શું ગૃહિણીઓએ પણ ઇનકમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે? જાણો કઈ કમાણી પર લાગે છે ટેક્સ અને ક્યાં મળે છે મોટી છૂટ
નોકરી ન કરતી મહિલાઓ કે ગૃહિણીઓ જો ફિક્સ ડિપોઝિટ, ભાડું કે અન્ય રીતે કમાણી કરતી હોય, તો તેમના માટે પણ આઇટીઆર ફાઇલ કરવો ક્યારે ફરજિયાત બને છે તે જાણો.

ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું એ માત્ર નોકરી કરતા કે મોટો બિઝનેસ ચલાવતા લોકો માટે જ જરૂરી છે, તેવી માન્યતા તદ્દન ખોટી છે. ઘર સંભાળતી મહિલાઓ એટલે કે ગૃહિણીઓ ભલે નિયમિત પગાર મેળવતી ન હોય, પરંતુ જો તેમની આવક અન્ય સ્ત્રોતોમાંથી થતી હોય અને તે સરકારની નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય, તો તેમના માટે પણ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું કાયદાકીય રીતે ફરજિયાત બની જાય છે. ગૃહિણીઓની આવી આવક સામાન્ય રીતે ‘અન્ય સ્ત્રોતોમાંથી આવક’ (Income from Other Sources) ની શ્રેણીમાં ગણવામાં આવે છે.
ગૃહિણીઓ માટે કમાણીના સામાન્ય સ્ત્રોત કયા છે?
- પતિ તરફથી મળતું ઘરખર્ચનું ભથ્થું: પતિ દ્વારા દર મહિને ઘર ચલાવવા માટે પત્નીને આપવામાં આવતી રકમ અથવા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાતા પૈસાને પત્નીની વ્યક્તિગત આવક ગણવામાં આવતી નથી. તેથી તેના પર કોઈ ટેક્સ લાગતો નથી.
- ફિક્સ ડિપોઝિટ (FD) પર વ્યાજ: જો કોઈ ગૃહિણીના નામે બેંકમાં એફડી હોય અને તેના પર વ્યાજની મોટી રકમ મળતી હોય, તો તેને મહિલાની આવક ગણવામાં આવે છે અને તે ટેક્સના દાયરામાં આવે છે.
- પતિ દ્વારા પત્નીના નામે રોકાણ: જો પતિ પોતાના પૈસા પત્નીના નામે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય જગ્યાએ રોકાણ કરે અને ભવિષ્યમાં તેના પર જે નફો કે વ્યાજ મળે, તો તે નિયમો અનુસાર પત્નીની આવક ગણી શકાય છે.
- ભેટ કે ગિફ્ટ: નજીકના સગા-સંબંધીઓ તરફથી મળતી ભેટ ટેક્સ ફ્રી હોય છે. પરંતુ જો કોઈ બિન-સંબંધી (મિત્રો વગેરે) તરફથી એક નાણાકીય વર્ષમાં 50,000 રૂપિયાથી વધુની ભેટ મળે, તો તેના પર ટેક્સ લાગી શકે છે.
કેટલા રૂપિયાની કમાણી પર ટેક્સ ભરવો પડે?
નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) હેઠળ વાર્ષિક 4 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. જ્યારે જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) માં 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે આ મર્યાદા 2.5 લાખ રૂપિયા છે. જો કોઈ ગૃહિણીની વાર્ષિક આવક આ મર્યાદા વટાવી જાય, તો તેણે આઇટીઆર ફાઇલ કરવું પડે છે.
2026-27 ના નાણાકીય વર્ષ માટેના ટેક્સ સ્લેબ
| નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) | ટેક્સ દર | જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) | ટેક્સ દર |
| 4 લાખ રૂપિયા સુધી | શૂન્ય | 2.5 લાખ રૂપિયા સુધી | શૂન્ય |
| 4 લાખથી 8 લાખ રૂપિયા સુધી | 5% | 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધી | 5% |
| 8 લાખથી 12 લાખ રૂપિયા સુધી | 10% | 5 લાખથી 10 લાખ રૂપિયા સુધી | 20% |
| 12 લાખથી 16 લાખ રૂપિયા સુધી | 15% | 10 લાખ રૂપિયાથી વધુ | 30% |
| 16 લાખથી 20 લાખ રૂપિયા સુધી | 20% | Nill | Nill |
| 20 લાખથી 24 લાખ રૂપિયા સુધી | 25% | Nill | Nill |
| 24 લાખ રૂપિયાથી વધુ | 30% | Nill | Nill |
60 થી 80 વર્ષની વયજૂથની મહિલાઓ માટે
| નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) | ટેક્સ દર | જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) | ટેક્સ દર |
| 4 લાખ રૂપિયા સુધી | શૂન્ય | 3 લાખ રૂપિયા સુધી | શૂન્ય |
| 4 લાખથી 8 લાખ રૂપિયા સુધી | 5% | 3 લાખથી 5 લાખ રૂપિયા સુધી | 5% |
| 8 લાખથી 12 લાખ રૂપિયા સુધી | 10% | 5 લાખથી 10 લાખ રૂપિયા સુધી | 20% |
| 12 લાખથી 16 લાખ રૂપિયા સુધી | 15% | 10 લાખ રૂપિયાથી વધુ | 30% |
| 16 લાખથી 20 લાખ રૂપિયા સુધી | 20% | Nill | Nill |
| 20 લાખથી 24 લાખ રૂપિયા સુધી | 25% | Nill | Nill |
| 24 લાખ રૂપિયાથી વધુ | 30% | Nill | Nill |
ગૃહિણીઓ ટેક્સમાં કેવી રીતે બચત કરી શકે?
ઇનકમ ટેક્સ એક્ટ હેઠળ ગૃહિણીઓ પણ વિવિધ કપાત અને છૂટછાટોનો લાભ લઈને પોતાની ટેક્સપાત્ર આવક ઘટાડી શકે છે:
- મેડિકલ ઇન્સ્યોરન્સ: કલમ 80ડી (80D) હેઠળ પોતાના અથવા પરિવારના સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમ પર ટેક્સ કપાત મેળવી શકાય છે.
- બચત ખાતા પર વ્યાજ (Saving Account Interest): કલમ 80ટીટીએ (80TTA) હેઠળ 60 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ બચત ખાતાના વ્યાજ પર 10,000 રૂપિયા સુધીની છૂટ મેળવી શકે છે. વરિષ્ઠ નાગરિકો કલમ 80ટીટીબી (80TTB) હેઠળ 50,000 રૂપિયા સુધીની છૂટ મેળવી શકે છે.
- પોસ્ટ ઓફિસ બચત ખાતું: કલમ 10(15)(i) હેઠળ પોસ્ટ ઓફિસના સિંગલ એકાઉન્ટ પર 3500 રૂપિયા અને જોઈન્ટ એકાઉન્ટ પર 7,000 રૂપિયા સુધીના વ્યાજને ટેક્સ મુક્ત રાખવામાં આવ્યું છે.
ટેક્સની ગણતરી કેવી રીતે કરવી?
ગૃહિણીઓએ તેમની કુલ ટેક્સપાત્ર આવક જાણવા માટે બેંક ડિપોઝિટ વ્યાજ, ભાડાની આવક અને રોકાણના વળતર જેવી તમામ કમાણીનો સરવાળો કરવો જોઈએ. તેમાંથી પીપીએફ, હેલ્થ ઇન્સ્યોરન્સ કે માન્ય દાન જેવી કપાતો બાદ કરવી જોઈએ. જો મેન્યુઅલ ગણતરી અઘરી લાગતી હોય, તો ઓનલાઇન ઉપલબ્ધ ઇનકમ ટેક્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને ચોક્કસ ટેક્સની જવાબદારી સરળતાથી જાણી શકાય છે.
