કોહલી-રોહિત બાદ ટીમ ઈન્ડિયાના વધુ એક ખેલાડી એ લીધો T20 ક્રિકેટથી સન્યાસ
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાની સાથે જ ફેન્સ જેનાથી ડરતા હતા તે તબક્કો શરૂ થઈ ગયો. એક પછી એક અનુભવીઓએ નિવૃત્તિની જાહેરાત કરી. ફાઈનલના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ આ ફોર્મેટને અલવિદા કહી દીધું. આ બાદ વધુ એક ખેલાડીએ સંન્યાસ લીધો છે
![કોહલી-રોહિત બાદ ટીમ ઈન્ડિયાના વધુ એક ખેલાડી એ લીધો T20 ક્રિકેટથી સન્યાસ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/TEAM-INDIA-32.jpg?w=1280)
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાની સાથે જ ફેન્સ જેનાથી ડરતા હતા તે તબક્કો શરૂ થઈ ગયો. એક પછી એક અનુભવીઓએ નિવૃત્તિની જાહેરાત કરી. ફાઈનલના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ આ ફોર્મેટને અલવિદા કહી દીધું. હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ આ ફોર્મેટમાં હંમેશા માટે વાદળી જર્સી છોડવાની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાની જીતના એક દિવસ બાદ રવિવાર, 30 જૂને જાડેજાએ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
બાકીના ફોર્મેટ રમવાનું ચાલુ રાખશે
રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાની જીતના થોડા કલાકો બાદ ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ સાથે આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી પરંતુ ODI અને ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે તેની મજબૂત રમત બતાવવાનું ચાલુ રાખવાની ખાતરી આપી હતી. જાડેજાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે વર્લ્ડ કપ જીતવો તેની T20 કારકિર્દીનો સૌથી મોટો માઈલસ્ટોન હતો. જાડેજાએ કહ્યું કે તે ખુશીથી ભરેલા હૃદય સાથે T20 ઇન્ટરનેશનલ છોડી રહ્યો છે. તેણે કહ્યું કે તે હંમેશા દેશ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપતો રહ્યો છે અને અન્ય ફોર્મેટમાં પણ કરતો રહેશે.
View this post on Instagram
રવિન્દ્ર જાડેજાએ આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે તમામ 8 મેચ રમી હતી. જો કે, આ ટૂર્નામેન્ટ તેના માટે બહુ ફળદાયી સાબિત થઈ ન હતી. તે ટૂર્નામેન્ટની 7 ઇનિંગ્સમાં બોલિંગ કરવાની તક મળી હતી પરંતુ તે માત્ર 1 વિકેટ જ લઇ શક્યો હતો. જ્યારે 5 ઇનિંગ્સમાં તેના બેટિંગમાં 35 રન બનાવ્યા હતા. ફિલ્ડિંગમાં તેનો જાદુ ચોક્કસપણે ચાલુ રહ્યો, જ્યાં તેણે ઘણા રન રોક્યા હતા.
જાડેજાની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી કેવી રહી?
જાડેજાએ ફેબ્રુઆરી 2009માં શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે આ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તે લગભગ દરેક T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો ભાગ રહ્યો છે. ઈજાના કારણે તે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા છેલ્લા ટી20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શક્યો નહોતો. જાડેજાએ પોતાની કારકિર્દીમાં ટીમ ઈન્ડિયા માટે 74 મેચ રમી હતી, જેમાં તેણે 21ની એવરેજથી 515 રન અને 29.85ની એવરેજથી 54 વિકેટ ઝડપી હતી.