Breaking News : જ્યાં સંબંધો હાર્યા અને કાગળ જીત્યા, રાજોડની રડાવી દેતી ઘટના, જુઓ Video
છોટાઉદેપુરના રાજોડ ગામમાં એક ચોંકાવનારો જમીન વિવાદ સામે આવ્યો છે. સબુર છગન રાઠવા નામના શખ્સે પોતાના મૃતક ભાઈ બલાભાઈ છગનભાઈની કરોડોની જમીન પચાવવા માટે નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. તેણે ભાઈને અપરણિત અને નિ:સંતાન દર્શાવ્યો. મૃતકના પુત્ર વારસાઈ નોંધ કરાવવા જતાં આ કૌભાંડનો પર્દાફાશ થયો. ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરીએ આ દસ્તાવેજોને નકલી ગણાવ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના રાજોડ ગામમાંથી બહાર આવેલો આ કિસ્સો માત્ર જમીન કૌભાંડ નથી, પરંતુ લોહીના સંબંધોને શરમાવે એવો વિશ્વાસઘાત છે. જ્યાં સગો ભાઈ જ ભાઈની યાદને તેના પરિવારને અને કાયદાને પગ તળે કચડી દે એવી હચમચાવી દેતી હકીકત સામે આવી છે.
જમીન માટે ભાઇને અપરણિત જાહેર કર્યા
જમીનની લાલચમાં અંધ બનેલા સબુર છગન રાઠવાએ પોતાના જ મૃતક ભાઈ બલાભાઈ છગનભાઈના અવસાન બાદ એક સુઆયોજિત ષડયંત્ર રચ્યું. ભાઈના નામે રહેલી કરોડો રૂપિયાની જમીન હડપ કરવા માટે તેણે કાગળ પર ભાઈને અપરણિત અને નિ:સંતાન જાહેર કરી દીધા. હકીકતમાં બલાભાઈ પરણિત હતા, પત્ની હયાત છે અને સંતાન પણ છે પરંતુ લાલચ સામે સત્ય હારી ગયું.
નકલી દસ્તાવેજોનો સહારો લીધો
આ આરોપીએ સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખવા માટે નકલી દસ્તાવેજોનો સહારો લીધો. ગ્રામ પંચાયતના તલાટીની ખોટી સહીઓ, નકલી સિક્કા અને બનાવટી પેઢીનામું બધું જ જાણે પૂર્વ આયોજન સાથે તૈયાર કરવામાં આવ્યું. સાક્ષીઓના ખોટા ફોટા અને બોગસ સહીઓથી પેઢીનામું ઊભું કરી, જમીન પોતાના નામે કરાવી લેવામાં આવી. કાગળ પર સત્યને મારી નાખવામાં આવ્યું.
પરંતુ કહેવાય છે ને સત્ય કેટલુંય દબાવાય, અંતે બહાર આવી જ જાય. આ કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે મૃતક બલાભાઈના પુત્ર પોતાની પિતાની જમીનની વારસા એન્ટ્રી કરાવવા સરકારી કચેરી પહોંચ્યા. ત્યાં તેમને જાણ કરવામાં આવી કે તેમના પિતા તો કાગળ પર અપરણિત છે અને જમીન તો પહેલેથી જ બીજાના નામે થઈ ચૂકી છે. એક ક્ષણમાં જ પુત્રના પગ તળેથી જમીન સરકી ગઈ.
જ્યારે ગ્રામ પંચાયતના તલાટીનો સંપર્ક કરાયો ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આવું કોઈ પેઢીનામું ગ્રામ પંચાયત કચેરીમાંથી આપવામાં આવ્યું જ નથી. જે સહી અને સિક્કાનો ઉપયોગ થયો છે તે પંચાયતના નથી. મામલતદાર કચેરીની તપાસમાં પણ આ પેઢીનામું સંપૂર્ણપણે નકલી હોવાનું બહાર આવ્યું કોઈ જાવક નંબર નહીં, કોઈ અધિકૃત નોંધ નહીં.
આજે સ્થિતિ એવી છે કે મૃતકનો પુત્ર જે હકીકતમાં કાયદેસર વારસદાર છે, તે જ પોતાના હક માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે. તેણે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે કે જમીન પરથી ખોટું નામ દૂર કરવામાં આવે અને નકલી દસ્તાવેજો બનાવનાર કાકા સબુર છગન રાઠવા સહિત આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.
આ મામલે કોલી રેસલીબેન બલાભાઈ, કોલી જશીબેન બલાભાઈ અને કોલી નટવરભાઈ બલાભાઈ દ્વારા આરટીએસ (રાઇટ ટુ સર્વિસીસ) હેઠળ અરજી પણ કરવામાં આવી છે. અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે અરજી પર સુનાવણી કરીને યોગ્ય અને ન્યાયસંગત નિર્ણય લેવામાં આવશે.
રાજોડ ગામની આ ઘટના માત્ર એક પરિવારની ટ્રેજેડી નથી, પરંતુ સમાજ માટે ચેતવણી છે જ્યાં જમીનના લોભમાં સંબંધો તૂટે છે, વિશ્વાસ ઘાયલ થાય છે અને કાયદાને પડકારવામાં આવે છે. હવે જોવાનું એ છે કે ન્યાય સત્યની બાજુએ કેટલી મજબૂતીથી ઊભો રહે છે.
અમદાવાદમાં હોર્ડિંગ્સ કૌભાંડ મોટા માથાં ફસાશે? કોની મીલીભગત? આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
