વિધવા મહિલાને કુરિવાજોને લઈ અત્યાચાર કરતા સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ, અમદાવાદનો કિસ્સો
એક તરફ સમાજ શિક્ષિત અને આધુનિક થઈ રહ્યોં છે ત્યારે બીજી તરફ કુરિવાજોના પણ કિસ્સાઓ છાશવારે સામે આવી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદ થી સામે આવ્યો છે. એક વિધવા મહિલાએ તેના સાસરીયાના અત્યાચાર અને માનસિક હેરાનગતિ થી કંટાળી પોલીસની મદદ માંગી છે.
આધુનિક અને શિક્ષિત જમાનામાં કુરિવાજ નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિધવા મહિલાને વિધવા થયા બાદના નિયમો પાડવા માટે સાસરીયા તરફથી ફરજ પાડવામાં આવતી હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસમાં નોંધાઈ છે.
વિધવા મહિલાથી અત્યાચાર સહન ન થતા તે પોતાના પિયર ચાલી ગઈ હતી અને તેણે પોલીસનો સહારો લીધો હતો. સમગ્ર મામલે પોલીસ મથકમાં સાસરિયાં પક્ષના સભ્યો વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિધવા પર અત્યાચાર
એક તરફ સમાજ શિક્ષિત અને આધુનિક થઈ રહ્યોં છે ત્યારે બીજી તરફ કુરિવાજોના પણ કિસ્સાઓ છાશવારે સામે આવી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદ થી સામે આવ્યો છે. એક વિધવા મહિલાએ તેના સાસરીયાના અત્યાચાર અને માનસિક હેરાનગતિ થી કંટાળી પોલીસની મદદ માંગી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી વિધવા મહિલાના પતિ બે મહિના પહેલા પારિવારિક સમસ્યા ને કારણે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું.
જે બાદ મહિલાના જેઠ, જેઠાણી, દેર, કાકા સસરા સહિતના લોકો દ્વારા વિધવા મહિલાને હેરાન કરતા હતા. મહિલાને માર કૂટ કરી તેને વિધવા થતાં પછીના નિયમો પાળવા દબાણ કરતા હોવાનો આક્ષેપ સાથે મહિલાએ ચાંદખેડા પોલીસ મથકમાં સાસરી પક્ષના દસ જેટલા સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા પર પાબંધીઓ ફરમાવી
મહિલાએ આક્ષેપ કરતા કહ્યું છે કે ગત 14 મે ના તેના પતિએ બરોડા આપઘાત કર્યો હતો. પતિના મૃત્યુ બાદ સાસરિયાં પક્ષ દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મહિલાને વિધવા બાદના જે નિયમો હોય તે પાળવા માટે દબાણ કરવામાં આવતું હતું. મહિલાને જમવામાં પાણી ઉમેરી, રૂમના દરવાજા પર જ જમવાનું આપી દેતા હતા, મહિલાના જમવાના વાસણો અલગ રાખવામાં આવતા હતા.
મહિલાને સફેદ કપડાં જ પહેરવાનું કહેતા, મોબાઈલ ફોનનો ઉપયોગ પર મનાઈ કરતા, બાઈક ચલાવવા પણ મનાઈ કરતા હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત સાસરીયા પક્ષના સભ્યો અપશબ્દો બોલતા અને બાળક નહિ હોવાને કારણે મેણાટોણા પણ મારતા હતા. એટલું જ નહીં સ્કીન બ્લેક હોવાને કારણે પણ ટિપ્પણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પતિ ચેસમાં માસ્ટર હતા
મહત્વનું છે કે મહિલાના પતિ ચેસમાં નેશનલ સ્ટેજ સુધી રમ્યા હતા અને તેઓ બાળકોને ચેસનું કોચિંગ આપતા હતા. આ દંપતી પારિવારિક સમસ્યાને કારણે અમદાવાદ થી બરોડા રહેવા જતું રહ્યું હતું અને જ્યાં પતિ દ્વારા ચેસનું કોચિંગ આપવામાં આવતું હતું. પતિના મોટાભાઈ દ્વારા મકાનની પ્રોપર્ટી તેમના નામે કરી લીધી હતી અને મિલકતને લઈને એક મહિનામાં રૂપિયા આપવાના હતા. પરંતુ નાનાભાઈએ પૈસા નહીં આપતા પતિને મનમાં લાગી આવતા તેણે ગળેફાસો ખાઈ બરોડામાં આત્મહત્યા કરી હતી.
પતિના આપઘાત બાદ બે મહિના મહિલા પર અત્યાચાર કરી માર મારી તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. હાલ તો મહિલાએ તેમના સાસરીયા પક્ષના 10 જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદને આધારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જોકે અત્યારના આધુનિક યુગમાં વિધવા ના નિયમો પાડવા જેવા કુરિવાજો સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો માની શકાય.