અમદાવાદમાં ઓઢવ કેનાલ નજીક તણાયેલા યુવકનો મળ્યો મૃતદેહ, તંત્રની ઘોર બેદરકારીને પાપે ગયો જીવ
અમદાવાદમાં ઓઢવ ફાયર સ્ટેશન નજીકની કેનાલ નજીક ભરાયેલા ગટરના પાણીમાં બાઈકચાલક યુવક તણાયો હતો. વરસાદી પાણી અને ગટરના પાણીને વહેણમાં બાઈકચાલક તણાયો અને ડ્રેનેજ લાઈનમાં ગરકાવ થઈ ગયો હતો. આખરે 10 કલાક બાદ યુવકનો મૃતદેહ મળ્યો છે.

અમદાવાદ મહાનગર પાલિકા પ્રિમોન્સુન કામગીરી પાછળ કરોડો રૂપિયાનું તોતિંગ બજેટ ફાળવે છે પરંતુ પ્રિમોન્સુન કામગીરી ક્યારેય થતી હોય તેવુ જણાતુ નથી. દર વર્ષે એ જ થોડા વરસાદમાં જ અમદાવાદના રસ્તાઓ જળમગ્ન બની જાય છે. તેમા પણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાણી ભરાય છે પરંતુ તંત્ર દ્વારા ત્યાં નામ માત્રની પણ કામગીરી થતી નથી. અહીં ન માત્ર વરસાદી પાણીનો ભરાવો થાય છે પરંતુ ગટરો બેક મારવાથી ગરટોના પાણી પણ રસ્તા પર ફરી વળે છે અને સ્થાનિકો પારાવાર દર વર્ષે પારાવાર હાલાકી સહન કરે છે. આગે સે ચલી આતી હૈની જેમ નીંભર બનેલા મહાનગરપાલિકાના સત્તાધિશોને આ લોકોની સમસ્યાની કંઈ જ પડી નથી. આ જ કારણ છે કે ઓઢવ વિસ્તારમાં ફાયર સ્ટેશન કેનાલ નજીક છેલ્લા કેટલાય સમયથી પાણી ભરાય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાઈ નહીં. તંત્રની આ બેદરકારીના પાપે એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. કેનાલ નજીક ભરાયેલા પાણીમાં ત્યાંથી પસાર થઈ રહેલો બાઈક ચાલક યુવક બાઈક સાથે તણાયો હતો અને સીધો તણાઈને ડ્રેનેજ લાઈનમાં ગરકાવ થઈ ગયો હતો. જેમા ડૂબવાથી યુવકનું મોત થયુ છે.
જુઓ Video
Biker Swept Away in Rainwater; Body Found Near Odhav Fire Station After 10 Hours#Ahmedabad #GujaratRains #Monsoon2025 #Monsoon #Rain #GujaratRain #GujaratMonsoon #Weather #WeatherUpdates #GujaratWeather #TV9Gujarati pic.twitter.com/BNhcPNNyEk
— Tv9 Gujarati (@tv9gujarati) June 26, 2025
સ્થાનિકોનું કહેવુ છે કે જો મનપા દ્વારા ડ્રેનેજ લાઈનમાં એક જાળી મુકવામાં આવી હોત તો આ યુવકનો જીવ બચી શક્યો હોત. ત્યારે સવાલ એ છે કે આ યુવકના મનપાની બેદરકારી જવાબદાર નહીં તો બીજુ કોણ ? વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુ છે કે આ રીતે પૂરના પાણીમાં ડૂબવાને કારણે અમદાવાદમાં ત્રણ લોકોના મોત થયા છે. સૌપ્રથમ મધુમાલતી આવાસમાં પાણી ભરાયેલા હોવાને કારણે એમ્બ્યુલન્સ આવી શકી ન હતી અને એક વ્યક્તિનો જીવ ગયો હતો. જ્યારે દરિયાપુરમાં કરંટ લાગવાથી એક વ્યક્તિનું મોત થયુ અને ગટરના પાણીમાં ડૂબવાથી બાઈકચાલક યુવકનો જીવ ગયો છે.
આ ત્રણ લોકોના મોત મામલે વિપક્ષ નેતાએ તાત્કાલિક FIR કરવાની અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ કરી છે.
તો બીજી તરફ મનપાનું કહેવું છે કે મનપા દ્વારા યોગ્ય બેરિકેડિંગ કરાયા હતા. પરંતુ, ભારે વરસાદ અને પવનને પગલે બેરિકેડિંગ હટી જતા આ દુખત ઘટના ઘટી છે. પરંતુ, સમગ્ર મામલે તપાસ બાદ યોગ્ય પગલાં લેવાશે.
જો કે સમગ્ર ઘટના અનેક સવાલો ઉઠાવી રહી છે. કારણ કે ચોમાસા પહેલાં પૂરાં કરવાના કામ હજુ પણ પૂરાં થયા નથી. શહેરોમાં ઠેર-ઠેર ખાડાઓ હોઈ લોકો માટે મુશ્કેલીઓ વધી છે.