ITR ભરનારાઓ માટે એલર્ટ! 30 જૂન પહેલાં આવી શકે છે આવકવેરા વિભાગની ‘નોટિસ’
જો તમે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરો છો, તો આ વર્ષે આવકવેરા વિભાગે તપાસના નિયમો વધુ કડક બનાવ્યા છે. સીબીડીટી (CBDT) દ્વારા સ્ક્રુટિની એટલે કે ITRની વિગતવાર તપાસ માટે નોટિસ મોકલવાની છેલ્લી તારીખ પણ નક્કી કરી દેવામાં આવી છે.

આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરનારા કરદાતાઓ માટે આ વર્ષે આવકવેરા વિભાગે તપાસ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે (CBDT) આવકવેરા અધિનિયમની કલમ 143(2) હેઠળ થતી સ્ક્રુટિની (Scrutiny – વિગતવાર તપાસ) વ્યવસ્થાને કડકાઈથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
આ પ્રક્રિયાનો હેતુ કરદાતાઓ દ્વારા ફાઇલ કરાયેલા રિટર્નમાં આપવામાં આવેલી માહિતીની પુષ્ટિ કરવાનો અને કોઈપણ પ્રકારની ગેરરીતિ કે વિસંગતતાની તપાસ કરવાનો છે.
આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2025-26 સાથે જોડાયેલા રિટર્ન માટે સ્ક્રુટિની નોટિસ જાહેર કરવાની અંતિમ તારીખ 30 જૂન 2026 નક્કી કરી છે. જો કોઈ કરદાતાને આ તારીખ સુધી નોટિસ નથી મળતી, તો તેનું રિટર્ન આ ફાઇનાન્સિયલ યરમાં તપાસ માટે પસંદ કરવામાં આવશે નહીં.
શું છે સેક્શન 143(2)?
આવકવેરા અધિનિયમની કલમ 143(2) આકારણી અધિકારી (Assessing Officer) ને એ અધિકાર આપે છે કે, તે કોઈ કરદાતાના રિટર્નની વિગતવાર તપાસ કરી શકે. જો અધિકારીને એવું લાગે કે, રિટર્નમાં આવક ઓછી દર્શાવવામાં આવી છે, નુકસાન વધુ બતાવવામાં આવ્યું છે અથવા ટેક્સ ઓછો ચૂકવવામાં આવ્યો છે, તો તે કરદાતાને નોટિસ મોકલી શકે છે.
નોટિસ મળ્યા પછી કરદાતાએ પોતાના દાવાઓના સમર્થનમાં જરૂરી દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવાના હોય છે. આમાં આવકની વિગતો, રોકાણને લગતા દસ્તાવેજો, ટેક્સ મુક્તિ અને અન્ય નાણાકીય રેકોર્ડ સામેલ હોઈ શકે છે.
કયા કિસ્સાઓમાં વધી શકે છે તપાસનું જોખમ?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર AIS, Form 26AS અને ITR વચ્ચેનો તફાવત, મોટા નાણાકીય વ્યવહારો, અસામાન્ય ટેક્સ મુક્તિના દાવા અથવા જોખમી પ્રોફાઇલ ધરાવતા કિસ્સાઓને સ્ક્રુટિની માટે પસંદ કરવામાં આવી શકે છે. જો કે, તપાસ માટે પસંદ થવું એ કોઈ કરચોરી કે ગેરરીતિનો પુરાવો ગણાતો નથી.
નોટિસ મળવા પર ગભરાશો નહીં
ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે, જો સ્ક્રુટિની નોટિસ મળે તો ગભરાવાની જરૂર નથી. કરદાતાએ સમયસર જવાબ આપવો જોઈએ અને જરૂર પડે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અથવા ટેક્સ સલાહકારની મદદ લેવી જોઈએ. સાચા દસ્તાવેજો અને સ્પષ્ટ માહિતી પૂરી પાડવાથી તપાસ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે છે. વિભાગનો હેતુ કરદાતાઓને પરેશાન કરવાનો નથી, પરંતુ ટેક્સ નિયમોનું પાલન વધુ સરળ બનાવવાનો છે.
