Gujarat Weather: અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા, અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આગાહી
ગુજરાતમાં ફરી આકરી ગરમીનો માહોલ સર્જાઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહીસાગરમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહી કરી છે. સાથે જ 30 અને 31 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનની શક્યતા પણ વ્યક્ત કરી છે.

ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 28 મેથી રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમી વધુ તીવ્ર બનવાની સંભાવના છે.
ગરમીને લઈને અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મહીસાગર જિલ્લામાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉપરાંત પંચમહાલ સહિતના વિસ્તારોમાં પણ આકરી ગરમી અનુભવાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પારો 41થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગરમ પવન અને ઉકળાટના કારણે લોકોને દિવસ દરમિયાન બહાર નીકળવામાં મુશ્કેલી પડી શકે છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
જો કે, ગરમીના આ માહોલ વચ્ચે રાજ્ય માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. અંબાલાલ પટેલે 30 અને 31 મેના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ઉત્તર-પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય
આ ઉપરાંત 31 મેના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાનમાં આ બદલાવ પાછળ બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં સક્રિય બનેલી હવામાન પ્રણાલીઓને જવાબદાર માનવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે આ સિસ્ટમોના પ્રભાવથી ગુજરાતમાં પવનની ગતિ વધશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
મે-જૂનમાં પડશે વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે માત્ર મે મહિનાના અંતમાં જ નહીં, પરંતુ 2 જૂન, 4 જૂન અને 7 જૂનના રોજ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળી શકે છે.
હાલમાં રાજ્યના અનેક શહેરોમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેથી આરોગ્ય નિષ્ણાતો લોકોને બપોરના સમયે જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. પૂરતું પાણી પીવું, હળવું ખોરાક લેવું અને ગરમીથી બચવા સાવચેતી રાખવી જરૂરી ગણાવવામાં આવી રહી છે.
રસોઈનો સ્વાદ વધારતા મરચાં શરીર પર શું અસર કરે છે? જાણો મહત્વની માહિતી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
