Gujarati Video: વરસાદ ખેંચાતા કફોડી સ્થિતિમાં મુકાયા ધોરાજીના ખેડૂતો, તાત્કાલિક ભાદર ડેમનુ પાણી છોડવા કરી માગ, કેનાલમાં ઉભા રહી કર્યા સૂત્રોચ્ચાર
Rajkot: છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. વેગડી ગામના ખેડૂતોએ પાણી છોડવા માટે કેનાલમાં ઉભા રહી સૂત્રોચ્ચાર કર્યા અને તાત્કાલિક ભાદર઼-1 ડેમનું પાણી છોડવા માગ કરી. કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી આપવા ખેડૂતો માગ કરી રહ્યા છે. સિંચાઈનું પાણી નહીં મળે તો કપાસ, મગફળી, સોયાબીન અને એરંડાનો પાક સૂકાવાની ભીતિ સેવાઈ રહી છે.
Rajkot: ધોરાજી પંથકની આ સ્થિતિ છે. જોકે રાજ્યભરમાં આ જ હાલત છે કેમકે વરસાદે ઓગસ્ટ મહિનામાં સાવ ગાયબ જ થઈ ગયો છે. આ પહેલાં જુલાઈ મહિનામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ધોરાજી પંથકમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને પાકને સારુ એવું નુકસાન થયું હતું. ખાસ કરીને કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જવા વિવિધ પાકોને ભારે વરસાદને કારણે નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ ખેડૂતોએ એમનો મહામૂલો પાક મહામુસીબતે મહેનત કરી અને બચાવ્યો પણ હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોની રાતની ઉંઘ હરામ થઈ ગઈ છે. ખેડૂતોને પાણી વિના પાક બળી જવાની ભીતિ સતાવી રહી છે.
વેગડી ગામના ખેડૂતોએ કેનાલમાં ઉભા રહી કર્યા સૂત્રોચ્ચાર
ધોરાજીના વેગડી ગામના ખેડૂતોએ પાણી માટે કેનાલમાં ઉભા રહી સૂત્રોચ્ચાર કર્યા અને તાત્કાલિક ભાદર- 1 ડેમનુ પાણી છોડવાની માગ કરી. ખેડૂતો કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી આપવાની માગ કરી રહ્યા છે. એક તરફ ધોરાજી પંથકમાં વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ પાકને પિયત માટેની ખાસ જરૂર છે. ખેડૂતોનું કહેવું છે કે જે ખેડૂતોને ખેતરમાં કુવા બોર છે એમને તો પિયત થઈ શકે એમ છે પરંતુ વીજ ધાંધિયાને કારણે ખેડૂતો સમયસર પિયત આપી શકતા નથી. તેમને 10 કલાકની જગ્યા એ માત્ર 8 કલાક વીજ પુરવઠો મળે છે. સરકારે હાલમાં જ 10 કલાક વીજળી આપવાની જાહેરાત તો કરી છે પરંતુ ઓછા વોલ્ટેજને કારણે ખેડૂતો યોગ્ય રીતે પિયત કરી શકતા નથી. આ જોતાં ખેડૂતોનું કહેવું છે કે ભાદર ડેમમાંથી તેમને કેનાલ મારફત પાણી સરકારે આપવું જોઈએ.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો