પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખવાનો આવ્યો કરુણ અંજામ, પતિએ તીક્ષણ હથિયારો વડે કરી નાખી પત્નીની હત્યા, જાણો સમગ્ર મામલો
શહેરના ડિંડોલી વિસ્તારમાં પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખી પતિ દ્વારા પત્નીને મોતને ઘાટ ઉતારી નાંખી હોવાની ઘટના સામે આવી છે.
Surat: શહેરના ડિંડોલી વિસ્તારમાં પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખી પતિ દ્વારા પત્નીને મોતને ઘાટ ઉતારી નાંખી હોવાની ઘટના સામે આવી છે. પુત્રને બહાર નાસ્તો લેવા મોકલી હત્યારા પતિએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. જ્યારે પુત્રી બાથરૂમમાં ગઈ હતી, તે સમયે જ પત્ની પર હત્યારો પતિ તીક્ષણ હથિયાર લઈ તૂટી પડ્યો હતો. હત્યાની ઘટના બાદ ફરાર થઈ ગયેલા હત્યારા પતિની ગણતરીના કલાકોમાં જ પોલીસે ધરપકડ કરી જેલભેગો કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા ગામમાં પતિ-પત્ની વચ્ચે ચાલી આવેલા ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો છે. પતિ પોતાની પત્નીના પરપુરુષ જોડે અનૈતિક સબંધ હોવાની આશંકા રાખી અવારનવાર ઝઘડો કરતો હતો, જે ઝઘડાનું અંતે ગંભીર પરિણામ આવ્યું હતું. ડીંડોલી પોલીસના જણાવ્યાનુસાર દેલાડવા ગામે આવેલ વૃંદાવન રેસિડેન્સીમાં રહેતા સુરુભા ધીરસિંહ ઝાલાએ તીક્ષણ હથિયાર વડે ઘા મારીને પોતાની જ પત્ની હંસાબાને મોતને ઘાટ ઉતારી દીધી. પતિ સુરુભા પોતાની પત્ની હંસાબાના ચારિત્ર્ય ઉપર શંકા રાખતો હતો. જેથી બંને વચ્ચે આ બાબતને લઈ અવારનવાર ઝઘડા ચાલી આવતા હતા.
થોડા દિવસ અગાઉ પણ આ બાબતને લઈ સુરુભાએ તલવાર વડે પત્ની હંસાબા પર જીવલેણ હુમલો કર્યો હતો. જે બાબતે ડીંડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાતા તેની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ પણ બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલી આવ્યો હતો. જ્યાં આજ રોજ સવારના નવ વાગ્યાના સમય દરમ્યાન સુરુભા ઘરે આવ્યો હતો. જ્યાં પોતાના પુત્રને નાસ્તો લેવાના બહાને બહાર મોકલ્યો હતો. જ્યારે પુત્રી બાથરૂમ ગઈ હતી. જેનો લાભ ઉઠાવી પત્ની હંસાબા પર પતિ સુરુભા ઘાતક હથિયાર લઈ તૂટી પડ્યો હતો. જ્યાં પત્ની હંસાબા ના ગળાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
હત્યાની ઘટના બાદ હત્યાર પતિ ફરાર થઈ ગયો હતો. જ્યાં બનાવની જાણકારી મળતા ડીંડોલી પોલીસ મથકના પીઆઇ સહિત એસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. ઘરમાં માતાની હત્યા કરાયેલ લાશ જોઈ સંતાનોના પગ તળેથી જમીન સરકી પડી હતી. જ્યાં ડીંડોલી પોલીસે મૃતક પત્નીની લાશને પોસ્ટ-મોર્ટમ અર્થે સુરત સ્મિમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. બીજી તરફ ફરાર હત્યારા પતિની ધરપકડ કરવા પોલીસે તાત્કાલિક જુદી જુદી ટિમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. જ્યાં ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
ડીંડોલી પોલીસના જણાવ્યાનુસાર પતિ સુરુભા પોતાના બાળકો સામે જ પત્ની જોડે મારઝૂડ કરતો હતો. જ્યાં માતાને માર ખાતા જોઈ બંને સંતાનો પોતાના પિતાને રોકવાનો પ્રયાસ પણ કરતા હતા. જો કે નિર્દયી પતિ પોતાના બંને સંતાનો સાથે પણ મારઝૂડ કરતો હોવાનું પ્રાથમિક તપાસમ બહાર આવ્યું છે.
ડીંડોલી પોલીસે હત્યારા પતિની પ્રાથમિક પુછપરછ કરતા જાણવા મળ્યું છે કે, તેની પત્નીના પરપુરુષ સાથે આડા સબંધ ચાલી આવ્યા હતા. જેના કારણે બંને વચ્ચે આ મામલે ઝઘડો ચાલી આવ્યો હતો. છેલ્લા પંદર દિવસ તે ઘરે પણ ગયો નહોતો. પરંતુ આજ રોજ અચાનક તે વહેલી સવારે નવ વાગ્યે ઘરે પોહચી ગયો હતો અને પુત્રને નાસ્તો લેવાના બહાને બહાર મોકલી પત્નીની હત્યા કરી નાંખી હતી. હત્યારા પતિ દ્વારા કરવામાં આવેલ આક્ષેપ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ સુરતના ડીંડોલી વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.