ગુજરાત ચૂંટણી 2022: ઘાટલોડિયામાં કોંગ્રેસના ઉમેદવાર ડૉ.અમી યાજ્ઞિકનો યોજાયો રોડ શો, કહ્યું ઓછુ મતદાન એ પરિવર્તનની નિશાની
Gujarat Election 2022: અમદાવાદમાં ઘાટલોડિયામાં કોંગ્રેસના ઉમેદવાર અમી યાજ્ઞિકે રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલ પર પ્રહાર કર્યો કે આટલા દિવસથી પ્રચાર કરુ છુ પરંતુ તેમના મતવિસ્તારમાં સીએમ ક્યાંય દેખાયા નથી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે, જેમાં 60 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે. 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમા 93 બેઠકો પર મતદાન યોજાવાનું છે, બીજા અને અંતિમ ચરણ માટે હાલ તમામ પાર્ટીઓ તાકાત લગાવી રહી છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે તમામ પાર્ટીઓ પ્રચારમાં તાકાત લગાવી રહી છે. જેમાં આજે અમદાવાદમાં ઘાટલોડિયા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ડૉ. અમી યાજ્ઞિકે રોડ શો યોજ્યો હતો. આ એ જ વિધાનસભા બેઠક છે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાજપના ઉમેદવાર છે. આ રોડ શો દરમિયાન અમી યાજ્ઞિકે સીએમ પર કટાક્ષ કરતા કહ્યું કે હું આટલા દિવસથી પ્રચાર કરું છું પણ ક્યાંય સીએમ દેખાતા નથી. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપને ફક્ત વિકાસ દેખાય છે, પરંતુ સ્થાનિકોના સ્થાનિક પ્રશ્નો તરફ ભાજપનું કોઈ જ ધ્યાન નથી.
ઓછા મતદાન માટે મતદારોની નારાજગી પણ હોઈ શકે-અમી યાજ્ઞિક
TV9 સાથેની વાતચીતમાં અમી યાજ્ઞિકે જણાવ્યુ કે હું આટલા દિવસથી ફરુ છુ પરંતુ ભૂપેન્દ્ર પટેલના પોસ્ટર સિવાય તે ક્યારેય પ્રત્યક્ષ દેખાયા નથી. ભૂપેન્દ્ર પટેલના રોડ શો બાબતે અમી યાજ્ઞિકે પ્રહાર કર્યો કે ભૂપેન્દ્ર પટેલે છેલ્લા દોઢ વર્ષમાં શું કામ કર્યા એ કંઈ મને ખબર નથી. વધુમાં તેમણે જણાવ્યુ કે જેટલી જગ્યાએ જઈએ છીએ એટલી જગ્યાએથી ફરિયાદ આવે છે કે પાયાની જરૂરિયાતોનો અભાવ છે. તેમણે જણાવ્યુ કે હાઈવે અને મેટ્રોની નીચેના સામાન્ય વ્યક્તિની મુશ્કેલીઓ આ લોકોને કેમ દેખાતી નથી. ઓછા મતદાન અંગે તેમણે જણાવ્યુ કે આટલુ બધુ કહેવા છતા લોકો બહાર નથી આવતા તેના પરથી એવુ કહી શકાય કે લોકો કંટાળેલા છે, તેમને પરિવર્તન જોઈએ છે અને તેમની નારાજગી પણ હોઈ શકે એ રીતની પેટર્ન જોવા મળી છે.