અમદાવાદની રાજસ્થાન સ્કૂલ પર મનમાનીનો આરોપ, 200 વિદ્યાર્થીઓને રિઝલ્ટની સાથે LC પકડાવી દેતા વાલીઓનો હંગામો- VIDEO
અમદાવાદના શાહીબાગમાં આવેલી રાજસ્થાન સ્કૂલે તાનાશાહી રીતે 200 વિદ્યાર્થીઓને રિઝલ્ટની સાથે LC પકડાવી દેતા વિવાદ થયો છે. વાલીઓને કોઈ જ પ્રકારની અગાઉ જાણ કર્યા વિના શાળાએ વર્ગો બંધ કરવાનો મનસ્વી નિર્ણય કરતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન શાળાની દાદાગીરી સામે આવી છે. ખૂદ વાલીઓએ રાજસ્થાન શાળા પર મનમાની કરતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યા છે. અગાઉ શાળાએ વર્ગખંડ બંધ કરવા DEO સમક્ષ અરજી કરી હતી. જે અરજી DEO સ્વીકારી ન હોવા છતાં શાળાએ મનસ્વી નિર્ણય લઈ એક સાથે 200 વિદ્યાર્થીને LC પકડાવી દેતા. જેને લઈ વાલીઓ ચિંતામાં આવ્યા અને વાલીઓએ એકઠા થઈ શાળા બહાર ભેગા થતા શાળાએ મુખ્ય દરવાજો બંધ કરી દીધો. જે બાદ વિદ્યાર્થીઓને પણ શાળામાં પ્રવેશ આપવામાં ન આવ્યો જેથી રોષે ભરાઈ વાલીઓએ ભારે હંગામો કર્યો હતો.
વાલીઓ એકઠા થતા શાળા સંચાલકોએ પોલીસ બોલાવી અને તેઓને શાળાના ગેટ આગળથી ખસેડવાનો પ્રયાસ કર્યો. વાલીઓને ચિંતા છે કે અત્યારે તેમના બાળકોને કોઈ શાળામાં પ્રવેશ નહીં મળે. ત્યારે હવે જોવું રહ્યું કે 200 બાળકોનું ભવિષ્ય ના બગડે તેને લઈ અમદાવાદના DEO શું નિર્ણય લે છે.
રાજસ્થાન શાળાએ અગાઉ અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) સમક્ષ ધોરણ 1 થી 5 સુધીના વર્ગો બંધ કરવાની અરજી આપી હતી. પરંતુ DEO કચેરીએ શાળાની માંગણી મંજૂર ન કરી. છતાં શાળાએ નિયમોને અવગણીને વિધિવત મંજૂરી વગર વિદ્યાર્થીઓને શાળાથી કાઢી મૂક્યા હોવાનું વાલીઓનો આક્ષેપ છે.
શાળાના તાનાશાહી વલણ સામે વાલીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો અને શાળા સામે આંદોલનના મૂડમાં દેખાયા હતા. વાલીઓની રજૂઆત છે કે શાળાના આ પ્રકારના મનસ્વી પગલાથી 200 વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સંકટ તોળાઈ રહ્યુ છે. હવે આ બાળક ક્યા જશે, વર્ષના મધ્યમાં અન્ય શાળામાં પ્રવેશ મળવો પણ મુશ્કેલ છે. ત્યારે આ સ્થિતિમાં વાલીઓની ચિંતા વધી છે.
શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. વાલીઓએ શિક્ષણ વિભાગ સમક્ષ આ મામલે યોગ્ય પગલા લેવાની માંગ ઉઠાવી છે અને આશા વ્યક્ત કરી છે કે DEO વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થવા ન દે.