Gujarat Election : બનાસકાંઠા જિલ્લાની એક એવી બેઠક જ્યાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રહે છે રસાકસીનો જગં, જાણો શું છે આ વખતે મતદારોનો મિજાજ
પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલી બનાસકાંઠાની (Banaskantha) આ બેઠક છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસ પાસે છે. ગ્રામીણ અને પશુપાલક મતદારોની બહોળી સંખ્યા ધરાવતી આ બેઠક બંને મુખ્ય પક્ષો માટે જીતવી જરૂરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Election 2022) રણશિંગુ ફૂંકાયુ છે. રાજકીય પાર્ટીઓએ જોર-શોરથી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. રાજકીય પાર્ટીના ટોચના નેતાઓ જાત-જાતના વચન અને વાયદાઓની લ્હાણી કરીને મતદારોને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને ગુજરાતની એક એવી બેઠકની વાત કરીશું. આ બેઠકમાં ગ્રામીણ અને પશુપાલક મતદારોની બહોળી સંખ્યા છે. આ એક એવી બેઠક છે જે બંને મુખ્ય પક્ષો માટે જીતવી જરૂરી છે. આ વાત છે કોંગ્રેસનો ગઢ ગણાતી બનાસકાંઠાની (Banaskantha) ધાનેરા બેઠકની. ધાનેરા બેઠક (Dhanera) પર 2017 સુધી 13 વિધાનસભાની ચૂંટણી યોજાઇ છે. જેમાં 7 વખત કોંગ્રેસ અને 4 વખત જ ભાજપનો (BJP) વિજય થયો છે. આ બેઠક પર 1998થી 2007 સુધી ભાજપનો દબદબો રહ્યો હતો. જોકે ત્યારબાદ 2012 અને 2017માં કોંગ્રેસનો પરચમ લહેરાઇ રહ્યો છે. પંજો અહીં ભાજપને જોરદાર ટક્કર આપી રહ્યો છે.
પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલી આ બેઠક છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસ પાસે છે. ગ્રામીણ અને પશુપાલક મતદારોની બહોળી સંખ્યા ધરાવતી આ બેઠક બંને મુખ્ય પક્ષો માટે જીતવી જરૂરી છે. કોંગ્રેસ સત્તા જાળવી રાખવા લડી રહી છે, તો ભાજપ અહીં જીતનો સ્વાદ ચાખવા માગી રહ્યું છે. આ એક એવી બેઠક છે જ્યાં કોંગ્રેસ માત્ર 2 હજાર મતોથી જીતી હતી. એટલે કે ભાજપ અહીં સહેજ માટે જીતથી દૂર ફેંકાઇ ગયું હતું.
જોકે 2022માં બદલાયા છે સત્તાના સમીકરણો. મતદારોના મિજાજની વાત કરીએ, તો અહીં પ્રાથમિક સુવિધા માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. અતરીયાળ વિસ્તારનો અપૂરતો વિકાસ, આરોગ્ય અને શિક્ષણની કથળતી જતી સેવાઓ આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો છે. સાથે જ સિંચાઇ અને પીવા માટે પાણીનો પણ મોટો પ્રશ્ન છે. ત્યારે 2022ના જંગમાં મતદારો કયા પક્ષનો પાણીચુ બતાવે છે, કયા પક્ષને સત્તાની શિખરે પહોંચાડે છે તે જાણવાનો TV9 ગુજરાતીએ પ્રયાસ કર્યો.
કેટલા મતદારો ?
કુલ મતદારો – 2 લાખ 68 હજાર 653 પુરૂષ મતદારો – 1 લાખ 40 હજાર 199 મહિલા મતદારો – 1 લાખ 28 હજાર 452
જાતિગત સમીકરણ
ઠાકોર સમાજની વસતી 22 ટકા ચૌધરી સમાજની વસતી 21.8 ટકા બ્રાહ્મણ સમાજની વસતી 8.7 ટકા દલિત સમાજની વસતી 13 ટકા માલધારી સમાજની વસતી 15 ટકા અન્ય જ્ઞાતિની વસતી 17 ટકા
ધાનેરા વિધાનસભા બેઠક પર વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો કોંગ્રેસના નથા પટેલને 82,909 મત મળ્યા હતા. તો ભાજપના માવજી દેસાઈને 80,816 મત મળ્યા હતા. કોંગ્રેસના નથા પટેલ 2,093 મતે જીત્યા હતા. તો વર્ષ 2012 વિધાનસભા પરિણામની વાત કરીએ તો કોંગ્રેસના જોયતા પટેલને 87,460 મત મળ્યા હતા. ભાજપના વસંત પુરોહિતને 57,169 મત મળ્યા હતા. કોંગ્રેસના જોતા પટેલ 30,291 મતે જીત્યા હતા.
રાજકીય ઇતિહાસ
અત્યાર સુધી આ બેઠક પર 13 વખત ચૂંટણી યોજાઇ છે. 7 વખત કોંગ્રેસ અને 4 વખત ભાજપનો વિજય થયો છે. પાછલી 2 ટર્મથી કોંગ્રેસનું ધાનેરા બેઠક પર વર્ચસ્વ છે. 1998થી 2007 સુધી ભાજપનો ભગવો લહેરાયો હતો. 2012માં કોંગ્રેસે ભાજપના વસંત પુરોહિતને હરાવ્યા હતા. ભાજપના વસંત પુરોહિત 19 ટકા મતોથી હાર્યા હતા.