Breaking News : T20 વર્લ્ડ કપને લઈ સૌથી મોટા સમાચાર, નહીં રમાય ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઇ વૉલ્ટેજ મેચ, જાણો કારણ
T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ મેચ નહીં રમાય તેવી સત્તાવાર જાહેરાત પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવી છે. બંને ટીમો 15 ફેબ્રુઆરી, 2026ના રોજ કોલંબોમાં એકબીજા સામે ટકરાવાની હતી, પરંતુ હવે પાકિસ્તાન સરકારે આ મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જોકે, પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ભાગ લેશે, પરંતુ ભારત સામે મેદાનમાં ઉતરશે નહીં.

પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “પાકિસ્તાનની ઇસ્લામિક રિપબ્લિકની સરકાર ICC વર્લ્ડ T20 2026માં પાકિસ્તાન ક્રિકેટ ટીમની ભાગીદારીને મંજૂરી આપે છે, પરંતુ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ ભારત સામે યોજાનારી મેચમાં ટીમ ભાગ નહીં લે.” સરકારના આ નિર્ણયથી ભારત-પાકિસ્તાન હાઈવોલ્ટેજ મુકાબલો રદ થવાની સ્થિતિ ઊભી થઈ છે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ICC દ્વારા બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરવાનું માનવામાં આવે છે. બાંગ્લાદેશ સરકારે ભારતમાં રમવા અંગે સુરક્ષા ચિંતાઓ વ્યક્ત કર્યા બાદ ICCએ તેને ટુર્નામેન્ટમાંથી દૂર કરી દીધું હતું અને તેની જગ્યાએ સ્કોટલેન્ડને સામેલ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયના વિરોધમાં પાકિસ્તાન સરકારે ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો.
ભારત સામેની મેચ અંગે વિગતવાર ચર્ચા
આ મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ મોહસીન નકવીએ 26 જાન્યુઆરીએ વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન વર્લ્ડ કપમાં ભાગીદારી અને ભારત સામેની મેચ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નકવીએ અગાઉ જણાવ્યું હતું કે અંતિમ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે, જે હવે રવિવારે જાહેર કરી દેવામાં આવ્યો છે.
પાકિસ્તાનની T20 વર્લ્ડ કપ ટીમમાં સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમાન, ખ્વાજા મોહમ્મદ નફે (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, સાહિબઝાદા ફરહાન, સૈમ અયુબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન (વિકેટકીપર) અને ઉસ્માન તારિકનો સમાવેશ થાય છે.
ICCએ બાંગ્લાદેશ સાથે અન્યાયી વર્તન કર્યુંનો આક્ષેપ
ભારત સામે મેચ ન રમાવાના નિર્ણય પહેલાં PCB ચીફ મોહસીન નકવીએ વર્લ્ડ કપમાંથી સંપૂર્ણપણે ખસી જવાની પણ ધમકી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ICCએ બાંગ્લાદેશ સાથે અન્યાયી વર્તન કર્યું છે અને જો પાકિસ્તાન સરકાર મંજૂરી નહીં આપે તો ટીમ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે. ત્યારબાદ ICCએ PCBને ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી ખસી જશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન BCCIએ બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાના મામલે સુરક્ષા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મુસ્તફિઝુર રહેમાનને IPLમાં રમવાની મંજૂરી આપી નહોતી. BCCIના નિર્ણય બાદ 3 જાન્યુઆરીએ તેમને KKR ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા.
4-1… ભારતે T20 વર્લ્ડ કપ પહેલા ‘પરીક્ષા’ પાસ કરી, ન્યૂઝીલેન્ડને કચડી નાખ્યું
