Breaking News : ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના કરુણ મોત, સૌથી વધુ 28 સિંહબાળનો સમાવેશ
સિંહોના મોત પાછળ વિવિધ ગંભીર બીમારીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જેમાં સેપ્ટિસેમિયા, ન્યુમોનિયા, હિમેજિક ન્યુમોનિયા, એનિમીયા, કિડની ફેલ્યોર અને હિપેટો-રીનલ ડિસફંક્શન જેવા રોગોનો સમાવેશ થાય છે. ખાસ કરીને સિંહબાળના મોતની સંખ્યા વધુ હોવાને કારણે વન્યજીવપ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

ગુજરાતના ગીર અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાંથી સિંહોને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ રોગોના કારણે કુલ 62 સિંહોના મોત નોંધાયા છે. મૃત્યુ પામેલા વનરાજોમાં 17 નર સિંહ, 17 માદા સિંહ અને સૌથી વધુ 28 સિંહબાળનો સમાવેશ થાય છે.
સિંહોના મોત પાછળ વિવિધ ગંભીર બીમારીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જેમાં સેપ્ટિસેમિયા, ન્યુમોનિયા, હિમેજિક ન્યુમોનિયા, એનિમીયા, કિડની ફેલ્યોર અને હિપેટો-રીનલ ડિસફંક્શન જેવા રોગોનો સમાવેશ થાય છે. ખાસ કરીને સિંહબાળના મોતની સંખ્યા વધુ હોવાને કારણે વન્યજીવપ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
સિંહોમાં રોગચાળો અટકાવવા વન વિભાગની કવાયત
સિંહોમાં રોગોને ફેલાતો અટકાવવા વન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી હોવાની ખાતરી આપવામાં આવી છે. સિંહોના સ્વાસ્થ્યની દેખરેખ સાથે રોગપ્રતિકારક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.
સિંહોમાં પરોપજીવીજન્ય સમસ્યાઓને નિયંત્રણમાં રાખવા માટે ડી-વોર્મિંગ અને ડી-ટીકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગીર અભયારણ્યની આસપાસ આવેલા નેસ અને ગામોના પશુઓનું પણ રસીકરણ કરવામાં આવ્યું છે, જેથી ઘરેલુ પશુઓ મારફતે સિંહોમાં રોગનું સંક્રમણ થવાની શક્યતા ઘટાડી શકાય.
સિંહોના લોહીના નમૂનાની લેબોરેટરીમાં તપાસ
સિંહોના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે તેમના લોહીના નમૂના લેવામાં આવી રહ્યા છે. આ નમૂનાઓને લેબોરેટરીમાં મોકલીને વિવિધ પ્રકારની તપાસ કરવામાં આવે છે. રોગના લક્ષણો ધરાવતા સિંહોની ઓળખ કરીને સમયસર સારવાર મળી રહે તે માટે પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.
ટ્રેકર્સ અને વન્યપ્રાણી મિત્રો દ્વારા સિંહોની હિલચાલ તેમજ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવે છે. સિંહની વર્તણૂકમાં ફેરફાર, અસ્વસ્થતા કે અન્ય કોઈ લક્ષણ જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવે છે.
અત્યાધુનિક સારવાર કેન્દ્રો ઉભા કરાયા
સિંહોની સારવાર માટે વન વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ સારવારની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. સાસણ, જામવાળા, જસધાર અને સક્કરબાગ ઝૂ જેવા સ્થળોએ અત્યાધુનિક સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.
વન વિભાગનું કહેવું છે કે સિંહોના સ્વાસ્થ્ય અને સંરક્ષણ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. રોગચાળો અટકાવવા માટે મોનિટરિંગ, રસીકરણ, નમૂનાની તપાસ અને સમયસર સારવાર સહિતના પગલાં લેવામાં આવી રહ્યા છે.
