Gujarat Election 2022 : ઉત્તર ગુજરાતની 32 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ, અહીં ઠાકોર સમાજ છે નિર્ણાયક ભૂમિકામાં
Gujarat Vidhansabha Election : ઉત્તર ગુજરાતની બેઠકો પર કોઈ રાજકીય પક્ષ નહીં, પરંતુ ઠાકોર સમાજનો ગઢ ગણાય છે. ચૂંટણીમાં ઠાકોર સમાજ જે તરફ મતદાન કરે તે પ્રમાણે રાજકીય પક્ષોની દિશા અને દશા નક્કી થાય છે.
Gujarat Assembly Election : ઉત્તર ગુજરાતની 32 બેઠક માટે હાલ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઇ જામી છે. ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની કોઇ ખાસ હાજરી જોવા મળી રહી નથી, ત્યારે મુકાબલો ત્રિપાંખીયો નથી. પરંતુ સામ-સામેનો છે. ઉત્તર ગુજરાતમાં ક્યાં જિલ્લામાં કેટલી બેઠક છે તેની વાત કરીએ તો. ઉત્તર ગુજરાતની કુલ 32 બેઠક છે. જેમાં બનાસકાંઠાની 9 બેઠક, મહેસાણાની 7 બેઠક, ગાંધીનગરની 5 બેઠક, પાટણની 4 બેઠક, સાબરકાંઠાની 4 બેઠક, અરવલ્લીની 3 બેઠકોનો સમાવેશ થાય છે. 2017 માં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને 17 બેઠક, ભાજપ 14 બેઠક અને અપક્ષ 01 બેઠક મેળવી હતી.
આ બેઠકો ઠાકોર સમાજનો ગણાય છે ગઢ
હવે આપને ઉત્તર ગુજરાતનું જ્ઞાતિનું ગણિત જણાવીએ તો સૌરાષ્ટ્રમાં જેમ અહીં પાટીદાર સમાજની વસ્તી વધારે છે. તેમ ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની વસ્તી વધારે છે, ત્યાં 22 બેઠકો પર ઠાકોરોનો પ્રભાવ છે. પણ 14 સીટ પર તો રીતસરની ઠાકોર સમાજના મતદારોની પકડ છે. બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની બેઠકો એ કોઈ રાજકીય પક્ષોનો ગઢ હોવા કરતાં આ બેઠકો ઠાકોર સમાજના મતદારોનો ગઢ છે તેમ કહી શકાય. કારણ કે ઠાકોરોનું એક તરફી મતદાન ઉત્તર ગુજરાતમાં ઊથલ-પાથલ કરાવી શકે. ઉત્તર ગુજરાતમાં ઠાકોરોની વસતિ 17 થી 18 લાખ જેવી છે અને 10 લાખ મતદારો છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોરોની સાથે ચૌધરી મતો પણ મહત્ત્વના છે. ચૌધરી મતોની સંખ્યા 2 લાખ જેટલી છે. તો ઉત્તર ગુજરાતમાં પાટીદાર અને OBC સમાજનો દબદબો છે. 2017માં કોંગ્રેસે અહીં સારુ પ્રદર્શન કર્યું હતું.
ગત ચૂંટણીમાં કોંગ્રેસે અહીં સારુ પ્રદર્શન કર્યું હતુ
બનાસકાંઠાની 9 બેઠકમાંથી કોંગ્રેસ 5 બેઠક જીતવામાં સફળ રહી હતી. જ્યારે ભાજપને 3 અન અપક્ષને એક બેઠક મળી હતી. મહેસાણાની 7 બેઠકમાંથી ભાજપે પાંચ બેઠક મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 2 બેઠક મળી હતી. ગાંધીનગરની પાંચ બેઠકમાંથી ભાજપને 2 અને કોંગ્રેસને 3 બેઠક મળી હતી. પાટણની 4 બેઠકમાંથી કોંગ્રેસને 3 અને ભાજપને એક બેઠક મળી હતી.
આમ 2017માં કોંગ્રેસની સ્થિતિ સારી હતી. જો કે હાલ આંજણા ચૌધરી સમાજમાં ભાજપ સામે વિરોધનો ગણગણાટ છે.જો કે છેલ્લે છેલ્લે ભાજપે પોતાના સત્તા સમીકરણ બેસાડ્યા છે.પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થયા બાદ તમામ પક્ષોની ચિંતા વધી ગઇ છે.જ્યારે હવે જોવાનું એ છે કે ઉત્તર ગુજરાતના ગઢમાં કોણ કબ્જો કરશે.