DWARKA : ઓક્સિજનને લઈને લોકો માટે સારા સમાચાર, ૨૪ કલાક ઓક્સિજનનો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા કરતું તંત્ર
ઉપરાંત રેવન્યુ વિભાગ અને પોલીસ જવાનો દ્વારા આશાપુરા પ્લાન્ટ ખાતે ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવશે.
Devbhumi Dwarka : કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા હોય છે ત્યારે તેમને ઓક્સિજનની ખુબ જ જરૂર હોય છે. ત્યારે દર્દીના સ્નેહીજનોને ઓક્સિજન (Oxygen) માટે રઝળવું પડે છે. આ સમયે દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જીલ્લામાંથી ઓક્સિજનને (O2) લઈને લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.
હાલ કોરોના કાળ ચાલી રહ્યો હોય કોરોનાના દર્દીઓનું ઓક્સિજનનું પ્રમાણ વધ-ઘટ થઇ રહ્યું હોય ત્યારે દર્દીઓના સ્નેહીજનોને ઓક્સિજન માટે રઝળવું પડતું હોય છે અને લાંબી કતારોમાં ઓક્સિજન માટે રાહ જોવી પડતી હોય છે. ત્યારે વીતેલા 3 દિવસથી દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સીજનની અછત પડી હોવાના મેસેજ વહેતા થયા હતા.
તંત્ર દ્વારા નોડલ ઓફિસર તરીકે પ્રાંત અધિકારી તેમજ ડી.વાય.એસ.પી. અધિકારીઓની નિમણુક કરી બે અલગ-અલગ ટીમો બનાવી ૨૪ કલાક ઓક્સિજનનો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત રેવન્યુ વિભાગ અને પોલીસ જવાનો દ્વારા આશાપુરા પ્લાન્ટ ખાતે ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં સરકારી હોસ્પિટલ તેમજ પીએચસી, સીએચસી સહિતની ખાનગી હોસ્પિટલોમાં પણ પૂરતો ઓક્સિજનનો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખંભાળિયા ખાતે આવેલ કોવીડ હોસ્પીટલમાં 150 ઓક્સીજન સીલીન્ડરની જરૂરિયાત છે.
જયારે અન્ય સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 200 જેટલા ઓક્સિજન સિલિન્ડરની જરૂર હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ત્રણ લોકો દ્વારા જામનગર જીલ્લાના પડાણા ગામે આવેલ આશાપુરા ઓક્સિજન પ્લાન્ટને ખરીદી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓક્સિજનની અછત ઉભી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આશાપુરા ઓક્સિજન પ્લાન્ટ ખાતે 24 કલાકમાં 550થી 600 ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 350 ઓક્સિજન સિલિન્ડરની જ જરૂરિયાત હોવાના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનની કોઈ જ અછત નથી. સાથે જ આ પ્લાન્ટમાંથી જામનગર, પોરબંદર, જુનાગઢ જીલ્લામાંથી આવતા લોકોને પણ ઓક્સિજન સિલિન્ડર રિફીલ કરી આપવામાં આવી રહ્યું છે.
સૌથી પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાની હોસ્પિટલોમા ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહે તેને પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારે હાલ દ્વારકા જિલ્લામાં ઓક્સિજનની કોઈજ અછત નથી અને થવા પણ નહીં દેવાય તે રીતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.