Ahmedabad: એરપોર્ટને પણ ટક્કર મારે તેવું બનશે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક સાથે તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ફરી એકવાર આ જ સ્ટેશનની 4 હજાર કરોડના ખર્ચે કાયાપલટ કરવાનો નિર્ણય કરાયો છે. મંગળવારે મળેલી એક બેઠકમાં નવું સ્ટેશન કેવું હશે તેનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.
અમદાવાદ (Ahmedabad) માં એરપોર્ટને પણ ટક્કર મારે તેવું રેલવે સ્ટેશન (Railway Station) બનાવવામાં આવી રહ્યું છે. કેમ કે નવો લુક કાલુપુર રેલવે સ્ટેશનને આપવાનો નિર્ણય રેલવે વિભાગે કર્યો છે. મંગળવારે રેલવે વિભાગની મેટ્રો AMC અને બુલેટ ટ્રેન પ્રોજેકટ (Bullet train Project) સાથે મિટિંગ મળી હતી. જેમાં નવું કાલુપુર સ્ટેશન કેવું હશે તેનું પ્રેન્ઝટેશન રજૂ કરાવામાં આવ્યું હતું. પ્રેઝન્ટેશનમાં જે નવું સ્ટેશન એરપોર્ટને પણ ટક્કર મારે તેવું દર્શાવવામાં આવ્યું છે. સ્ટેશન બનાવવા 4 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. સ્ટેશનની સંપૂર્ણ ડિઝાઇન બનાવતા 1 વર્ષનો સમય લાગશે.
ડિઝાઇન તૈયાર થયા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા થશે અને બાદમાં રેલવે સ્ટેશનને નવો અને આધુનિક લુક આપવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે હાલ 4 પ્લાન તૈયાર કરાયા છે જે પ્લાન માંથી એક પ્લાન પર વિશેષ ચર્ચા વિચારણા કરી મહોર લગાડવામાં આવશે અને તે પ્લાન પ્રમાણે કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે.
અલગ અલગ પ્લાનમાંથી એક પ્લાન ન્યુયોર્કમાં બનેલા હડસન હાઈલાઈનની ડિઝાઇન પર સ્ટેશન બનવાની શક્યતાઓ ચર્ચાઈ રહી છે. કેમ કે મિટિંગમાં હડસન હાઈલાઈન પાર્કની ડિઝાઇન પરથી તૈયાર કરાયેલા સ્ટેશનની ડિઝાઇન દર્શવાઈ હતી. ડિઝાઇન પ્રમાણે જુના ટ્રેકની સંખ્યા જાળવી રાખી અથવા ટ્રેકની સંખ્યા વધારે બનાવાશે. જેથી ટ્રેનની અવરજવર પર કોઈ અસર ન પડે અને મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધા મળી રહે.
કેવું હશે નવું કાલુપુર રેલવે સ્ટેશન
મંગળવારે મળેલી બેઠકમાં સ્ટેશનના નવા લુકની ડિઝાઇન રજૂ કરવામાં આવી. જેમાં ન્યુયોર્કના હડસન હાઈલાઈન પાર્ક પરથી બનાવવામાં આવેલ ડિઝાઇન દર્શાવવામાં આવી. નવા સ્ટેશનમાં કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધીનો વિસ્તાર ડેવલપ કરાશે. જેમાં ગાર્ડન, મોલ સાથે એલિવેશન રોડ બનશે. બુકીંગ એરિયા અને રેસ્ટ રૂમ પણ હશે. તમામ ડેવલપમેન્ટ આધુનિક ટેકનોલોજી સાથે ઉભું કરાશે. જોકે આ ડેવલપમેન્ટ વચ્ચે રેલવે માટે પરિસર પાસે આવેલ હેરિટેજ ઝુલતા મિનારા હોવાથી તેને દૂર ન કરી શકાય જેથી ઝુલતા મિનારા વિસ્તાર ડેવલપ કરી અને તેને નવો લુક આપવાનું નક્કી કરાયું છે. જેથી ઝુલતા મિનારા જળવાઈ રહે.
આ ડેવલપમેન્ટમાં 20 એકર વિસ્તાર ગ્રીન સ્પેસ હશે. વિશાળ એન્ટ્રી એક્ઝીટ પોઇન્ટ હશે. મુસાફર કાલુપુર અને સરસપુર બંને તરફથી એન્ટ્રી લઈ શકશે. હાલમાં રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા છે તેમાં નવું સ્ટેશન બન્યા બાદ સંખ્યા 4 ગણી સમાવી શકાશે. નવું સ્ટેશન બન્યા બાદ ટ્રાફિક સમસ્યા ન સર્જાય માટે તેના પર વિશેષ ધ્યાન આપી એલિવેટેડ રોડની પસંદગી કરાઈ છે.
ટ્રેન વ્યવહાર પર અસર ન પડે તે રીતે તૈયાર કરાશે નવું સ્ટેશન
1930 માં અમદાવાદ રેલવે સ્ટેશન નાનું અને નહિવત ટ્રેન તે પણ વરાળ પર ચાલતી ટ્રેન આવતી હતી. જે બાદ 1966 થી કાલુપુર રેલવે સ્ટેશન 12 પ્લેટફોર્મ અને 16 ટ્રેક સાથે 200 ટ્રેની અવરવર સાથે કાર્યરત છે અને બાદમાં ગત વર્ષે એટલે કે 2021 માં કાલુપુર રેલવે સ્ટેશનને સમય સાથે હેરિટેજ લુક આપવામાં આવ્યો અને હવે તે જ સ્ટેશનને ભારતનું સૌથી આધુનિક સ્ટેશન બનાવવા પહેલ કરાઈ છે. નવું સ્ટેશન ટ્રેન વ્યવહાર પર અસર ન પડે તે રીતે તૈયાર કરાશે.
મળતી માહિતી મુજબ આગામી ઓલિમ્પિક ગેમ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની ચર્ચા છે. જે પહેલા આ તમામ કામગીરી પૂર્ણ કરી નવું સ્ટેશન તૈયાર કરી દેવાશે. જેથી ઓલિમ્પિક પહેલા મુસાફરોને નવું અતિ આધુનિક એરપોર્ટને પણ ટક્કર મારે તેવું રેલવે સ્ટેશન મળી રહે. અમદાવાદ અને ગુજરાતને એક નવું નજરાણું મળી રહે જે ગુજરાતની શાનમાં વધારો કરશે.
આ પણ વાંચો:
Rajkot: કોંગ્રેસે મોંઘવારીના વિરોધ પ્રદર્શન માટે મંજૂરી માગી, પોલીસે આ કારણ જણાવી મંજુરી ન આપી
આ પણ વાંચો: