GUJARAT : યુરોપમાં કોવેક્સિન-કોવિશિલ્ડ રસી માન્ય નહીં, આશરે 18 હજાર વિદ્યાર્થીઓના ભાવિને લઇને અસંમજસ
GUJARAT : યુરોપના દેશોમાં ભારતની બંને કોરોના વેક્સિનને માન્ય રખાઇ નથી. જેથી વિદેશમાં અભ્યાસ માટે જતા અનેક વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.
GUJARAT : વિદેશમાં અભ્યાસ કરતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ચિંતારૂપ સમાચાર આવ્યા છે. યુરોપિયન યુનિયને (EU) એક ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં વેક્સિન પાસપોર્ટની ગાઇડલાઇન પ્રમાણે યુરોપના પ્રવાસે આવતા લોકો અને વિદ્યાર્થીઓ માટે ચાર જ વેક્સિનને માન્યતા મળી છે. જેમાં ભારતમાં વેક્સિનેશન અભિયાનમાં વપરાતી કોવિશિલ્ડ અને કોવેક્સિનને મંજૂરી મળી નથી. આ નિર્ણયને કારણે ભારતીય વિદ્યાર્થીઓને અગવડ પડી શકે છે.
કોવિશિલ્ડ-કોવેક્સિન (EU) યુરોપમાં માન્ય નહીં
વિદેશ પ્રવાસ અને વિદેશ અભ્યાસ માટે જતા સૌથી વધારે ભારતીયોમાં ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ત્યારે દેશના ઘણા નાગરિકોએ કોવેક્સિન અને કોવિશિલ્ડનો ડોઝ પુરો કર્યો છે. આમ છતા તેઓ વિદેશ જવા માટે અયોગ્ય ઠેરવાશે. કારણ કે કોવેક્સિન અને કોવિશિલ્ડ રસીને વિદેશમાં માન્યતા અપાઇ નથી. યુરોપિયન યુનિયનના આ નિર્ણયને કારણે ગુજરાતના આશરે 18 હજારથી વિદ્યાર્થીઓને વિદેશ જવું હવે અઘરુ પડી શકે છે.
આ ચાર રસીઓને યુરોપિયન યુનિયને (EU) આપી માન્યતા
યુરોપિયન યુનિયને (EU) તેમની ગાઇડલાઇન જાહેર કરી હતી. જેમાં વિદેશની ચાર વેક્સિનને માન્ય રાખી છે. જેમાં ફાઇઝર રસી, મોર્ડના રસી, એસ્ટ્રાજેનિકા રસી અને જોહ્નસન એન્ડ જોહ્નસનની વેક્સિનને માન્ય રખાઇ છે. આ નિર્ણયની સૌથી વધારે અસર વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ પર પડી શકે છે.
જોકે, એક પ્રસિદ્ધ અખબારની મુલાકાતમાં કેર ઇમિગ્રેશનના એડવાઇઝર નિશિત પટેલે જણાવ્યું છેકે ગુજરાતના ઘણા ઓછા વિદ્યાર્થી યુરોપના દેશોમાં અભ્યાસ માટે જાય છે. પરંતુ, યુએસ અને કેનેડા જવા માટે યુરોપિયન દેશોમાં પસાર થવું પડે છે. જેથી કેનેડા-અમેરિકા જતા વિદ્યાર્થીઓની માન્યતા બાબતે અનેક સવાલો છે.
અહીં નોંધનીય છેકે ગુજરાતમાંથી યુરોપિયન દેશોમાં અભ્યાસ અર્થે આશરે 18 હજાર જેટલા વિદ્યાર્થીઓ જાય છે. જેમાં ફ્રાન્સ, જર્મની , પોલેન્ડ સહિતના દેશો ગુજરાતી વિદ્યાર્થીઓનું પસંદગીનું સ્થળ છે. સૌથી વધારે ગુજરાતી વિદ્યાર્થીઓ યુ.કે.માં અભ્યાસ કરવાનું પસંદ કરે છે. જેનો અંદાજિત આંકડો આશરે 8 હજાર છે. જયારે બાકીના દેશોમાં 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે.
આ પણ વાંચો : Surendranagar : સુરેન્દ્રનગર અને વઢવાણમાં રસી લેવા લોકોની ભીડ ઉમટી, પરંતુ રસીની અછત