Breaking News : NEET UG પેપર લીક વિવાદ ગરમાયો, ભૂતકાળમાં 34 પેપર લીક થયા હોવાનો યુવરાજસિંહે કર્યો ખુલાસો
નીટ યુજી પરીક્ષા રદ થવાના મુદ્દે યુવરાજસિંહે નિષ્પક્ષ તપાસની આશા વ્યક્ત કરી છે. તેમણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓને કાયદાકીય ભાષામાં જવાબ આપવાની માંગ કરી.

નીટ યુજી પરીક્ષા રદ થવા મુદ્દે યુવરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે નિષ્પક્ષ તપાસની આશા વ્યક્ત કરી છે. યુવરાજસિંહે ભારપૂર્વક જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓને કાયદાની ભાષામાં સખત જવાબ આપવામાં આવે.
તેમણે ભૂતકાળમાં નીટ પરીક્ષામાં થયેલા છબરડાઓ અને રાજ્ય સરકારની પરીક્ષાઓમાં 34 પેપર લીક થયા હોવાનો ઉલ્લેખ કર્યો. પેપર લીક થવામાં વિવિધ મોડસ ઓપરેન્ડી જોવા મળે છે. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે આ ઘટનામાંથી બોધપાઠ લેવો અત્યંત જરૂરી છે.
યુવરાજસિંહે માંગ કરી છે કે પેપર લીકેજ પાછળ સંકળાયેલી ગમે તેવી મોટી વગદાર વ્યક્તિ હોય, તેની સામે કડકમાં કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. માત્ર આવી નક્કર કાર્યવાહી દ્વારા જ પેપર લીકની સમસ્યાનું નિરાકરણ શક્ય છે, અન્યથા આવી ઘટનાઓનું પુનરાવર્તન થતાં વાર નહીં લાગે.
બીજી તરફ NEET પરીક્ષા રદ્દ કરવાના મુદ્દે અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે મેડિકલ શિક્ષણમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સ્વીકાર્ય નથી. આવી ઘટનાઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માનસિક તણાવ અને અસુવિધાનું કારણ બને છે.
AMA એ મેડિકલ પ્રવેશ પ્રક્રિયાની વિશ્વસનીયતા અને પારદર્શિતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે માંગ કરી છે કે જવાબદાર વ્યક્તિઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. એસોસિએશને ભારપૂર્વક જણાવ્યું છે કે NEET જેવી મહત્વપૂર્ણ પરીક્ષામાં, જે મેડિકલ એડમિશનનો એકમાત્ર આધાર છે, તેમાં કોઈપણ અનિયમિતતા ચલાવી લેવી ન જોઈએ.
એસોસિએશને ઉચ્ચ સત્તાવાળાઓને આગામી પરીક્ષાઓમાં વિશેષ ધ્યાન રાખવા વિનંતી કરી છે. વધુમાં, વિદ્યાર્થીઓ અને વાલીઓને આવા બનાવોથી નિરાશ ન થવા અને ફરીથી તૈયારીમાં લાગી જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. બેદરકાર લોકોના કારણે વિદ્યાર્થીઓએ નિરાશ થવાની જરૂર નથી તેવો સંદેશ પણ આપવામાં આવ્યો છે.
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે