IND vs PAK: પાકિસ્તાન સામે વિરાટ-રોહિત કરશે ઓપનિંગ, યશસ્વી જયસ્વાલને પ્લેઈંગ-11માં નહીં મળે સ્થાન!
ભારતીય ટીમે પ્રથમ મેચમાં પણ વિરાટ કોહલીને ઓપનિંગ માટે મેદાનમાં ઉતાર્યો હતો પરંતુ તે આયર્લેન્ડ સામેની મેચમાં નિષ્ફળ રહ્યો હતો. આ પછી સવાલો ઉઠવા લાગ્યા કે શું પાકિસ્તાન જેવી મોટી મેચમાં ટીમ ઈન્ડિયાએ કોહલીને ત્રીજા નંબરે મેદાનમાં ઉતારીને યશસ્વીને ઓપનિંગ કરવાની તક આપવી જોઈએ? જોકે મેચના એક દિવસ પહેલા આ અંગે સવાલ પૂછવામાં આવતા રોહિતે જે જવાબ આપ્યો, તે બાદ ઓપનિંગમાં કોઈ બદલાવ થશે એવું લાગી રહ્યું નથી.

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની મહત્વપૂર્ણ મેચ રમાશે. હંમેશની જેમ, દરેકની નજર આ મેચ પર છે અને બંને ટીમો આ મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. T20 વર્લ્ડ કપમાં 6 વખત પાકિસ્તાનને હરાવી ચૂકેલી ભારતીય ટીમ સાતમી વખત આ કારનામું કરવાનો પ્રયાસ કરશે. જો કે, ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરશે કે કેમ તેના પર નજર રહેશે? ખાસ કરીને પ્રથમ મેચમાં વિરાટ કોહલીની નિષ્ફળતા બાદ શું યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં વાપસી કરશે? કેપ્ટન રોહિત શર્માએ એવો જવાબ આપ્યો, જે ફેન્સને કદાચ પસંદ નહીં આવે.
પાકિસ્તાન સામે મુકાબલા માટે ટીમ ઈન્ડિયા તૈયાર
ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે આયર્લેન્ડને માત્ર 96 રનમાં આઉટ કરી દીધું હતું અને ત્યારબાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ વહેલા આઉટ થઈ ગયા હતા, પરંતુ કેપ્ટન રોહિત શર્માએ જોરદાર અડધી સદી ફટકારી હતી, જ્યારે રિષભ પંતે 36 રનની ઈનિંગ રમીને ટીમને જીત સુધી પહોંચાડી હતી. હવે પાકિસ્તાન જેવી મોટી ટીમ સાથે મુકાબલો કરવાનો વારો છે, આવી સ્થિતિમાં ભારતીય ટીમ કોઈ કસર છોડવા માંગશે નહીં.
ઓપનિંગમાં કોઈ ફેરફાર થશે નહીં
પ્લેઈંગ ઈલેવનને લઈને મોટો સવાલ થશે અને મેચના એક દિવસ પહેલા કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં આવું નિવેદન આપ્યું, જે આશ્ચર્યજનક હતું. ન્યૂયોર્કમાં પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે સ્પષ્ટ કર્યું હતું કે સમગ્ર વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર ઓપનરોની જગ્યા નક્કી કરવામાં આવી છે, જ્યારે જરૂરિયાત મુજબ અન્ય સ્થાનો પર ફેરફાર કરવામાં આવશે. એટલે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામેની ઓપનિંગમાં કોઈ ફેરફાર નહીં કરે અને વિરાટ કોહલી કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે.
યશસ્વીનું શું થશે?
આવી સ્થિતિમાં યશસ્વી જયસ્વાલનું શું થશે? જો ઓપનિંગ ન થાય તો તેને ત્રીજા કે ચાર નંબર પર તક મળશે? હવે એવું લાગે છે કે આ પણ થવાનું નથી અને રોહિતે કહ્યું છે કે તે યશસ્વીને રમાડી શકશે નહીં. તેથી રિષભ પંતને ટોપ ઓર્ડરમાં રાખવામાં આવ્યો છે. પંતે છેલ્લી મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ કરી હતી અને 36 રન બનાવ્યા હતા. રોહિતે કહ્યું કે તેણે IPLની કેટલીક મેચો જોયા બાદ પંત વિશે મન બનાવી લીધું હતું.
અક્ષરના સ્થાને કુલદીપને તક મળશે?
રોહિતે બોલરોમાં બદલાવ અંગે કંઈ કહ્યું નથી પરંતુ ભૂતકાળના રેકોર્ડને જોતા ટીમ ઈન્ડિયા આ મેચમાં અક્ષર પટેલની જગ્યાએ લેફ્ટ આર્મ સ્પિન કુલદીપ યાદવને તક આપી શકે છે. કુલદીપને પ્રથમ મેચમાં રમાડવામાં આવ્યો ન હતો, જેના પર સવાલો ઉભા થયા હતા. પાકિસ્તાની બેટ્સમેનોએ કુલદીપની સામે પહેલા પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને આવી સ્થિતિમાં તેમને અહીં તક મળી શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.
આ પણ વાંચો : IND vs PAK: મેચના માત્ર 24 કલાક પહેલા જ પાકિસ્તાની ટીમને જબરદસ્ત સમાચાર મળ્યા, બાબર આઝમને મોટી રાહત મળી