Bhavnagar: 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ, ભગવાનના નવા વાઘા બનાવવાની થઈ શરૂઆત
ભાવનગર (Bhavnagr) ખાતે નીકળનારી 37મી રથયાત્રા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વર્ષોથી ભગવાનના નવાં વાઘા બનાવતા ભાવિક ભક્તે નવા વસ્ત્રો બનાવવાની શરૂઆત કરી દીધી છે.
Bhavnagar Rathyatra 2022: ભાવનગર (Bhavnagr) ખાતે નીકળનારી 37મી રથયાત્રા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરના ભાવિકો જે વર્ષોથી ભગવાનના વાઘા બનાવે છે તેમણે ભગવાનના નવા વસ્ત્રો બનાવવાની શરૂઆત કરી દીધી છે. ભાવનગરમાં બે વર્ષ બાદ 37મી રથયાત્રા નીકળશે. રાજ્યમાં અમદાવાદ બાદ બીજી સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં નીકળે છે જેનો રૂટ 17 થી 18 કિલોમીટર લાંબો છે આ વખતે કોરોના મહામારીના બે વર્ષ બાદ રથયાત્રા નીકળી રહી છે. ત્યારે રથયાત્રા સમિતિના કાર્યકરો તેમજ શહેરીજનો આ રથયાત્રા માટે ખૂબ જ ઉત્સાહમાં છે. સાથે જ ભાવનગરનું તંત્ર અને પોલીસ બેડામાં પણ આ રથયાત્રાને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા અંગેની તૈયારીઓ પણ કરવામાં આવી છે.
ભાવનગરમાં દર વર્ષે ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે આ વર્ષે રથયાત્રામાં 100 જેટલી ટ્રક, 15 ટ્રેકટર, 10 છકડાં, 8 ઘોડા, 5 હાથી અને 4 અખાડા જોડાય તેવું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા સમિતિના ચેરમેન હરુભાઈ ગોંડલીયાએ જણાવ્યા મુજબ રથયાત્રાની તૈયારીઓ માટે વિવિધ સમિતિને કામ સોંપવામાં આવ્યું છે અને શહેરમાં વિવિધ સ્થળે રથયાત્રા ઉત્સવના હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે.
ભગવાનના નવા વાઘા બનાવવાની થઈ શરૂઆત
રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરયાત્રાએ નીકળશે. ત્યારે ભગવાનને નવા વાઘા અને અંલકારોના શણગાર કરવામાં આવે છે. ભાવનગર ખાતે ભાવિક ભક્ત વર્ષોથી હરજીવનભાઈ દાણીધારીયા ભગવાનના વાઘા બનાવે છે. કાળિયા બીડમાં રહેતા મહિલા ભક્ત પ્રફુલ્લાબેન રાઠોડ દ્વારા ભગવાનને પહેરાવવામાં આવતી પાઘ અને સાફા બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મોતી અને ઝરીની લેસ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશેષ વાઘાના શણગાર સાથે જ્યારે ભગવાન રથયાત્રાએ નીકળે છે ત્યારે શહેરના નાગરિકો આ નયનરમ્ય દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
ભાવિક ભક્ત વર્ષોથી બનાવે છે વિશેષ વાઘા
ભાવનગરમાં જ્યારથી રથયાત્રાની શરૂઆત થઈ ત્યારથી ભાવિક ભક્ત હરજીવનભાઈ દાણીધારીયા નામના ભક્ત ભગવાન જગન્નાથના વાઘા રથયાત્રા માટે ખાસ તૈયાર કરે છે. તેઓ ખાસ સિલ્કના કાપડમાંથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રંગબેરંગી અને ચમકદમક વાળા ખાસ વાઘા તૈયાર કરે છે. રથયાત્રાના દિવસે ભગવાન જગનાનાથને આ વસ્ત્રો પહેરાવી શહેરના રાજમાર્ગો પર લોકોના દર્શન માટે રથયાત્રા પસાર કરાશે. આ દિવસે ભગવાનના દર્શન અને ખાસ કરીને ભગવાનને ખાસ તૈયાર કરેલા વાઘા સાથે જોવાનો એક લ્હાવો છે.