T20 World Cup Final : દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે કહ્યું, ” આ હાર અમને લાંબા સમય ખૂબ દુઃખ પહોંચાડશે”
29 વર્ષીય એડન માર્કરામે કહ્યું, "હાલમાં હારના કારણ તરીકે કોઈ એક વસ્તુ તરફ ધ્યાન દોરવું અમારા માટે મુશ્કેલ છે. અમે તેના વિશે આગામી થોડા દિવસોમાં વિચારીશું, અમે ક્યા ભૂલ કરી, ક્યા અમારી કચાશ રહી તે ક્ષેત્રો શોધવાનો પ્રયાસ કરીશું. અને આજની મેચ પછી તેમા સુધારો કરી શકીશું."
![T20 World Cup Final : દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે કહ્યું, આ હાર અમને લાંબા સમય ખૂબ દુઃખ પહોંચાડશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Aiden-Markram-1.jpeg?w=1280)
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે, T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત સામેની નિરાશાજનક હારને ખૂબ જ દર્દનાક ગણાવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આ પ્રદર્શન ટીમને આગલી વખતે વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા આપશે. જીતવા માટેના 176 રનના લક્ષ્યનો પીછો કરતા હેનરિક ક્લાસેનના 27 બોલમાં 52 રનની ઈનિંગના આધારે 15મી ઓવર પછી દક્ષિણ આફ્રિકા ખૂબ જ મજબૂત સ્થિતિમાં હતું. ટીમને છેલ્લા 30 બોલમાં 30 રનની જરૂર હતી, પરંતુ ભારતે મેચમાં શાનદાર રીતે પરત ફર્યું અને સાત રનથી રોમાંચક વિજય મેળવ્યો.
દક્ષિણ આફ્રિકાને પ્રથમ વખત T20 ચેમ્પિયન બનવાની તક મળી હતી, પરંતુ ટીમ તેનો ફાયદો ઉઠાવી શકી નથી. જસપ્રિત બુમરાહ, અર્શદિપસિંહ અને હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરોમાં શાનદાર બોલિંગ કરી હતી, જ્યારે સૂર્યકુમાર યાદવે ભારે દબાણની સ્થિતિમાં ફણ શાનદાર કેચ પકડીને મેચને ભારતની તરફેણમાં કરી નાખી હતી. આ પહેલા અક્ષર પટેલ અને શિવમ દુબેની સાથે વિરાટ કોહલીએ 76 રનની મજબૂત ઇનિંગ રમીને ભારતને સ્પર્ધાત્મક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
ભારત સામે T20 વર્લ્ડ કપ ફાઇનલમાંમાં હાર્યા બાદ માર્કરામે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “ક્રિકેટની આ પહેલી મેચ નથી, જેમાં 30 બોલમાં 30 રનની જરૂર હોવા છતા ટીમને હારનો સામનો કરવો પડ્યો હોય. ભારતે ખૂબ સારી અને શાનદાર બોલિંગ કરી. શાનદાર ફિલ્ડિંગ અને બોલિંગ સાથે મેચમાં પુનરાગમન કર્યું”
29 વર્ષીય એડન માર્કરામે કહ્યું, “હાલમાં હારના કારણ તરીકે કોઈ એક વસ્તુ તરફ ધ્યાન દોરવું અમારા માટે મુશ્કેલ છે. અમે તેના વિશે આગામી થોડા દિવસોમાં વિચારીશું, અમે ક્યા ભૂલ કરી, ક્યા અમારી કચાશ રહી તે ક્ષેત્રો શોધવાનો પ્રયાસ કરીશું. અને આજની મેચ પછી તેમા સુધારો કરી શકીશું.” અમે તે વસ્તુઓ વિશે પણ વિચારીશું જે ખરેખર અમારા માટે સારી રહી છે.”
હારનું દુઃખ હોવા છતાં, માર્કરામે વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવા બદલ તેના સાથી ખેલાડીઓ પર ગર્વ અનુભવ્યું. તેણે કહ્યું, “હું કહેવા માંગુ છું કે મને મારી ટીમના ખેલાડીઓ પર ખૂબ ગર્વ છે. અમને માત્ર આજના પ્રદર્શન પર ગર્વ નથી પરંતુ ટીમે આ ટૂર્નામેન્ટ દરમિયાન અને તે પહેલાની તૈયારીઓ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે.”
માર્કરામે કહ્યું, “આ હાર અમને ખૂબ દુઃખ પહોંચાડશે, પરંતુ તે આવનારી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવાની ટીમની ભૂખ વધારશે.” માર્કરામે સ્વીકાર્યું કે ક્લાસેન માટે આવા ‘ખાસ પ્રયાસ’ પછી આ પરિણામ પચાવવાનું મુશ્કેલ હશે. તેણે કહ્યું, “અમે તેને દુનિયાભરમાં ઘણી વખત આવું કરતા જોયા છે. આવા મંચ પર આવી ઇનિંગ રમવી એ ખરેખર એક ખાસ પ્રયાસ છે. તેના માટે આ હાર પચાવવી મુશ્કેલ હશે.”
જ્યારે ભારતીય ખેલાડીઓની આંખોમાં ખુશીના આંસુ હતા, ત્યારે પ્રોટીઆઓનું હૃદય તૂટી ગયું હતું કે તેમના હાથમાંથી વધુ એક મોટું ટાઇટલ સરકી ગયું હતું. ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ છેલ્લી અડચણને પાર કરી શકી નહોતી. તેણે કહ્યું, “આ હાર લાંબા સમય સુધી દુઃખ પહોંચાડશે. ટીમને પ્રથમ વખત ફાઇનલમાં લઈ જવામાં દરેક ખેલાડીએ યોગદાન આપ્યું છે. તમે જાણો છો કે તમે એક ટીમ છો અને તમે આ જૂથ સાથે સારી વસ્તુઓ ઇચ્છો છો કારણ કે દરેક એક મહાન ખેલાડી છે.”