દ્વારકામાં 88 લાખના ખર્ચે બનાવેલા હરીકુંડમાં જામ્યા ગંદકીના ગંજ, તંત્રની બેદરકારીના કારણે કુંડની દુર્દશા
Dwarka: લાખોના ખર્ચે બનાવાયેલા હરીકુંડની બદત્તર હાલત થઈ છે. કુંડની સાફ સફાઈના અભાવે તેમા ગંદકીના થર જામ્યા છે. અહી આવતા યાત્રાળુઓ કુંડમાં સ્નાન કરી શક્તા નથી એટલી હદે ગંદકી ફેલાઈ છે.
યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં લાખોના ખર્ચે બનાવાયેલા હરિકુંડની માવજતના અભાવે દુર્દશા થઇ છે. નગરપાલિકાની બેદરકારીને કારણે 88.28 લાખના ખર્ચે બનાવેલા હરીકુંડની હાલત બદતર બની છે. પવિત્ર હરીકુંડમાં ગંદુ પાણી અને ગંદકીના થર જોવા મળી રહ્યાં છે. કુંડમાં આવેલી અનેક લાઇટો પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. જેને કારણે કુંડમાં વૈષ્ણોવો સ્નાન અને ઝારીજી ભરી શક્તા નથી. 2020માં કેન્દ્ર સરકારની હદય યોજના અંતર્ગત હરીકુંડના સમારકામ માટે 88.28 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ માત્ર બે વર્ષમાં નગરપાલિકાની જાળવણીના અભાવે કુંડની બદતર હાલત થઇ છે. જેને લઇ વૈષ્ણવોમાં રોષની લાગણી ફેલાઇ છે અને તાત્કાલિક હરિકુંડની સફાઇ કરવામાં આવે તેવી માગ કરી છે.
તંત્ર દ્વારા હરીકુંડની કોઈ પ્રકારની સાફ સફાઈ કરાતી નથી- કલ્પેશ શાસ્ત્રી
કલ્પેશ શાસ્ત્રીના જણાવ્યા મુજબ હરીકુંડની કોઈ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવતી નથી. કુંડના જિર્ણોદ્ધાર માટે લાખોની ગ્રાંટ ફાળવવામાં આવી હતી પરંતુ બે જ વર્ષમાં કુંડમાં ગંદકીના થર જામ્યા છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીએ તેનુ ઈ-લોકાર્પણ કર્યુ હતુ. હાલ કુંડમાં અતિશય ગંદકીના કારણે રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે ભાવિકો અહીં આચમન નથી કરી શક્તા કે સ્નાન પણ નથી કરી શક્તા. ગંદકીના કારણે કુંડ આસપાસ કોઈ બેસી પણ ન શકે તે હદે દુર્ગંધ મારે છે. દ્વારકા યાત્રાધામ હોવાથી હજારો ભાવિકો અહીં આવે છે. હરીકુંડની દુર્દશાના કારણે ભાવિકોમાં નિરાશા જોવા મળે છે. પરંતુ તંત્ર દ્વારા તેની સાફ સફાઈ માટે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તંત્ર હજુ ઘોર નીંદ્રામાં જ છે.