Weather Forecast in Gujarat: ક્યાંક હિટવેવ તો ક્યાંક વરસાદી માહોલ, જાણો આખા ગુજરાત માટે શું છે હવામાન વિભાગની નવી આગાહી? જુઓ વીડિયો
રાજ્યના કેટલાક વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો. ક્યાંક વીજળીના કડાકા ભડાકા, તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો. દેવભૂમિ દ્રારકાના ખંભાળીયા કરા સાથે વરસાદ વરસ્યો. તો અમરેલીમાં પણ વાવાઝોડા સાથે વરસાદી પાણી શહેરમાં ફરી વળ્યા. આ તરફ મોરબી સહિત ટંકારામાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો. તો જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના સમાચાર છે. જ્યારે બનાસકાંઠા અને ડાંગ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો. આ વચ્ચે એ જાણવું જરૂરી છે કે શું છે હવામાન વિભાગની નવી આગાહી?

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. નોર્થ વેસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે જેના કારણે આજે ગુજરાતના અનકે વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જો કે સાથે સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અને હીટવેવની આગાહી કરવામાં આવી છે.
થંડરસ્ટ્રોમ થવાનું પણ પુર્વાનુમાન
હવામાન વિભાગે કહ્યું છે કે…સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદનું અનુમાન છે. આ સાથે વીજળી અને ગાજવીજ સાથે વરસદાની આગાહી પણ કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ડાંગ, મહીસાગર અને દાહોદ તથા કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે. થંડરસ્ટ્રોમ થવાનું પણ પુર્વાનુમાન આપવામાં આવ્યુ છે.
માવઠાના પગલે અનેક જિલ્લાઓમાં પાક નુકસાન
આવતીકાલ શુક્રવારથી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે. આ સાથે આજથી લઇને ત્રણ દિવસ માટે હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે. ત્રણ દિવસ માટે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ તથા વલસાડ અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. માવઠાના પગલે અનેક જિલ્લાઓમાં પાક નુકસાન થયું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ બાકાત રહ્યો નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં 31 હજાર હેકટરમાં તલના પાકને નુકસાનની ભીતિ છે. ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદના પગલે તલના ઉભા પાકને નુકસાન થયું.
તલ અને બાજરીના પાકને નુકસાન
સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામોમાં ખેતરમાં ઉનાળું પાકનું વાવેતર કરવામાં આવ્યુ હતુ, કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભેલા ઉનાળુ તલના પાકનો સોથ વળી ગયો. 24 કલાકમાં 2 ઈંચ જેટલા પડેલા કમોસમી વરસાદના કારણે તલ અને બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ હતુ. જેને લઈને ખેડૂતોએ તાત્કાલિક સર્વે હાથ ધરી સરકાર પાસે આર્થિક સહાયની માગ કરી.
આ તરફ કોંગ્રેસના કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાએ CM અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે અને કમોસમી વરસાદ બાદ 48થી 72 કલાકમાં સરવે કરવાની માગ કરી છે. અગાઉના 4 કમોસમી વરસાદ સમયે સરવે થયા બાદ વળતર ન મળ્યાનો દાવો પણ કર્યો છે
આમ હવામાન હાલ ખેડૂતોની પરીક્ષા લઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ કમોસમી વરસાદનો કહેર છે. બીજી તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમી ત્રાસ ગુજારી રહી છે. હજૂ આગામી 48 કલાક સુધી આ સ્થિતિ રહેશે. જે બાદ સ્થિતિ સામાન્ય થાય તેવી શકયતાઓ છે.