ટીમ ઈન્ડિયાની UK1845 સ્પેશિયલ ફ્લાઈટને આપવામાં આવી વોટર કેનન સલામી, રોહિત-વિરાટનું છે ખાસ કનેક્શન
T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ભારત પરત ફરેલી ટીમ ઈન્ડિયાનું દરેક જગ્યાએ સ્વાગત થઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયા દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઈટમાં મુંબઈ પહોંચી હતી. આ ફ્લાઈટને વોટર કેનન સલામી આપવામાં આવી હતી. આ સિવાય જે ફ્લાઈટ દ્વારા ટીમ ઈન્ડિયા દિલ્હીથી મુંબઈ રવાના થઈ હતી તેનું નામ UK 1845 હતું, જે રોહિત-વિરાટને સમર્પિત કરવામાં આવી આવી હતી.
![ટીમ ઈન્ડિયાની UK1845 સ્પેશિયલ ફ્લાઈટને આપવામાં આવી વોટર કેનન સલામી, રોહિત-વિરાટનું છે ખાસ કનેક્શન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/Virat-Kohli-Rohit-Sharma-4.jpg?w=1280)
ટીમ ઈન્ડિયા આજે પોતાના દેશ પરત ફરી છે. તે હાલમાં તેના ચાહકો સાથે T20 વર્લ્ડ કપની જીતની ઉજવણી કરી રહી છે. ભારતીય ટીમ ગુરુવારે સવારે 6 વાગ્યે બાર્બાડોસથી નવી દિલ્હી પહોંચી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ખાસ ફ્લાઈટ દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. આ પછી દિલ્હી એરપોર્ટ પર ભારતીય ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ટીમ હોટલમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. આ પછી ભારતીય ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી અને પછી મુંબઈ જવા રવાના થઈ. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે ખાસ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ટીમ ઈન્ડિયાની ફ્લાઈટને વોટર કેનન સલામી
ટીમ ઈન્ડિયા વિસ્તારા એરલાઈન્સના વિમાન દ્વારા દિલ્હીથી મુંબઈ પહોંચી હતી. આ ફ્લાઈટને મુંબઈ પહોંચતા જ વોટર કેનન સલામી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, સિનિયર પાયલોટ અથવા એર ટ્રાફિક કંટ્રોલની નિવૃત્તિ પર, એરપોર્ટ પર એરલાઈનની પહેલી કે છેલ્લી ફ્લાઈટ, ચોક્કસ વિમાનની પહેલી કે છેલ્લી ફ્લાઈટ અથવા કોઈપણ યાદગાર ક્ષણ માટે વોટર કેનન સલામી આપવામાં આવે છે.
Team India’s flight UK1845 got a water salute from Mumbai airport. The craze for #TeamIndia is beyond imagination! Can’t wait to see the scenes at Marine Drive #indiancricketteam #VictoryParade pic.twitter.com/Pdt8WwU6Cq
— Prathmesh Pophale (@Prath_Pophale11) July 4, 2024
રોહિત-વિરાટને સમર્પિત કરવામાં આવી ખાસ ફ્લાઈટ
તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા જે ફ્લાઈટ દ્વારા દિલ્હીથી મુંબઈ રવાના થઈ હતી તેનું નામ UK 1845 હતું. વિસ્તારાની આ વિશેષ ફ્લાઈટ વિરાટ કોહલી અને રોહિત શર્માને સમર્પિત કરવામાં આવી છે. વાસ્તવમાં, વિરાટ કોહલીની જર્સી નંબર 18 છે અને રોહિત શર્માની જર્સી નંબર 45 છે.
UK 1845 #Staytuned
— Vistara (@airvistara) July 4, 2024
બાર્બાડોસથી પણ ખાસ ફ્લાઈટમાં ભારત આવ્યા
T20 વર્લ્ડ કપની ફાઈનલ જીત્યા બાદ તોફાનના કારણે ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. આ કારણે ટીમ ઈન્ડિયાના ઘરે પરત ફરવામાં વિલંબ થયો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને ખાસ ફ્લાઈટમાં ભારત લાવવામાં આવી હતી. એર ઈન્ડિયાએ તે ફ્લાઈટ ટ્રીપને ટીમ ઈન્ડિયાની જીતનું નામ આપ્યું હતું. તે વિશેષ ફ્લાઈટનું નામ AIC24WC (એર ઈન્ડિયા ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ) હતું.
ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા
ટીમ ઈન્ડિયાનું ભારતમાં જોરદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભારતીય ટીમના ખેલાડીઓ જ્યાં પણ જાય છે ત્યાં ચાહકોની ભારે ભીડ જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ચાહકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં 11 વર્ષની રાહ જોયા બાદ ટીમ ઈન્ડિયા ICC ટ્રોફી જીતીને ભારત આવી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, ત્યારથી દરેક ભારતીય ક્રિકેટ ફેન્સ આઈસીસી ટ્રોફીની રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરી થઈ ગઈ છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની PM મોદી સાથેની મુલાકાત બાદ ઈન્દિરા ગાંધીની 1983ના વર્લ્ડ કપની તસવીર કેમ થઈ વાયરલ?