Paper Leak : ‘સરકાર માત્ર નાની માછલીઓને જ પકડવાનું કામ કરે છે’, પેપરલીક મુદ્દે કોંગ્રેસે ફરી એક વખત સરકારને ઘેરી
કોંગ્રેસે પેપરલીક મુદ્દે શ્વેતપત્ર બહાર પાડવાની માગ કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પેપરલીક મુદ્દે સરકાર પર આકરા પ્રહારો ઉઠાવી સરકારની દાનત સામે સવાલો ઉઠાવ્યા.
ગુજરાતમાં પેપરલીક મુદ્દે કોંગ્રેસે ફરી એક વખત રાજ્યની ભાજપ સરકારને ઘેરી છે. કોંગ્રેસે પેપરલીક મુદ્દે શ્વેતપત્ર બહાર પાડવાની માગ કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પેપરલીક મુદ્દે સરકાર પર આકરા પ્રહારો ઉઠાવી સરકારની દાનત સામે સવાલો ઉઠાવ્યા. મેવાણીએ જણાવ્યું કે ગુજરાતમાં 20-22મી વખત પરીક્ષાનું પેપર ફૂટ્યું છે, ત્યારે રાજ્ય સરકાર અત્યાર સુધીમાં કેટલા પેપર ફૂટ્યા એ અંગે શ્વેતપત્ર બહાર પાડે. સાથે જ અત્યાર સુધીમાં કેટલા લોકોની ધરપકડ કરી અને કેટલા લોકોને જેલમાં ધકેલ્યા તેની પણ માહિતી આપે. મેવાણીએ આક્ષેપ કર્યો કે સરકાર માત્ર નાની માછલીઓને જ પકડવાનું કામ કરે છે.
સરકાર માત્ર નાની માછલીઓને જ પકડવાનું કામ કરે છે – કોંગ્રેસ
બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પેપરલીક મુદ્દે વિરોધની અનોખી રીત અપનાવી. પ્રતાપ દૂધાતે પેપરલીક મુદ્દે ભગવાન શ્રીરામને પત્ર લખી ભાજપ પર કટાક્ષ કર્યો. પ્રતાપ દૂધાતે પત્રમાં શ્રીરામને સંબોધીને જણાવ્યું કે ભાજપ તમારું નામ લઇને જ ચૂંટણી જીતે છે. પરંતુ રાજ્યમાં જે રીતે એક પછી એક પેપરો ફૂટે છે અને સરકાર યુવાનોને ન્યાય અપાવવામાં નિષ્ફળ નીવડી છે,ત્યારે હવે યુવાનોને તમે જ બચાવી શકો તેમ છો.