ખેડૂતોએ માર્ચ માસમાં આંબા અને નાળિયેરીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે આંબા (Mango Crop) અને નાળિયેરીના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
આંબાના પાકમાં ખેતી કાર્યો
1. કેરી વટાણા કદની થાય ત્યારે નિયમિત ૧૨ થી ૧૫ દિવસે પિયત આપવું.
2. પુખ્ત વયના ઝાડ દીઠ બે કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ અથવા એક કિલોગ્રામ યુરીયા આપવું.
3. આબોહવાકીય ઝોન–૧ ધરાવતા વિસ્તારમાં આંબાની ભેટ કલમ આખું વર્ષ બનાવી શકાય છે.
4. ભુકીછારાનો ઉપદ્રવ જણાય તો દ્રાવ્ય ગંધક ૮૦% ૨૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો.
5. કાલવર્ણ રોગના નિયંત્રણ માટે કેરી વટાણા કદની થાય ત્યારે કાર્બેન્ડેઝીમ ૧૦ ગ્રામ દવા લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
6. મધીયા જીવાતના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૧૭.૮% એસ.એલ. ૨ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
7. દક્ષિણ ગુજરાતના આંબાના બગીચા ધરાવતા ખેડૂતોને મધીયાના અસરકારક નિયંત્રણ માટે મોર આવવાના સમયે લેકાનીસીલીયમ (વટીસીલીયમ) લેકાની ૧.૧૫ વે.પા. ૫૦ ગ્રામ/૧૦ લિટર (૧ ×૧૦૮ સી.એફ.યુ./ગ્રામ) અથવા બ્યુવેરીયા બેસીયાનાનો છંટકાવ કરવો.
8. ત્યારબાદ બે વખત સાત દિવસના અંતરે અને ચોથો છંટકાવ વટાણા અવસ્થાએ તેમજ પાંચમો છંટકાવ લખોટા અવસ્થાએ કરવો.
નાળિયેરીના પાકમાં ખેતી કાર્યો
1. 8 થી 25 વર્ષની ઉમરની નાળિયેરીના બગીચામાં પિયત આંતરપાક તરીકે ફેબ્રુઆરી-માર્ચમાં આદુનું વાવેતર કરવું.
2. દક્ષિણ સૌરાષ્ટ્રના નાળિયેરીનો પુખ્ત બગીચો (ડી ×ટી) ધરાવતા ખેડૂતોએ પુષ્પગુચ્છ ઉપર સોડીયમ બોરેટ ૦.૪ % (૪ ગ્રામ/લિ.)નો છંટકાવ એક મહિનાના અંતરે જાન્યુઆરીથી જૂન સુધી કરવાથી વધારે ઉત્પાદન અને ચોખો નફો મળે છે.
3. ઉંદરનો ઉપદ્રવ જણાય તો ૨% ઝીંક ફોસ્ફાઈડની ઝેરી પ્રલોભીકા અથવા બ્રોમોડીયોલોન વેક્સ કેઇક ૦.૦૦૫% ક્રિયાશીલ તત્વવાળું બિસ્કીટ જીવંત દરમાં ૧૦ ગ્રામ મુજબ મુકવું.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
આ પણ વાંચો : Hydrogel Technology: દેશના ખેડૂતો માટે ગેમ ચેન્જર સાબિત થશે હાઈડ્રોજેલ ટેક્નોલોજી, સિંચાઈ થશે સરળ
આ પણ વાંચો : DAP, NPK, Neem અને Urea ખાતરનો ક્યારે અને કેટલા પ્રમાણમાં કરવો જોઈએ ઉપયોગ ? જાણો તમામ વિગત