IPL 2021: વિરાટ કોહલી અને સિરાજ માટે માંચેસ્ટરથી દુબઇ માટે કરાઈ ખાસ વ્યવસ્થા, ‘સ્પેશીયલ સવારી’ સાથે પહોંચશે UAE
IPL 2021 ના બીજા ફેઝ માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોતાની પ્રથમ મેચ અબુધાબીમાં કલકત્તા નાઇટ રાઇડર્સ સામે રમશે.
માંચેસ્ટર ટેસ્ટ (Manchester Test) રદ થતાં જ તમામ IPL ફ્રેન્ચાઈઝીઓએ તેમના ખેલાડીઓને UAE બોલાવવાની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCB એ તેના બે ખેલાડીઓ વિરાટ કોહલી (Virat Kohli) અને મોહમ્મદ સિરાજ (Siraj) માટે પણ ખાસ સવારીની વ્યવસ્થા કરી છે. આ બંને ખેલાડીઓ આજે એટલે કે શનિવારે રાત્રે ચાર્ટર ફ્લાઇટ દ્વારા માંચેસ્ટરથી દુબઇ જવા રવાના થશે.
દુબઈ પહોંચતા, બંનેએ ટીમ બબલ સાથે જોડાતા પહેલા 6 દિવસના ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. મીડિયા રીપોર્ટસમાં વાતચીત દરમ્યાન RCB સાથે સંકળાયેલા સૂત્રોએ વિરાટ અને સિરાજની માંચેસ્ટરથી દુબઈની ફ્લાઈટની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આ બંને ખેલાડીઓ રવિવારે સવારે દુબઈ પહોંચશે.
RCB ના સૂત્રોએ કહ્યું, હા, અમે વિરાટ અને સિરાજ માટે ચાર્ટર ફ્લાઇટ્સની વ્યવસ્થા કરી છે. આ બંને ખેલાડીઓ શનિવારે રાત્રે 11.30 વાગ્યે માંચેસ્ટરથી રવાના થશે અને રવિવારે સવારે દુબઈ પહોંચશે. અમારો ઉદ્દેશ તેમને સુરક્ષિત રીતે દુબઈ લાવવાનો છે. દુબઇ પહોંચ્યા બાદ, તે 6 દિવસના ક્વોરન્ટાઇનમાં રહેશે. આઈપીએલની 14 મી સીઝનનો બીજો તબક્કો યુએઈમાં થઈ રહ્યો છે. પ્રથમ 29 મેચ ભારતમાં રમાઈ હતી, ત્યારબાદ કોરોનાનુ ગ્રહણ ટુર્નામેન્ટને લાગ્યુ હતુ. IPL 2021 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે.
પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. બીજા તબક્કામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોતાની પ્રથમ મેચ અબુધાબીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે. તે પછી, IPL 2021 ની પ્રથમ મેચ 24 સપ્ટેમ્બરે શારજાહમાં યોજાશે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના પડકારનો સામનો કરતી જોવા મળશે.
IPL 2021 ના બીજા તબક્કામાં દુબઈમાં 13 મેચ રમાશે. શારજાહમાં 10 મેચ યોજાશે. જ્યારે 8 અબુ ધાબીમાં રમાશે. BCCI એ લીગના બીજા તબક્કા માટે 46 પાનાની હેલ્થ એડવાઇઝરી બહાર પાડી છે, જેનું પાલન આઈપીએલ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિએ કરવું જરૂરી છે. જેથી લીગનું આયોજન સફળતાપૂર્વક થઈ શકે.
અન્ય ટીમો પણ કરી રહી છે ચાર્ટર ફ્લાઇટની વ્યવસ્થા
RCB ની જેમ, અન્ય ટીમો પણ તેમના ખેલાડીઓ માટે ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરી રહી છે. જેથી તેમને ઝડપી અને સલામત રીતે માંચેસ્ટરથી યુએઈ લાવી શકાય. ટેસ્ટ શ્રેણી સમાપ્ત થયા બાદ એક સાથે ભારતીય ખેલાડીઓ ઇંગ્લેન્ડથી યુએઇ પહોંચવાના હતા. પરંતુ, ટીમ ઇન્ડીયામાં કોરોનાના સંક્રમણને કારણે હવે યોજનામાં ફેરફાર જોવા મળી રહ્યો છે.