BSFએ બતાવી માનવતા, કેન્સરની સારવાર માટે સરહદ પાર કરતા પકડાયેલા પતિ-પત્નીને બાંગ્લાદેશને પરત સોંપ્યા
99મી કોર્પ્સ બોર્ડર સિક્યુરિટી ફોર્સે ઉત્તર 24 પરગણાના સરહદી વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાનો પ્રયાસ કરવા બદલ પતિ-પત્ની સહિત પાંચ બાંગ્લાદેશી અને બે ભારતીયની ધરપકડ કરી હતી.
99મી કોર્પ્સ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ ઉત્તર 24 પરગણાના સરહદી વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાનો પ્રયાસ કરવા બદલ પતિ-પત્ની સહિત પાંચ બાંગ્લાદેશી (Bangladeshi Nationals) અને બે ભારતીયની ધરપકડ કરી હતી. પરંતું કેન્સરની (Cancer) સારવાર માટે આંતરરાષ્ટ્રીય સરહદને (International Border) ગેરકાયદેસર રીતે પાર કરનારા પતિ પત્નીને માનવતાના આધારે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ને સોંપવામાં આવ્યા હતા.
BSF દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રવિવારે 99મી કોર્પ્સ બોર્ડર આઉટપોસ્ટ્સ જીતપુર, રાણાઘાટ અને માધુપુરના જવાનોએ ગુપ્તચર શાખાની માહિતીના આધારે વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું અને કુલ 7 લોકોની અટકાયત કરી હતી. જેમાં બે ભારતીય અને 4 બાંગ્લાદેશી નાગરિક બાંગ્લાદેશ જઈ રહ્યા હતા અને એક બાંગ્લાદેશી નાગરિક ભારત આવી રહ્યો હતો.
આ તમામની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં સુલતાન બાદશાહ (ઉંમર 38 વર્ષ), તેની પત્ની રશીદા બેગમ (ઉંમર 33 વર્ષ), .ઢાકાના રહેવાસી છે. સુપર્ણા સાન્યાલ (ઉંમર 45 વર્ષ), તુહિમ દાસ (ઉંમર 29 વર્ષ). પ્રોલાદ કુમાર મંડલ (ઉંમર 35 વર્ષ) તમામ બાંગ્લાદેશી છે અને ઈન્દ્ર અયુબ મુલ્લા (ઉંમર 39) અને રામ કૃષ્ણ મંડલ (ઉંમર 31) બંને ભારતીય છે.
કેન્સરની સારવાર માટે કરી સરહદ પાર
પૂછપરછમાં સુલતાન બાદશાહે જણાવ્યું કે, તે 31 માર્ચ 2021ના રોજ તેની પત્ની સાથે તેની સારવાર માટે પાસપોર્ટ દ્વારા ભારત આવ્યો હતો. તેઓ ભારતમાં વેલ્લોરમાં કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા. આજે તે ભારતીય દલાલો રહમત, તમીઝ મંડળ અને રફીક મંડળની મદદથી બાંગ્લાદેશ પાછો જઈ રહ્યો હતો અને તેણે રહમતને 17,000 રૂપિયા પણ આપ્યા હતા.
તે જ સમયે, ઇન્દ્ર અયુબ મુલ્લા અને રામ કૃષ્ણ મંડળે જણાવ્યું હતું કે, તેઓએ બાંગ્લાદેશી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે અને તેમની પત્નીઓ બાળકો સાથે બાંગ્લાદેશ ગયા છે. આજે તે બંને ભારતના દલાલ ગણેશ રાયની મદદથી તેની પત્ની અને બાળકોને મળવા બાંગ્લાદેશ જઈ રહ્યા હતા.
લોન ચૂકવી ન શક્યો તો હું દેશ છોડીને પૈસા કમાવવા ભારત આવ્યો
પ્રોલાદ કુમાર મંડલે જણાવ્યું હતું કે, તેણે લોન લઈને સુથારની દુકાન ખોલી હતી, પરંતુ કોવિડના કારણે તેને દુકાનમાં નુકસાન થયું હતું અને તે કામ માટે ભારત આવી રહ્યો હતો. તેણે કહ્યું કે, તે સાત વર્ષ પહેલા પણ ભારત આવ્યો હતો અને લાકડાઓ માટેનું કામ શીખવા માટે નવદ્વાપા પાસેના અમઘાટામાં તેના કાકા પાસે ગયો હતો. તેણે અજાણ્યા બાંગ્લાદેશી દલાલને 10,000 રૂપિયા પણ આપ્યા છે. તે જ સમયે, તુહિમ દાસ અને સુપર્ણ સાન્યાલ બંને કામ માટે ભારત આવ્યા હતા.
પકડાયેલા પાંચ લોકોને બગદાહ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા
પકડાયેલા પાંચ લોકોને આગળની કાયદાકીય કાર્યવાહી માટે બગદાહ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. તે જ સમયે, પતિ -પત્નીને સદભાવના અને માનવતાના ધોરણે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશને સોંપવામાં આવ્યા હતા. 99મી કોર્પ્સના કમાન્ડિંગ ઓફિસર સંજીવ કુમારે માહિતી આપી હતી કે, ભારત-બાંગ્લાદેશ સરહદે ગેરકાયદેસર હિલચાલને રોકવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ કડક પગલાં લઈ રહી છે.
જેના કારણે આવા ગુનાઓમાં સામેલ વ્યક્તિઓ માટે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે અને તેમની વચ્ચે કેટલાક પકડાઈ રહ્યા છે. તેમને કાયદા અનુસાર સજા થઈ રહી છે. ઉપરાંત તેમના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા, બાંગ્લાદેશી લોકોને માનવીય આધાર પર અને બંને દેશોના સરહદી સુરક્ષા દળોની પરસ્પર સદ્ભાવનાને કારણે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશને સોંપવામાં આવી રહ્યા છે.