સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો, ઠેકઠેકાણે પડ્યા અનેક રાજીનામા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં તડા પડ્યા છે. ત્રીજા મોરચા તરીકે મજબુત બનવાની વાતો વચ્ચે પક્ષમં આંતરીક વિવાદ સપાટી પર આવ્યો છે અને અનેક રાજીનામા પણ પડી ચુક્યા છે.
હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટ વચ્ચે હાલ તમામ પાર્ટઓમાં ટિકિટને લઈને આંતરિક ખેંચતાણ, રોષ, નારાજગીનો સૂર જોવા મળ્યો. આ તરફ આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રીજા મોરચા તરીકે મજબુત બનવાના દાવા ભલે કરતી હોય પરંતુ નર્મદામાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે ધારાસભ્ય ચૈતર વસાવાના ખાસ વ્યક્તિએ જ રાજીનામુ ધરી દીધુ છે. ચૈતર વસાવાના ખાસ ગણાતા જગદીશ વસાવાએ આપના તમામ હોદ્દા પરથી રાજનામુ આપ્યુ છે.
જ્યારે જુનાગઢમાં પણ આમ આદમી પાર્ટીના SC/ST સેલના જિલ્લા પ્રમુખે પક્ષપલટો કરી કોંગ્રેસમાં જોડાઈ ગયા. ધીરુ ગોહિલે AAP સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે અને પોતાના સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. પક્ષ છોડતા જ તેમણે આરોપ લગાવ્યો કે, AAP ભાજપની બી-ટીમ છે. અને તેમાં પાયાના કાર્યકરોની અવગણના થાય છે.
આ તરફ બનાસકાંઠાના થાવર ગામે 50 કાર્યકરો ભાજપ અને AAPમાંથી કોંગ્રેસમાં જોડાઈ ગયા. ફોર્મ ભરાયા બાદ અસંતોષને લઈને આ કાર્યકરોએ પક્ષપલટો કર્યો છે. બીજી તરફ રાજકોટના વીંછિયા તાલુકામાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું.. ભડલી બેઠક પર AAPનાં ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા. હંસરાજ ભાલાળા સમર્થકો સાથે ભાજપમાં ભળી ગયા. જ્યાં હવે પ્રચાર મેદાનમાં ઉતરવાનું હતું. ત્યાં આ ભંગાણ AAPને કેટલું નડી શકે છે, તે 28 એપ્રિલે જાણી શકાશે.