ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના પડઘમ આજે થશે શાંત, 7 મેના રોજ ગુજરાતની 25 સહીત 12 રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન
આજે 5 મેની સાંજે ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચારના પડઘમ બંધ થઈ જશે. તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષો પૂરા જોશ સાથે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા. ચૂંટણી પંચ, લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયું છે. લોકસભાની ચૂંટણીના બાકીના ચાર તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામ આગામી 4 જૂને જાહેર થશે.
દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં બે તબક્કાનું મતદાન થયું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન આગામી 7મી મેના રોજ થવાનું છે. ત્રીજા તબક્કાના મતદાનને કારણે આજે એટલે કે 5મી મેના રોજ સાંજે ચૂંટણીનો જાહેર પ્રચાર બંધ થઈ જશે અને 7મી મેના રોજ ગુજરાતની 25 સહીત 12 રાજ્યો- કેન્દ્ર શાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન હાથ ધરાશે.
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકની સાથે વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક પર મતદાન હાથ ધરાશે. સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન હાથ ધરાશે. લોકસભાની 25 બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. જે મુખ્યત્વે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને કારણે ખાલી પડેલી બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકોમાં પોરબંદર, વિજાપુર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા બેઠકનો સમાવેશ થાય છે.
ત્રીજા તબક્કાની ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણ, દિગ્વિજય સિંહ, ડિમ્પલ યાદવ, સુપ્રિયા સુલે સહિત અનેક મોટા ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે. અત્યાર સુધી દેશમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19મી એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થયું હતું,
ત્યારબાદ બીજા તબક્કાની ચૂંટણીમાં 26 એપ્રિલે 88 બેઠકો પર મતદાન થયું હતું, ત્યારબાદ હવે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. જે બાદ ચોથા તબક્કાનું મતદાન આગામી 13 મેના રોજ, પાંચમા તબક્કાનું 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું 25 મેના રોજ અને સાતમા તબક્કાનું મતદાન આગામી 1 જૂને થશે. જ્યારે 4 જૂને મત ગણતરી થશે.
કયા રાજ્યોમાં મતદાન થશે
ત્રીજા તબક્કાના પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થઈ જશે. તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષો પૂરા જોશ સાથે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ચૂંટણી પંચ ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયું છે. 7મી મે ના રોજ યોજાનારા મતદાનના ત્રીજા તબક્કામાં ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દાદરા અને નગર હવેલી દમણ અને દીવ, જમ્મુ અને કાશ્મીરની બેઠકોનો સમાવેશ થાય છે.
જોકે, ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરની અનંતનાગ રાજૌરી સીટ પર મતદાનની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે અહીં છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. મતદાનની ટકાવારી વધારવા માટે ચૂંટણી પંચ મતદાર જાગૃતિ અભિયાનના અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે.
કયા નેતાઓનુ ભવિષ્ય દાવ પર છે?
7 મેના રોજ ત્રીજા તબક્કાના મતદાન બાદ જેમનું ભાવિ EVMમાં સીલ કરવામાં આવશે તેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું નામ સામેલ છે. તેઓ ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. મધ્યપ્રદેશમાં વિદિશાથી શિવરાજ સિંહ ચૌહાણ, ગુના શિવપુરીથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજગઢથી દિગ્વિજય સિંહના નામ સામેલ છે.
આ સિવાય ઉત્તર પ્રદેશમાં મુલાયમ પરિવારના ડિમ્પલ યાદવ, અક્ષય યાદવ અને આદિત્ય યાદવના ભાવિનો પણ મંગળવારે નિર્ણય થશે. મહારાષ્ટ્રની બારામતી સીટ પર શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને અજિત પવારની પત્ની સુનેત્રા પવારનું ભાવિ પણ ઈવીએમમાં નક્કી થશે.