અમદાવાદમાં હવે જ્યાં જ્યાં નજર પડશે ત્યાં રામ રાજ્ય ! શબરી,લવ-કુશ,લક્ષ્મણ, વાલ્મિકી ઋષિના નામે બનશે વિકાસ પ્રોજેક્ટ
આ તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે PM મોદીની બે અપીલને અનુસરવા આગ્રહ કર્યો છે. તેમણે એક પોસ્ટ મારફતે જણાવ્યું કે- રામજી જ્યારે અયોધ્યામાં બિરાજમાન થાય ત્યારે આપણે સૌ ઘરોમાં જ્યોતિ પ્રગટાવીએ અને આ દિવસને દિવાળી તરીકે ઉજવવા અપીલ કરી.
અયોધ્યામાં દેશના કરોડો હિન્દુઓની આસ્થાનું મહાધામ બની રહ્યું છે,22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને દેશભરના લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ રામ રાજ્ય સ્થપાવા જઇ રહ્યું છે.
કુલ 9 પ્રોજેક્ટના નામાભિધાન રામાયણના પાત્રો પર
22મીએ ભગવાન રામ અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવા જઇ રહ્યા છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ જેવા કે તળાવ, ગાર્ડન અને બ્રિજના નામ રામાયણના પાત્રોના નામ પર રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અમદાવાદના ઓઢવ અને વિરાટનગર વોર્ડમાં ભાજપે રામરાજ્યનો માહોલ ઉભો કર્યો છે. શહેરમાં આવેલા પાર્ટી પ્લોટ, ગાર્ડન, તળાવ, ફુવારા, લાઇબ્રેરી અને બ્રિજ મળીને કુલ 9 પ્રોજેક્ટના નામાભિધાન રામાયણના પાત્રોને આધારે રાખવાનો નિર્ણય કરાયો છે.
રામાયણના પાત્રના નામ પર વિકાસ પ્રોજેક્ટ
વાત કરીએ નવા નામકરણની તો ઓઢવ જીઆઇડીસીનો પાર્ટી પ્લોટ હવે શ્રીરામ પાર્ટી પ્લોટ તરીકે ઓળખાશે. ઓઢવ ગાર્ડનને શબરી વાટિકા નામ આપવામાં આવ્યું છે. ઓઢવ ગામ તળાવનું નામ બદલીને લવ કુશ તળાવ કરાયું છે. જ્યારે કે ઓઢવની લાઇબ્રેરી હવે વાલ્મિકી ઋષિ લાઇબ્રેરી તરીકે ઓળખાશે. બીજી તરફ વિરાટનગરના બ્રિજને રામરાજ્ય બ્રિજ નામ આપવામાં આવ્યું છે. જ્યારે કે અજીત મિલના બ્રિજનું નામ લક્ષ્મણ બ્રિજ કરાયું છે.
તમામ સ્થળોની ઓળખ રામાયણના પાત્રો પર
આગામી સમયમાં આ તમામ સ્થળોની ઓળખ રામાયણના પાત્રો પરથી થશે. અત્યાર સુધી વિકાસ પ્રોજેક્ટના નામ કોઇ શહીદ વ્યક્તિ, કોઇ રાજકીય વ્યક્તિ કે પછી સામાજીક કાર્યકરના નામ પર રાખવામાં આવતા હતા, પરંતુ પહેલીવાર એક સાથે આટલા નામ અને એ પણ રામાયણના પાત્રો પરથી રાખવા એ કદાચ અમદાવાદના ઇતિહાસની પહેલી ઘટના છે.
તો આ તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે PM મોદીની બે અપીલને અનુસરવા આગ્રહ કર્યો છે. તેમણે એક પોસ્ટ મારફતે જણાવ્યું કે- રામજી જ્યારે અયોધ્યામાં બિરાજમાન થાય ત્યારે આપણે સૌ ઘરોમાં જ્યોતિ પ્રગટાવીએ અને આ દિવસને દિવાળી તરીકે ઉજવવા અપીલ કરી.
ચોક્કસથી, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠા દરમિયાન ભક્તોની ભારે ભીડ રહેવાની છે. જેને લઇ રામજીના દર્શન કરવા અન્ય કોઇ દિવસે આવવું. જેથી ભક્તોને અગવડતાનો સામનો ન કરવો પડે.. મહત્વનું છે, આ અપીલ PM મોદીએ કરી હતી અને આ સૂચનાને અનુસરવા હવે મુખ્યપ્રધાને આગ્રહ કર્યો.