ભાજપના નેતા જગદીશ પંચાલના વિવાદી બોલ, વડગામમાં ભાજપને મત ન આપનારા લોકોને ગણાવ્યા ગદ્દાર
Banaskatha: વડગામની મુલાકાતે ગયેલા ભાજપના નેતા અને મંત્રી જગદિશ પંચાલે ભાજપને મત ન આપનારા લોકોને ગદ્દાર ગણાવ્યા હતા. જગદિશ પંચાલે કહ્યુ ભાજપને મત ન આપનારા દેશના ગદ્દાર છે.
ગુજરાત સરકારના મંત્રી અને ધારાસભ્ય જગદીશ પંચાલે વિવાદી નિવેદન આપ્યુ છે. જગદિશ પંચાલે બનાસકાંઠાના વડગામની મુલાકાતે હતા, અહીં તેમણે વડગામમાં ભાજપની હારને રાષ્ટ્ર સાથે ગદ્દારી ગણાવી છે. જગદીશ પંચાલે હાર માટે જવાબદાર લોકોને રાષ્ટ્રના ગદ્દાર ગણાવ્યા છે. નિવેદન આપતી વખતે ભાન ભુલેલા જગદિશ પંચાલે કહ્યુ મારા મત મુજબ ભાજપને મત ન આપનારા દેશન ગદ્દાર છે. જગદિશ પંચાલ તેમના વતનની મુલાકાતે હતા ત્યારે તેમના સ્વાગત માટે આવેલા લોકોને તેમણે કહ્યુ હું તો ચોક્કસ કહીશ કે ખોટુ લાગે તો ખોટુ આ આડંબર કરતા સીટ જીતાડી હોત તો તેનો પ્રેમ મને કદાચ વધુ મળત.
જગદિશ પંચાલના નિવેદન પર જિજ્ઞેશ મેવાણીનો વળતો પ્રહાર
જગદિશ પંચાલના આ નિવેદનની કોંગ્રેસના નેતાઓએ ભારે ટીકા કરી છે. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વળતો પ્રહાર કર્યો છે. મેવાણીએ પ્રહાર કર્યા કે કરોડો રૂપિયાનો ઢગલો કરવા છતા વડગામની ચૂંટણી ન જીતી શકનારા ભાજપ ઘાંઘા બનેલા મંત્રી જગદીશ પંચાલ જ્યારે આજે વડગામ ગયા અને વરણાવાળા ગામના મારા મતવિસ્તારના ભાઈબહેનોએ તેમનુ ફુલોથી સ્વાગત કર્યુ તો જગદિશ પંચાલે એમનુ અપમાન કર્યુ કે શેના ફુલો લઈને આવો છો. જે લોકોએ ભાજપને વોટ નથી આપ્યા તેમણે રાષ્ટ્ર સાથે ગદ્દારી કરી છે. જિજ્ઞેશ મેવાણીએ કહ્યુ કે કોરોના સમયે જ્યારે ઓક્સિજન માટે લોકો તરસતા હતા ત્યારે તમે વડગામમાં પગ ન મુક્યો તેના કારણે વડગામમાં તમે હાર્યા છે.