શું તમને ખબર છે શંખનાદનો આ મહિમા ?
શંખનાદ સાથે કેટલાંક વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે. હિન્દુ સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર મનાતો શંખનાદ સ્વાસ્થ્ય અને વાતાવરણ માટે પણ છે અત્યંત કલ્યાણકારી.
ધાર્મિક વિધિઓમાં શંખનું (Conch) એક આગવું જ મહત્વ છે. શ્રી નારાયણના વિવિધ સ્વરૂપો પર શંખથી જ અભિષેક કરવાનો મહિમા છે. તો પૂજા સમયે તેમજ આરતી સમયે શંખનાદની પણ અદકેરી મહત્તા રહેલી છે. પણ, શું તમને એ ખબર છે કે આ શંખનાદ સાથે કેટલાંક વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા છે. આવો, આજે એ જાણીએ કે હિન્દુ સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર મનાતો શંખનાદ કેવી રીતે તમારા સ્વાસ્થ્ય અને વાતાવરણ માટે પણ છે અત્યંત કલ્યાણકારી.
સમુદ્ર મંથનના સમયે ચૌદ રત્નોની ઉત્પત્તિ થઈ. શંખ પણ તેમાંથી જ એક છે કે જેની ઉત્પત્તિ છઠ્ઠા નંબરે થઈ હતી. સમુદ્રમાંથી પ્રાપ્ત બીજા તેર રત્નોની જેમ શંખમાં પણ અદભુત ગુણ છે. એના નાદમાંથી ઑંમ અર્થાત ૐ શબ્દ નીકળે છે. શંખ વગાડતી વખતે ૐ નો નાદ જ્યાં સુધી જાય છે ત્યાં સુધીની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે.
વૈજ્ઞાનિક પણ આ વાતને સ્વીકારતા કહે છે કે માનવ જીવન માટે ઘાતક એવાં ખૂબ જ નાના વિષાણુ શંખનાદથી નષ્ટ થઈ જાય છે. તો, વૈદિક માન્યતામાં શંખને વગાડવું ખાસ લાભદાયક ગણાય છે. શુભ કાર્ય કરતી વખતે શંખનાદ કરવાથી શુભતાનો સંચાર થાય છે. જ્યાં સુધી શંખનો અવાજ પહોંચે છે, ત્યાં સુધી તેને સાંભળારને ઈશ્વરનું સ્મરણ થઈ જાય છે.
સ્વાસ્થ્યની નજરે પણ શંખ વગાડવું લાભદાયક છે. શંખનાદ એ નવી ઘોષણાનું પ્રતીક છે, તો સાથે શ્વાસ સંબંધિત રોગોને પણ તે સમાપ્ત કરે છે. શંખનાદથી નીકળનાર ‘ઓમ’ નો મહાનાદ માનસિક રોગોની નિવૃત્તિ કરીને કુંડલિની ઉર્જાને જાગ્રત કરે છે. જેના કારણે બહિકૃભંક પ્રાણાયામની પ્રક્રિયા શરૂ થાય છે. શંખનાદથી આસપાસના વાતાવરણની શુદ્ધિ થાય છે. આજનો સૌથી ઘાતક રોગ હૃદયરોગ, બ્લ્ડપ્રેશર, મંદાગ્નિ તેમજ શ્વાસ સંબંધિત રોગમાં પીડિત દ્વારા શંખ વગાડવું પરમ શુભ ગણાય છે. કહે છે કે તેનાથી સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગે છે.
શંખના વાદનથી ઘરની બહારની આસુરી શક્તિયો અંદર નથી આવતી. ઘરમાં શંખ રાખવા અને વગાડવાથી વાસ્તુ દોષ ખત્મ થઈ જાય છે. શંખનો નાદ શુભ અને સતોગુણી ક્રિયાશક્તિનો વ્યક્તિની અંદર સંચાર કરે છે. વાણી સંબંધી વિકાર પણ શંખનાદથી દૂર થાય છે, તેવું તો પ્રયોગોમાં પણ સાબિત થયું છે. શંખને પૂજાઘરમાં જ રાખવામાં આવે છે અને પૂજા સિવાય તેને પીળા કપડાંની અંદર રાખવામા આવે છે. પૂજામાં રાખતી વખતે શંખનું મોંઢુ હંમેશા આપણી તરફ રાખવું જોઈએ.
કેટલીક પ્રથાઓ પ્રમાણે એવું પણ કહેવાય છે કે શંખનાદ ગર્ભવતી સ્ત્રીઓએ ન કરવો જોઈએ. કારણ કે શંખના ધ્વનિથી અવયવો પર દબાણ થતું હોવાથી ગર્ભને નુકસાન પહોંચી શકે છે. તો, આ વાતને ધ્યાનમાં રાખશો.
આ પણ વાંચોઃ લંબોદરને પસંદ છે પાંદડાની લીલાશ ! જે પૂર્ણ કરશે તમારી સઘળી આશ !