ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કથિત ચૂંટણી આચારસંહિતા ભંગની નોંધ લીધી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ સામસામે ધર્મ, જાતિ, સમુદાય અથવા ભાષાના આધારે નફરત અને વિભાજન કરવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે. ચૂંટણી પંચે આ નોટિસ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને પાઠવી છે.
ચૂંટણી પંચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના નિવેદનો પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી જવાબ માંગ્યો છે. કમિશને આ નોટિસ મોદી અને રાહુલના ભાષણો અંગે થયેલી ફરિયાદો પર પાઠવવામાં આવી છે. આ ફરિયાદોમાં ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે આ નેતાઓ ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે લોકોમાં નફરત અને વિભાજન ફેલાવવાનું કામ કરી રહ્યા છે.
ચૂંટણી પંચે બંને પક્ષોના પ્રમુખોને, જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 હેઠળ નોટિસ મોકલી છે. પ્રથમ દૃષ્ટિએ, ચૂંટણી પંચે સ્ટાર પ્રચારકોની ટીમ ઉભી કરવા માટે પક્ષ પ્રમુખોને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે બંને પક્ષોના પ્રમુખોને કહ્યું કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોની ક્રિયાઓની પ્રથમ જવાબદારી લેવી જોઈએ. ખાસ કરીને સ્ટાર પ્રચારકોના કિસ્સામાં. ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોના ચૂંટણી ભાષણોની અસર વધુ ગંભીર હોય છે.
તાજેતરમાં, રાજસ્થાનના બાંસવાડામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવે છે, તો તે ઘૂસણખોરો અને વધુ બાળકો ધરાવતા લોકો વચ્ચે દેશની સંપત્તિ વહેંચી શકે છે. પીએમ મોદીના આ નિવેદન બાદ કોંગ્રેસે વળતો વાકપ્રહાર કરનાર બની છે. તેમનું કહેવું છે કે વડા પ્રધાને હિંદુ અને મુસલમાનોમાં ભાગલા પાડવાનું શરૂ કર્યું છે. સાથે જ તેમણે ચૂંટણી પંચને આ મુદ્દે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ભાજપે સોમવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર દેશમાં વધી રહેલી ગરીબી અંગે ખોટા દાવા કરવાનો આરોપ લગાવ્યો અને ચૂંટણી પંચને તેમની સામે “કડક પગલાં” લેવાની અપીલ કરી. ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવતી વખતે ભાજપે, ગાંધી પર ચૂંટણીનો માહોલ બગાડવા માટે ભાષા અને પ્રદેશના આધારે દેશને ઉત્તર-દક્ષિણમાં વહેંચવાનો આરોપ પણ મૂક્યો હતો.