Virat Kohli 100th Test: BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કેવી રીતે અચાનક બદલાયો વિરાટ કોહલી
શ્રીલંકા સામે રમાનાર મોહાલી ટેસ્ટ વિરાટ કોહલી (Virat Kohli 100th Test) માટે ખાસ મેચ રહેશે. આ તેની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ હશે.
શ્રીલંકા સામે મોહાલીમાં જ્યારે ટીમ ઈન્ડિયા (Team India) પહેલી ટેસ્ટ રમવા મેદાન પર ઉતરશે, ત્યારે વિરાટ કોહલી (Virat Kohli) માટે તે ખાસ ક્ષણ હશે. વિરાટ કોહલી પોતાની ટેસ્ટ કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ (Virat Kohli 100th Test) રમવા મોહાલીના મેદાન પર ઉતરશે. દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે 100 ટેસ્ટ મેચ રમે અને વિરાટ કોહલીનું આ સપનું પુરૂ થવા જઈ રહ્યું છે. વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચ પહેલા સારા સમાચાર આવ્યા છે કે મોહાલી ટેસ્ટમાં સ્ટેડિયમની ક્ષમતાના 50% દર્શકોને પ્રવેશ મળશે. આ પહેલા મોહાલી ટેસ્ટમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી ન હતી પણ બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ આ નિર્ણય બદલી નાખ્યો. આ સાથે વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ માટે સૌરવ ગાંગુલીએ મહત્વની વાત કહી છે.
સૌરવ ગાંગુલીએ કહ્યું કે વિરાટ કોહલી માટે 100મી ટેસ્ટ મેચ ખરેખર શાનદાર અને ક્યારેય ભુલાય નહીં તેેવી રહેશે. સાથે જ સૌરવ ગાંગુલીએ આશા વ્યક્ત કરી કે જલ્દી આ દિગ્ગજ ખેલાડી સદી નોંધાવશે. સૌરવ ગાંગુલીએ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીત કરતા કહ્યું કે “વિરાટ કોહલી વાપસી કરશે અને સદી ફટકારશે. હું જાણું છું કે છેલ્લા બે વર્ષથી તેણે સદી નથી ફટકારી પણ તે શાનદાર ખેલાડી છે અને જલ્દી આ પરિસ્થિતિમાંથી પસાર થઈ જશે. તે જાણે છે કે સદી કઈ રીતે ફટકારવામાં આવે છે, નહીં તો તે 70 સદી કઈ રીતે લગાવી શકતો. મને ખ્યાલ છે તે જલ્દી મોટો સ્કોર કરશે, તેનામાં ગજબની ક્ષમતા છે.”
ગાંગુલીએ જણાવ્યુંઃ ક્યારે બદલાઈ વિરાટ કોહલીની કારકિર્દી
સૌરવ ગાંગુલીએ કહ્યું કે વિરાટ કોહલી સાથે તે રમ્યો નથી પણ તેની રમતને તેણે નજીકથી જોઈ છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે “હું વિરાટ કોહલીની સાથે નથી રમ્યો પણ મેં તેની રમતને નજીકથી જોઈ છે. તેની કારકિર્દીની શરૂઆત જોઈ છે. તે કઈ રીતે મહાન ખેલાડી બની ગયો, એમ તેની સંપુર્ણ યાત્રા જોઈ છે. તેની ટેક્નિક, સકારાત્મકતા, ફૂટવર્ક, બેલેન્સ સાચે જ કમાલ છે.” સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે વર્ષ 2014માં ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ વિરાટ કોહલીની રમત સંપુર્ણ રીતે બદલાઇ ગઇ હતી.
ગાંગુલીએ વધુમાં કહ્યું કે, “વિરાટ કોહલીએ વર્ષ 2014માં ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ પોતાની રમત બદલી દીધી. ઈંગ્લેન્ડમાં તે સંઘર્ષ કરી રહ્યો હતો. તે ટેસ્ટ સીરિઝ મેં જોઈ હતી. હું તે સમયે તે સીરિઝમાં કોમેન્ટ્રી કરી હતી. ત્યાર બાદ વિરાટ કોહલીએ આવનારા પાંચ વર્ષ સુધી વર્લ્ડ ક્રિકેટમાં રાજ કર્યું છે. એવું થતું રહેતું હોય છે. રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરે પણ ઘણીવાર કારકિર્દીમાં આવા શાનદાર દિવસો જોયા છે.”
આ પણ વાંચો : BCCI contracts: અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા અને હાર્દિક પંડ્યા A ગ્રેડ થી બહાર, રિદ્ધીમાન સાહાને પણ નુકશાન
આ પણ વાંચો : વિરાટ કોહલીની 100મી ટેસ્ટને લઈને સચિન તેંડુલકરનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું