરાયા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગીર વિસ્તારમાં થયેલા સિંહ બાળના મૃત્યુ મામલે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમગ્ર ઘટનાની તલસ્પર્શી માહિતી મેળવી હતી. બેઠક દરમિયાન વન વિભાગના અધિકારીઓએ હાલની પરિસ્થિતિ અને લેવામાં આવી રહેલા પગલાં અંગે વિગતવાર રજૂઆત કરી હતી.
વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડો. વિનોદ રાવે માહિતી આપતા જણાવ્યું હતું કે ચાર સિંહ બાળના મૃત્યુ અલગ અલગ વિસ્તારોમાં નોંધાયા છે. સાવચેતીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોના કુલ 17 સિંહોને આઇસોલેટ કરીને તેમની ખાસ દેખરેખ અને સારવાર કરવામાં આવી રહી છે.
ગીર ગઢડા અને બાબરીયા વિસ્તારની આશરે 10 કિલોમીટર ત્રિજ્યામાં આવેલા તમામ સિંહોનું સઘન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી અન્ય કોઇ ગંભીર બિમારીના લક્ષણો સામે આવ્યા નથી. સાથે સાથે અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસુલી વિસ્તારોમાં રહેલા સિંહોનું પણ વન વિભાગ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેનો દૈનિક અહેવાલ મેળવવામાં આવે છે.
ઉનાળાની શરૂઆતમાં જોવા મળતી સીઝનલ બિમારીઓને ધ્યાનમાં રાખીને ગીર વિસ્તારમાં 350થી વધુ સિંહોના ડી-ટીકીંગ સહિતના આરોગ્યલક્ષી પગલાં હાથ ધરવામાં આવ્યા છે. આ કામગીરીમાં જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાત તબીબોની ટીમ પણ જોડાઈ છે, તેવી માહિતી હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ જયપાલ સિંહે આપી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ જયપાલ સિંહ અને મુખ્યમંત્રીના સચિવ ડો. અજયકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ગુજરાતના ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, ફેન્સિંગ સહાયમાં મોટો વધારો
