રાહતના સમાચાર, Gujarat માં માર્ગ અકસ્માતમાં 44 ટકાનો ઘટાડો, રોડ સેફટી અવરનેસ કાર્યક્રમનો સિંહફાળો
ગાંધીનગર ખાતે રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વર્ષ 2012 ને પાયાના વર્ષ તરીકે ગણીએ તો તેની સરખામણીએ વર્ષ 2022 માં રાજ્યમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં 44 ટકાનો ઘટાડો થયો છે.
Gandhinagar : ગુજરાતમાં(Gujarat) છેલ્લા 10 વર્ષમાં રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટ્યું છે. જેમાં અકસ્માતના સ્થળથી હોસ્પિટલ પહોંચી સારવાર મેળવવાના સમયમાં ઘટાડાના પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતમાં છેલ્લા 10 વર્ષમાં 44 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગાંધીનગર ખાતે રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વર્ષ 2012 ને પાયાના વર્ષ તરીકે ગણીએ તો તેની સરખામણીએ વર્ષ 2022 માં રાજ્યમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં 44 ટકાનો ઘટાડો થયો છે.
રાજ્યમાં 5E -એન્જીનીયરીંગ, એન્ફોર્સમેન્ટ, ઈમરજન્સી, એજ્યુકેશન એન્ડ અવેરનેસ તથા ઈફેક્ટિવ કો-ઓર્ડીનેશન થકી રાજ્યમાં માર્ગ સલામતી મુદ્દે ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
વર્ષ 2022 માં અકસ્માતનું પ્રમાણ 32.42 ટકા હતું
વર્ષ 2022 ના કુલ અકસ્માતો પૈકી 56 ટકા અકસ્માતોમાં વાહનને પાછળથી ટક્કર વાગવી, હિટ એન્ડ રન તથા સાઈડથી ટક્કર વાગવાનું પ્રમાણ વધારે છે. જ્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે વર્ષ 2022 માં અકસ્માતનું પ્રમાણ 32.42 ટકા હતું. જ્યારે સીટ બેલ્ટ ન બાંધવાને કારણે અકસ્માતના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત કુલ અકસ્માતો પૈકી 18 ટકા અકસ્માતો વિવિધ જંક્શન પર નોંધાયા છે. કુલ અકસ્માતોના બનાવો પૈકી 73 ટકાથી વધુ મોતનો ભોગ બનનારની વય 18 થી 45 વર્ષની નોંધાઈ છે. જ્યારે મૃતકોની સંખ્યામાં 67 ટકા જેટલા વ્યક્તિઓમાં મોટરબાઈકચાલકો, સાઈકલ સવાર તથા પદયાત્રીઓનો સમાવેશ થાય છે.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ભવિષ્યમાં BISAGના માધ્યમથી શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને માર્ગ સલામતી બાબતે જાગૃત કરવામાં આવશે. આગામી વર્ષથી રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6 થી 12માં ક્રમશઃ માર્ગ સલામતી અંગે પ્રકરણ દાખલ કરવામાં આવશે. ગુજરાત રોડ સેફટી ઓથોરીટી તથા સ્ટેક-હોલ્ડર વિભાગો દ્વારા રાજ્યમાં કેન્દ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ (NHAI), માર્ગ અને મકાન વિભાગ તથા શહેરી વિકાસ વિભાગના દ્વારા રાજ્યમાં વારંવાર અકસ્માત થતા હોય તેવા હાઈવે પરના બ્લેક સ્પોટ ઘટાડવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે.
મંત્રી સંઘવીએ જણાવ્યું હતુ કે આગામી દિવસોમાં નાગરિકોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવવા માટેના રાજ્યવ્યાપી પ્રયત્નો હાથ ધરવામાં આવશે, જેથી અમૂલ્ય માનવ જીવન બચાવી શકાય. બાળકોના માતા-પિતા હેલ્મેટ પહેરવા બાબતે જાગૃત થાય તથા પોતાના બાળકોને હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખે તે માટેની જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતુ. રોગ સાઈડ વાહન હંકારતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા તથા રોડ એન્જીનીયરીંગ બાબતે રોડ સાઈનેજીસ, ટ્રાફીક કામીંગ મેઝર્સ સહિતના તમામ જરૂરી પગલા લેવા જણાવ્યુ હતુ.
મંત્રીએ રાજ્યના સરખેજ-ગાંધીનગર હાઈવે, ભરૂચ-સુરત હાઈવે તથા અમદાવાદ-રાજકોટ હાઈવે ઉપર તમામ પ્રકારના પગલા લઈ માર્ગ સલામતીની દૃષ્ટિએ મોડલ રોડ તરીકે વિકસાવવા સૂચના આપી હતી. તેમજ આવી જ રીતે રાજયના અન્ય તમામ માર્ગો પર માર્ગ સલામતીને લગતા જરૂરી પગલા લેવા પર ખાસ ભાર મૂક્યો હતો. અકસ્માત પછીના તુરંત એક કલાક(ગોલ્ડન અવર)માં ઈજાગ્રસ્તને તબીબી સારવાર મળી રહે તો તેનો જીવ બચવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે તેના પર ભાર મૂકતા મંત્રીએ ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવા મંત્રીએ સૂચના આપી હતી.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો