Breaking News : ફૂડ વેન્ડર્સ સાવધાન! કાં તો સ્વચ્છતા જાળવો, કાં તો દુકાન બંધ કરો, AMCની QR કોડ સિસ્ટમ લાગુ, જુઓ Video
અમદાવાદમાં 3500 થી વધુ ખાણીપીણીની લારીઓ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ પર QR કોડ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ગ્રાહકો હવે QR કોડ સ્કેન કરીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે કોર્પોરેશનને સીધો પ્રતિભાવ અને ફરિયાદ આપી શકશે. આનાથી ફૂડ વેન્ડર્સને તેમની સેવા સુધારવા પ્રોત્સાહન મળશે અને નીચા રેટિંગવાળા એકમો સામે કાર્યવાહી પણ થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય અને સુવિધા માટે એક ખૂબ જ સરસ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદની ખાણીપીણીની લારીઓ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ પર હવે QR કોડ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ નવી સિસ્ટમ શું છે અને તેનાથી ગ્રાહકોને શું ફાયદો થશે,જાણો.
QR કોડ સિસ્ટમ શું છે?
અમદાવાદની 3,500 થી વધુ ખાણીપીણીની લારીઓ અને દુકાનો પર ખાસ QR કોડ લગાવવામાં આવ્યા છે. ગ્રાહકો પોતાના મોબાઈલથી આ કોડ સ્કેન કરીને જે-તે લારી કે સ્ટોલના ખાવા-પીવાની ગુણવત્તા અને સ્વચ્છતા વિશે પોતાનો અભિપ્રાય (ફીડબેક) અથવા ફરિયાદ સીધી કોર્પોરેશન સુધી પહોંચાડી શકશે.
રેટિંગ કેવી રીતે આપવાનું રહેશે?
જ્યારે તમે QR કોડ સ્કેન કરશો, ત્યારે તમને 1 થી 5 સુધી રેટિંગ આપવાનો વિકલ્પ મળશે
- 5 રેટિંગ: ખૂબ જ સરસ (શ્રેષ્ઠ) ગુણવત્તા અને સ્વચ્છતા.
- 1 રેટિંગ: ખૂબ જ ખરાબ અનુભવ.
ગ્રાહકો અહીં સ્વચ્છતા, સ્વાદ, કે અન્ય કોઈ પણ સમસ્યા અંગે પોતાની ફરિયાદ પણ નોંધી શકશે.
નબળું રેટિંગ આપશે તો શું કાર્યવાહી થશે?
- કોર્પોરેશનના અધિકારીઓ દર અઠવાડિયે આ તમામ રેટિંગ્સની તપાસ કરશે.
- સુધારાની તક: જો કોઈ લારી કે સ્ટોલનું રેટિંગ સતત 3 થી ઓછું આવશે, તો કોર્પોરેશન પહેલા તેમને સુધારો કરવા માટે ચેતવણી આપશે. ગ્રાહકોના રિવ્યૂ વેપારીઓ સાથે પણ શેર કરાશે જેથી તેઓ પોતાની ભૂલ સુધારી શકે.
- કડક પગલાં: જો વારંવાર નકારાત્મક રેટિંગ મળશે અથવા કોઈ સુધારો નહીં થાય, તો કોર્પોરેશન તે દુકાન કે લારીને સીલ (બંધ) કરવા સુધીની કાયદેસરની કાર્યવાહી કરશે.
- QR કોડ ન લગાવવા પર દંડ: જે વેપારીઓ પોતાની લારી પર આ QR કોડ નહીં લગાવે, તેમની સામે આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવશે.
વેપારીઓનો શું પ્રતિભાવ છે?
શહેરના ઘણા ફૂડ વેન્ડર્સે આ નિર્ણયને ખુશીથી સ્વીકાર્યો છે. તેમનું માનવું છે કે:
આનાથી જેઓ સારું અને ચોખ્ખું ખાવાનું આપે છે તેમને સારું રેટિંગ અને સન્માન મળશે, જેથી તેમનો ધંધો વધશે. જેમનામાં કોઈ ખામી હશે, તેમને ગ્રાહકોના પ્રતિભાવથી પોતાની ગુણવત્તા સુધારવાની તક મળશે.
આગામી સમયમાં શું પ્લાન છે?
હાલમાં આ કાયદો માત્ર રસ્તા પરની ખાણીપીણીની લારીઓ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે જ શરૂ કરાયો છે. પરંતુ ટૂંક સમયમાં જ અમદાવાદની તમામ મોટી હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં પણ આ QR કોડ સિસ્ટમ ફરજિયાત કરવામાં આવશે.
આ પહેલનો એક જ હેતુ છે અમદાવાદના લાખો લોકોને ચોખ્ખું, સ્વાદિષ્ટ અને હાઈજેનિક (સ્વચ્છ) ખાવાનું મળે અને ખાણીપીણીના વ્યવસાયમાં પારદર્શિતા આવે. હવે ગ્રાહક પોતે જ ફૂડ ઇન્સ્પેક્ટર બનીને ગુણવત્તા નક્કી કરી શકશે!
With Input : Jignesh Patel
બાપ રે..! 48 ડિગ્રી તાપમાનથી ધ્રૂજ્યું ઉત્તર ભારત, જાણો તમારા રાજ્યમાં વરસાદ પડશે કે નહીં? આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
