Video : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની થઈ પૂર્ણાહુતિ, 50 લાખથી પણ વધુ લોકોએ લીધી મુલાકાત
PSM 100: અમદાવાદમાં ઓગણજ સ્થિત આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની આજથી પૂર્ણાહુતિ થઈ છે. એક મહિના દરમિયાન આ મહોત્સવમાં 50 લાખથી વધુ લોકો મુલાકાત લઈ ચુક્યા છે અને ધન્યતા અનુભવી હતી. મહોત્સવની મુલાકાત લેનારા સહુ કોઈ અહીં ભાવિકો માટે કરવામાં આવેલા વ્યવસ્થાની પ્રશંસા કર્યા વિના રહી શક્યા ન હતા.
અમદાવાદના ઓગણજ નજીક આયોજીત ભવ્યાતિ ભવ્ય PSMની પૂર્ણાહૂતિ થઇ છે. છેલ્લા એક મહિનાથી આયોજિત ભવ્ય મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો છે. આટલા મોટા મહોત્સવમાં કોઇ પણ પ્રકારનો અણબનાવ સામે આવ્યો નથી. એક મહિના સુધી ચાલેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 50 લાખથી પણ વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને ધન્યતા અનુભવી હતી. સાથે જ 50 હજારથી વધુ સ્વયંસેવકોએ પોતાના નોકરી-ધંધા, રોજગાર છોડી ખડેપગે રહી ભક્તોની સેવામાં રહ્યા હતા.
ઓગજણ નજીક 600 એકર જમીન પર ભવ્ય પ્રમુખસ્વામી નગર બનાવાયું હતું. જેમાં 200 પ્રકારના 11 લાખથી વધુ ફૂલછોડ રોપવામાં આવ્યાં હતા. 380 ફૂટ લાંબો અને 52 ફૂટ ઉંચા નગરના 7 કલાત્મક સંસ્કૃતિક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યાં હતા. સંત દ્વાર’ પર આદિ મહાન સંતો-વિભૂતિઓની પૂર્ણ કદની 28 પ્રતિમાઓ મુકવામાં આવી હતી.17 એકરમાં ભવ્ય બાળ નગરી, 30 એકરમાં ગ્લો ગાર્ડન બનાવાયું હતું. 25 હજાર વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો ભવ્યાતિભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઓગણજ સ્થિત આયોજિત આ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું 14મી ડિસેમ્બરે વડાપ્રધાન પીએમ મોદીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન મોદીએ આ ઉદ્દઘાટન કર્યા બાદ અહીં સામાન્યમાં સામાન્ય લોકોની લઈને વિવિધ ક્ષેત્રના દિગ્ગજો સહિતનાએ આ મહોત્સવમાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીઓ, કલા જગત સાથે સંકળાયેલા કલાકારો સહિતના આ શતાબ્દી મહોત્સવમાં આવ્યા હતા.