Gujarati Video: ગૃહમાં ઉઠ્યો બોટાદ દારૂકાંડનો મુદ્દો, ‘આપ’ના ઉમેશ મકવાણાનો આક્ષેપ, 58ના મોત છતા વેચાય છે ખુલ્લેઆમ દારૂ
Gandhinagar: વિધાનસભા ગૃહમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદ દારૂકાંડનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યુ 58 લોકોના મોત છતા બોટાદમાં હજુ પણ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. ત્યારે ફરી દારૂકાંડ થવાની પણ તેમણે આશંકા વ્યક્ત કરી.
વિધાનસભા ગૃહમાં આજે બોટાદ દારૂકાંડનો મુદ્દો ગાજ્યો હતો. બોટાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ દારૂકાંડન મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યુ બોટાદમાં લઠ્ઠાકાંડ થયો જેમા 58 લોકોની મોત થયા અને લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી સમીર હજુ બહાર ફરી રહ્ય હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો. તેમણે બોટાદમાં ફરી વખત લઠ્ઠાકાંડ થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. આપના ધારાસભ્યએ આક્ષેપ લગાવ્યો કે 58 લોકોના મોત બાદ પણ બોટાદના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે.
વધુમાં તેમણે રાજ્યના ગૃહ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો. તો બીજી તરફ તેમણે પોલીસને અન્ય રાજ્યોની જેમ પગાર ભથ્થુ આપવાની માગ કરી. વધુમાં તેમણે ઉમેર્યુ કે શહીદ થનાર પોલીસકર્મીના પરિવારને પણ એક કરોડની સહાય આપવામાં આવે.
વિધાનસભામાં કિરણ પટેલ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ
બીજી તરફ મહાઠગ કિરણ પટેલની પાપલીલાની ગૂંજ હવે વિધાનસભામાં પણ ગૂંજી. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં નકલી IAS કિરણ પટેલનો મુદ્દો ઉછાળ્યો. શૈલેષ પરમારે પ્રશ્નકાળ દરમિયાન વિધાનસભામાં સરકાર સામે કેટલાક વેધક સવાલો પણ કર્યા. શૈલેષ પરમારે સરકારને સવાલ કર્યો “G-20 સમિટમાં કિરણ પટેલ કોની મદદથી અધિકારી બનીને આવ્યો અને 100થી વધુ વાર સરકારી પ્લેનનો ઉપયોગ કર્યો ? શૈલેષ પરમારે સવાલ કર્યો કે કેવી રીતે ઠગબાજ કિરણ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારો સુધી પહોંચી ગયો? કેમ ડબલ એન્જિનની સરકારમાં IB કંઈ નથી કરી શકતી ? શું રાજ્યના IAS-IPSની પણ જાસૂસી થાય છે ?
હવે આરોપી કિરણ પટેલ મામલે રાજનીતિ તેજ થઇ છે અને કોંગ્રેસ કિરણના નામે સરકાર પર પ્રહાર કરવાનો પ્રયાસ કરી રહી છે.