રાજકોટના અગ્નિકાંડ બાદ પણ છોટાઉદેપુરના તંત્રને હજી ઉંઘ નથી ઉડી તેવું લાગી રહ્યું છે. જીહાં, નસવાડી તાલુકામાં ફાયરની સુવિધાઓ નહીં હોવાનું સામે આવ્યું છે. નસવાડી તાલુકામાં 212 જેટલાં ગામડા છે. પરંતુ ફાયર ફાઇટરની સુવિધા છે જ નહીં, તેવી લોકોની રાવ છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું. તેવી સ્થિતિ છે. કોઇ દુર્ઘટના બને ત્યારે, છોટાઉદેપુર અથવા બોડેલીથી ફાયર ફાઇટર બોલાવવા પડે છે. જે નસવાડીથી 40 કિલોમીટર દૂર છે અને જ્યારે ફાયર વિભાગ પહોંચે ત્યાર સુધી તો આગ ઓલવાઇ ગઇ હોય કે પછી બધું બળીને ખાખ થઇ ગયું હોય.
રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના ફરી ન બને તે માટે સ્થાનિકોએ ફાયરની યોગ્ય વ્યવસ્થાની માગ કરી છે. આ ઉપરાંત, સ્થાનિકોએ એવા પણ આક્ષેપ કર્યા કે, અગાઉ અનેક વખત આગના બનાવ બન્યા છે. પરંતુ તંત્રની કામગીરી નિષ્ફળ જ રહી છે. લોકો તંત્રના પાપે નિરાધાર બન્યા હોય તેવા આક્ષેપ લાગ્યા છે.
નસવાડીની સરકારી કચેરીઓની જ્યાં ફાયર સુવિધાના પૂરતા સાધનો નથી અને ક્યાંક છે તો એ બંધ હાલતમાં છે. જ્યારે TV9એ નવસાડી સેવા સદનની ઇમારતમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરી અને ડેમો કરીને બતાવવા કહ્યું ત્યારે કર્મચારીએ 1 કલાક સુધી ચાવી શોધી અને પછી પાના વડે વાલ્લ ખોલ્યો. ત્યારે ખબર પડી કે, શોભાના ગાંઠિયાની જેમ આગ ઓલવવા ફાયર સેફ્ટીના પાઇપ તો નાંખી દીધા પરંતુ પાઇપમાં પાણી તો આવતું જ નથી.
જે બાદ મામલતદાર પણ સ્થળ પર આવ્યા અને જ્યારે બેદરકારી અંગે સવાલ પૂછાયો ત્યારે પોતે આ વાતને કબૂલી કે ફાયર સેફ્ટી સુવિધા કાર્યરત નથી અને ઇમારતમાં એક્ઝિટનો દરવાજો પણ નહીં હોવાનું સામે આવ્યું. હવે જોવું રહ્યું કે બેદરકારી અંગે તંત્ર કોઇ પગલાં ભરશે કે મીડિયાના અહેવાલો સુધી જ કાર્યવાહી સીમિત રહેશે.
આ પણ વાંચો: કે ડી સાગઠિયાએ અમરેલી APMCની જમીન NA કરાવવા માગ્યા હતા અઢી લાખ રૂપિયા- ભરત કાનાબાર- Video