સુરત ટુ બંગાળ ‘વોટ ટ્રેન’: 4 હજાર મતદારો વતન જવા રવાના, શું આ પરિવર્તનનો સંકેત છે?
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન માટે સુરતથી 4 હજાર કામદારો ખાસ ટ્રેન મારફતે રવાના થયા છે. મફત ટિકિટ અને ભોજન સાથે વતન જઈ રહેલા મતદારોના મનમાં શું છે? જાણો વિગત.
હીરા અને ટેક્સટાઈલ સિટી સુરત અત્યારે એક અનોખા ‘રાજકીય પ્રવાસ’નું સાક્ષી બની રહ્યું છે. આગામી 29 એપ્રિલે પશ્ચિમ બંગાળમાં યોજાનારા બીજા તબક્કાના મતદાન માટે સુરતમાં વસતા હજારો બંગાળી કામદારો પોતાના વતન જવા રવાના થયા છે. ઉધના રેલવે સ્ટેશન પરથી અંદાજે 4 હજાર જેટલા મતદારો ખાસ ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ જવા રવાના થતા રેલવે સ્ટેશન ‘જય શ્રી રામ’ અને પરિવર્તનના નારાઓથી ગાજી ઉઠ્યું હતું.
ખાસ ટ્રેન અને વીઆઈપી વ્યવસ્થા
બંગાળી સમાજ દ્વારા આયોજિત આ વિશેષ અભિયાન હેઠળ કામદારોને વતન પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ તમામ કામદારો માટે વિનામૂલ્યે ટિકિટ અને મુસાફરી દરમિયાન ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં કામદારો એકસાથે વતન રવાના થતા સુરતના શ્રમિક વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
મતદારોનો મિજાજ: “ગુજરાત જેવો વિકાસ જોઈએ”
વતન જઈ રહેલા મતદારોના સૂર આ વખતે કાંઈક અલગ જ સંભળાઈ રહ્યા છે. અનેક મતદારોએ કેમેરા સામે ખૂલીને સ્વીકાર્યું કે તેઓ આ વખતે પશ્ચિમ બંગાળમાં ‘બદલાવ’ ઈચ્છે છે. કેટલાક મતદારોએ તો સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ આ વખતે ભાજપને વોટ આપશે. પશ્ચિમ બંગાળના આ શ્રમિકોએ ગુજરાત સરકારની કામગીરીના મન ભરીને વખાણ કર્યા હતા.
રોજગાર અને સુરક્ષા મુખ્ય મુદ્દો
સુરતમાં વર્ષોથી રહીને રોજગારી મેળવતા બંગાળી મતદારોનું કહેવું છે કે, જો પશ્ચિમ બંગાળમાં પણ ગુજરાત જેવું વાતાવરણ અને ઉદ્યોગો સ્થાપિત થાય, તો અમારે વતન છોડીને બહાર આવવું ન પડે. પરિવર્તન બાદ બંગાળમાં પણ રોજગારની નવી તકો ઉભી થશે તેવી આશા સાથે આ તમામ લોકો લોકશાહીના પર્વમાં ભાગ લેવા ઉત્સાહિત દેખાયા હતા.
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં સુરતથી જઈ રહેલો આ જનપ્રવાહ પરિણામોમાં શું ઉલટફેર લાવશે, તેના પર હવે રાજકીય વિશ્લેષકોની નજર ટકેલી છે.
