IND vs SL: વનડે-ટી20 સિરીઝની શરૂઆત પહેલા કોરોનાનું લાગ્યું ગ્રહણ, 13 જુલાઈથી નહીં શરૂ થાય મેચ!
આગામી મંગળવારથી ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka ) શ્રેણીની શરુઆત થનારી હતી. પરંતુ શ્રીલંકા ટીમના સપોર્ટ સ્ટાફમાં કોરોના સંક્રમણ સામે આવતા કાર્યક્રમમાં ફેરફાર થવા સંભાવના વર્તાઈ છે.
ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે મંગળવારથી શરુ થનારી વન ડે શ્રેણી હવે 17 જૂલાઈથી શરુ થશે. શ્રીલંકાના બેટીંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર (Grant Flower) અને ડેટા એનાલિસ્ટ જેટી નિરોશન કોરોના પોઝિટિવ જણાયા હતા. જેને લઈને હવે વન ડે શ્રેણી પ્રભાવિત થઈ છે. શ્રીલંકન ક્રિકેટ ટીમ (Sri Lanka Cricket Team)ના ખેલાડીઓને કેટલોક સમય કડક ક્વોરન્ટાઈનમાં રાખવા માટે નિર્ણય લેવાયો હતો. આમ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાને રાખીને કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે.
શિખર ધવનની આગેવાનીમાં ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વન ડે અને 3 T20 મેચોની શ્રેણી રમાનારી છે. જે આગામી 13 જૂલાઈથી શરુ થનારી હતી. કોરોનો સંક્રમણને લઈને હવે શ્રીલંકા ક્રિકેટ (SLC) દ્વારા સુરક્ષાના કારણોસર કડક ક્વોરન્ટાઈન પિરીયડને લંબાવવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે હવે શ્રેણી 17 જૂલાઇ સુધી પાછી ઠેલાઇ છે.
BCCIના એક સિનીયર અધિકારી એ આ અંગે પુષ્ટી કરી હતી. મીડિયા રીપોર્ટસ મુજબ તેઓએ કહ્યું હતુ હાં, શ્રેણીને 13 જૂલાઇને બદલે 17 જૂલાઈથી શરુ કરવામાં આવશે. આ નિર્ણય ખેલાડીઓની સુરક્ષાને ધ્યાને રાખીને કરવામાં આવ્યો છે. આ માટે શ્રીલંકા ક્રિકેટ સાથે વાતચીત કરીને નિર્ણય લેવાયો છે.
ઈંગ્લેન્ડમાં મર્યાદિત ઓવરની શ્રેણી રમી ટીમ શ્રીલંકા સ્વદેશ પરત ફરી હતી. કોલંબોમાં ટીમ અને સપોર્ટ સ્ટાફને હોટલમાં ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા હતા. ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાના 48 કલાક બાદ ગ્રાન્ટ ફ્લાવર કોરોના સંક્રમિત હોવાનું જણાઈ આવ્યુ હતુ. કોચ ફ્લાવરને ટીમના સભ્યોથી અલગ કરી દેવામાં આવ્યા હતા.
ઈંગ્લેન્ડના ખેલાડીઓ આ પહેલા કોરોના સંક્રમિત જણાયા હતા
ઈંગ્લેન્ડની ટીમમાં પણ 3 ખેલાડીઓ અને 4 જેટલા સ્પોર્ટ સ્ટાફ પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ હતુ. જેને લઈને ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન સામેની 8 શ્રેણી માટે નવેસરથી ટીમ જાહેર કરવી પડી હતી. આમ ઈંગ્લેન્ડથી પરત ફરેલી શ્રીલંકન ટીમના માથે વધુ એક મુસીબત સર્જાઈ છે. આ પહેલા ઈંગ્લેન્ડથી કોલંબો વિમાન પ્રવાસ દરમ્યાન વિમાનનું ઈંધણ ખલાસ થઈ ગયુ હતુ. જેને લઈ શ્રીલંકન ટીમના વિમાનને ભારતમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવુ પડ્યુ હતુ.
આ પણ વાંચો: Wimbledon 2021: ફાઈનલમાં પહોંચેલી ટેનિસ સ્ટાર એશ બાર્ટી રમી ચુકી છે ક્રિકેટ ટૂર્નામેન્ટ