Breaking News: ગોલ્ડ જ્વેલરી કંપની પર EDના દરોડા, સેબીએ પણ લગાવ્યા છે ‘ગંભીર આરોપો’
દેશની અગ્રણી ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટર કંપની ફરી એકવાર મોટી મુશ્કેલીમાં ફસાઈ છે. સેબી (SEBI) દ્વારા કંપની પર ખાતાઓમાં ₹15.15 લાખ કરોડની ગરબડ અને હેરાફેરીના ગંભીર આરોપો બાદ હવે EDએ એન્ટ્રી મારી છે. EDની ટીમે કંપની અને તેના પ્રમોટર્સના ઠેકાણા પર દરોડા પાડ્યા છે.

દેશની અગ્રણી ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટર કંપની રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ (Rajesh Exports Limited) ફરી એકવાર તપાસ એજન્સીઓના રડાર પર આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, Enforcement Directorate (ED) એ મંગળવારે બેંગલુરુમાં કંપની અને તેના પ્રમોટર્સ સાથે જોડાયેલા ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. EDની ‘ટીમ’ કંપની અને તેની સાથે સંકળાયેલા કેટલાક પરિસરોમાં દસ્તાવેજો તેમજ નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી હતી.
SEBIના રિપોર્ટ બાદ વધી તપાસ
આ કાર્યવાહી એવા સમયે થઈ છે, જ્યારે થોડા દિવસો પહેલા જ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ રાજેશ એક્સપોર્ટ્સ, તેના ચેરમેન રાજેશ મહેતા અને કેટલીક સંબંધિત સંસ્થાઓ સામે વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો.
સેબી (SEBI) નો આરોપ છે કે, કંપનીએ પૈસાની હેરફેર છુપાવવા માટે અનેક સંબંધિત કંપનીઓ વચ્ચે ખૂબ જ ગૂંચવણભર્યા વ્યવહારો કર્યા હતા. નિયામકના જણાવ્યા અનુસાર, આ નાણાકીય વ્યવહારો એટલા જટિલ હતા કે, પૈસા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા; તેની અસલી કડી (સોર્સ) પકડવી મુશ્કેલ બની ગઈ છે.
પ્રમોટરના ખાતામાંથી પૈસા ફેરવવાનો આરોપ
SEBIનો આરોપ છે કે, રાજેશ એક્સપોર્ટ્સ (Rajesh Exports) એ કંપનીના પૈસા પ્રમોટર રાજેશ મહેતાના અંગત બેંક ખાતા દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. એવામાં કંપની એ સ્પષ્ટ ન કરી શકી કે, આવું શા માટે કરવામાં આવ્યું. નિયામકના જણાવ્યા અનુસાર, કંપની કોઈ લોન એગ્રીમેન્ટ, બોર્ડની મંજૂરી કે અન્ય દસ્તાવેજો રજૂ કરી શકી નથી, જે આ કામને યોગ્ય ઠેરવી શકે.
SEBIએ જણાવ્યું કે, કંપનીએ પોતે સ્વીકાર્યું છે કે ફંડને તેના મૂળ સ્ત્રોતનો ખુલાસો કર્યા વિના આગળ મોકલવામાં આવ્યું હતું. રેગ્યુલેટરના મતે, આ પ્રથમ દૃષ્ટિએ ફંડ ટ્રેલ છુપાવવાનો અને લેયરિંગ કરવાનો પ્રયાસ લાગે છે. આદેશ અનુસાર, એપ્રિલ 2020 થી સપ્ટેમ્બર 2025 વચ્ચે કંપનીએ રાજેશ મહેતાને ₹338.90 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. આ જ સમયગાળામાં કંપનીને તેમના ખાતામાંથી ₹232.44 કરોડ પાછા મળ્યા હતા.
₹15.15 લાખ કરોડનું ‘ખોટું રિપોર્ટિંગ’
SEBIના વચગાળાના રિપોર્ટમાં સૌથી ગંભીર આરોપ કંપનીના નાણાકીય નિવેદનો (Financial Statements) સાથે જોડાયેલો છે. રેગ્યુલેટરનો આરોપ છે કે, કંપનીએ વારંવાર એક જેવા સર્ક્યુલર ટ્રાન્ઝેક્શન નોંધીને પોતાના ખાતામાં આશરે ₹15.15 લાખ કરોડનું કથિત ખોટું રિપોર્ટિંગ કર્યું હતું.
SEBIના જણાવ્યા અનુસાર, એક જ વ્યવહારને ઘણી સંસ્થાઓ દ્વારા વારંવાર ફેરવવામાં આવ્યો હતો. આનાથી ખરીદી અને વેચાણના આંકડા વાસ્તવિકતા કરતા ક્યાંય વધુ મોટા દેખાયા હતા. જો કે, રેગ્યુલેટરે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ₹15.15 લાખ કરોડ એ વાસ્તવિક રોકડ રકમ નથી. આ તે એકાઉન્ટિંગ એન્ટ્રીઓનું કુલ મૂલ્ય છે, જેને SEBIએ કથિત રીતે ખોટું ગણાવ્યું છે.
રોકાણકારોને લઈને પણ ચિંતા
SEBIનું માનવું છે કે, આ કથિત ગેરરીતિઓને કારણે રોકાણકારોને કંપનીના બિઝનેસ અને નાણાકીય સ્થિતિ વિશે ખોટી માહિતી મળી શકી હોત. આ જ કારણે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કંપની, તેના પ્રમોટર્સ અને કેટલીક સંબંધિત સંસ્થાઓ પર વચગાળાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હવે ED શું શોધી રહી છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, EDના દરોડા SEBIના રિપોર્ટમાં સામે આવેલા આરોપો સાથે જોડાયેલા હોઈ શકે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ અન્ય તપાસ એજન્સી અથવા રેગ્યુલેટરને નાણાકીય ગેરરીતિના સંકેતો મળે છે, ત્યારે ED એ શોધવાનો પ્રયાસ કરે છે કે ક્યાંય પૈસાની હેરાફેરી કે મની લોન્ડરિંગ તો નથી થયું ને? જો કે, હજુ સુધી EDએ એ સ્પષ્ટ કર્યું નથી કે આ દરોડા કઈ ચોક્કસ કાનૂની જોગવાઈ હેઠળ કરવામાં આવી રહ્યા છે.
બીજી તરફ, રાજેશ એક્સપોર્ટ્સ (Rajesh Exports) એ સાર્વજનિક રીતે આ આરોપોનો સ્વીકાર કર્યો નથી. એવું માનવામાં આવે છે કે, કંપની સિક્યોરિટીઝ કાયદા હેઠળ ઉપલબ્ધ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે. હાલમાં EDની આ કાર્યવાહીએ કંપની પર નિયામકીય દબાણ વધુ વધારી દીધું છે. હાલમાં તપાસ હજુ ચાલુ હોવાથી આગામી સમયમાં આ મામલે વધુ માહિતી સામે આવી શકે છે.
